ઇન્ટરનેશનલસ્પેશિયલ ફિચર્સ

બોલો, જોઈએ છે હિટલરના પ્રધાનની વિલા સાવ મફતમાં?!

કોઈ લેવાલ નહીં મળે તો એ થશે જમીનદોસ્ત !

પ્રાસંગિક – અમૂલ દવે

જર્મનના સરમુખત્યાર એડોલ્ફ હિટલરના બિહામણા નાઝીવાદથી આખી દુનિયા પરિચિત છે. હિટલરે યહુદીઓ પર કરેલા જુલમોની ગાથા સાંભળીને દુનિયા હજીય હચમચી જાય છે. એ પણ બધા જાણે છે કે હિટલર કરતાંય એના પ્રચારમંત્રી પોલ જોસેફ ગોબેલ્સે તો યહૂદીઓ પર વધારે સીતમો ગુજાર્યા હતા. એ ફેક ન્યુસની ફેકટરી હતો. એ કહેતો કે એક જુઠાણું વારંવાર લોકો પર લાદવામાં આવે તો લોકો એને સત્ય માની લે છે. એ આગને પાણી કહેતો તો પણ બધા એને માની લેતા.

અલબત્ત આપણે આજે ગોબેલ્સની નહીં, પરંતુ એની એક વિલાની વાત કરી રહ્યા છીએ, જે જર્મની માટે માથાનો દુખાવો બની છે. જર્મની સરકારની હાલત સાપે છછુંદર ગળવા જેવી થઈ ગઈ છે. ગોબેલ્સની આ એસ્ટેટનું ન તો રિનોવેશન થાય એમ છે અને ન તો એની જાળવણી સરકારને પરવડે એમ છે. અંતે આનાથી છૂટકારો મેળવવા જર્મન સરકારે કોઈ તૈયાર થાય તો એને મફત આપી દેવાની વાત કરી છે.

આ વિલા બર્લિનથી એક કલાકના અંતરે બોગેન્સી તળાવના કિનારે છે. વીસ એકરમાં પથરાયેલી વિલા નાઝીના માસ્ટરમાઈન્ડ ગોબેલ્સની હોવાથી એનો ઈતિહાસ ખરડાયેલો છે. આ વિલા હવે બર્લિન સરકારની માલિકીની છે.

આ વિલા રાજ્ય માટે એટલો બોજો બની ગઈ છે કે નાણાં ખાતાના સેનેટર સ્ટીફન ઈવાન્સે આ નાઝી મેન્શન મફત આપવાની ઓફર મૂકી છે. જો કે આમાં શરત એ છે કે આ વિલા મફત આપવાનું સરકારી બહાલીને આધીન હશે. ઈવાન્સે તો કહ્યું છે કે જો કોઈ આગળ નહીં આવે તો અમારી પાસે એ વિલાને તોડી નાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં હોય.

ઈવાન્સ કહે છે કે અમે આને બર્લિન રાજ્યની ભેટ તરીકે કોઈને પણ આપવા તૈયાર છીએ. આ વિલા અંગે એક દાયકાથી એ ચર્ચા ચાલતી હતી કે આનું રિનોવેશન કરવું કે તેને તોડી નાખવી. બર્લિને આ વિલા કેન્દ્રીય સત્તાવાળાઓ કે બ્રાન્ડેનબર્ગ (જ્યાં આ વિલા છે)ને પધરાવાની કોશીશ પણ કરી હતી. આની સુરક્ષા અને જાળવણી અતિશય ખર્ચાળ બની ગઈ છે.

હિટલરના નિકટના સાથીદાર ગોબેલ્સે ૧૯૩૯માં આ વૈભવશાળી વિલા બંધાવી હતી. આ વિલા બર્લિનની ઉત્તરે ૪૦ કિલોમીટર દૂર આવેલા વાન્ડલિત્ઝ નગરમાં આવેલી છે. ગોબેલ્સ એની
પત્ની અને છ સંતાનો સાથે અહીં રહેતો હતો.

રશિયા સામેના જર્મનીના પરાજય પછી ૧૭ હેકટરની વિલાનો ઉપયોગ હૉસ્પિટલ તરીકે થતો હતો. ત્યાર બાદ ઈસ્ટ જર્મન કમ્યુનિસ્ટ પાર્ટીની યુવા પાંખે તેને હસ્તગત કરી હતી. અહીં ટ્રેનિંગ સેન્ટર અને એકોમોડેશન બ્લોક બાંધવામાં આવ્યા. જર્મનીનું ૧૯૯૦માં એકીકરણ થયું ત્યાર બાદ આ વિલાની માલિકી બર્લિન સ્ટેટ પાસે આવી. જોકે આનો કોઈ ઉપયોગ જણાયો નહી. વિલાને મફતમાં આપવાના વિચારની વાન્ડલિત્ઝના મેયર ઓલિવર બોરચેર્ટે વિરોધ કર્યો છે. એમણે કહ્યું છે કે આ દરખાસ્ત કમનસીબ છે. જો આ વિલા કોઈ ઉદામવાદી વિચારસરણીવાળાના હાથમાં આવશે તો મુસીબત થશે.

૨૦૨૧માં એક સંસ્થાએ આ સાઈટમાં હોટેલ, આર્ટિસ્ટસ સ્ટુડિયો, કોન્ફરન્સ રૂમ અને યોગા સ્કૂલ બાંધવાની દરખસ્ત મૂકી હતી. જો કે પછી ખબર પડી હતી કે આ તો ઉગ્ર જમણેરીની સંસ્થા છે. ઓક્ટોબર ૨૦૨૩માં તો એવા નકલી સમાચર ફેલાયા હતા કે યુક્રેનના પ્રમુખ ઝેલેનસ્કી આ વિલા ખરીદવા માગે છે.

આ વિલા જર્જરિત થઈ ગઈ છે. તેની બારીઓ તૂટી ગઈ છે અને ખંડ ગાયબ થઈ ગયા છે. આને નૂતનીકરણની તાતી જરૂર છે.

શું છે આ વિલાનો ઈતિહાસ

૧૯૩૬માં આ વિલા ગોબેલ્સને ભેટ આપવામાં આવી હતી. એમ કહેવાય છે કે એ નાઝી નેતાઓ અને કલાકારોનું મનોરંજન કરવા માટે આનો ઉપયોગ કરાતો. ગોબેલ્સ અહીં પોતાની હીરોઈન પ્રેમિકાને પણ બોલાવતો. બીજા વિશ્ર્વયુદ્ધના અંત વખતે ગોબેલ્સ બર્લિન જતો રહ્યો. સોવિયેત લશ્કરી દળો નજીક આવ્યા એટલે એણે પત્ની અને બાળકોને હિટલરના બંકરમાં સાઈનાઈડ કેપસ્યુલ આપીને મારી નાખ્યા પછી પોતે પણ આત્મહત્યા કરી હતી.

Also Read –

Show More

Related Articles

Back to top button
બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે? શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ? દીપિકા અને રણવીર સિંહે લોકોની કરી બોલતી બંધ!