એકસ્ટ્રા અફેર

રાષ્ટ્રપ્રમુખ-ઉપરાષ્ટ્રપતિએ રેપની ઘટનાઓ પર આક્રોશ વ્યક્ત કરવો જોઇએ

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કોલકાત્તામાં આરજી કાર મેડિકલ કોલેજ અને હૉસ્પિટલમાં ૯ ઓગસ્ટના રોજ થયેલા ટ્રેઈની ડોક્ટર પર બળાત્કાર પછી હત્યા સહિતની ઘટનાઓના કારણે મહિલાઓની સુરક્ષાને મુદ્દે ચિંતા વ્યક્ત થઈ રહી છે ત્યારે આપણાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેએ બળાત્કારની ઘટનાઓ અંગે વિચારો વ્યક્ત કર્યા.

રવિવારે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદનો સમાપન કાર્યક્રમ હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન હતાં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પેન્ડિંગ કેસો અને બેકલોગને ન્યાયતંત્ર માટે મોટો પડકાર ગણાવીને કહ્યું કે, બળાત્કાર જેવા કેસમાં કોર્ટનો નિર્ણય વરસો પછી આવે છે ત્યારે સામાન્ય માણસને લાગે છે કે ન્યાયની પ્રક્રિયામાં સંવેદનશીલતા રહી નથી.

રાષ્ટ્રપતિ મુર્મૂએ કોલકાતામાં ટ્રેઈની ડોક્ટર પર બળાત્કાર-હત્યા અંગે ૨૭ ઓગસ્ટે કહ્યું હતું કે, હું આ ઘટનાથી નિરાશ અને ભયભીત છું. આ અતિરેક થઈ ગયો છે પણ કમનસીબે આપણા સમાજમાં આવી ઘટનાઓને ભૂલી જવાની ખરાબ ટેવ છે. રાષ્ટ્રપતિ મુર્મૂએ ‘વીમેન સીક્યુરિટી: જસ્ટ ઈનફ’ નામે લખેલા લેખમાં કહ્યું હતું કે, કોઈ પણ સંસ્કારી સમાજ પોતાની બહેન-દીકરીઓ અને બહેનો પર આવા અત્યાચારને મંજૂરી આપી શકે નહીં. રાષ્ટ્રપતિ મેડમે આ જ વાતને દોહરાવી છે.

મુર્મૂ મેડમના કહેવા પ્રમાણે, આપણે બધાં માનીએ છીએ કે, ભગવાનના ઘરે દેર છે, અંધેર નહીં. પણ દેર ક્યાં સુધી ચાલે ? આ વિલંબ કેટલો લાંબો હોઈ શકે એ વિશે આપણે વિચારવું પડશે કેમ કે ન્યાય મળે ત્યાં સુધીમાં પીડિતો કે પીડિતોના પરિવારના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ જાય છે અને ઘણા કિસ્સામાં તેમનું જીવન પણ સમાપ્ત થઈ જાય છે. આપણે આ વિશે ઊંડાણપૂર્વક વિચારવાની જરૂર છે.

મુર્મૂએ કોર્ટમાં તાત્કાલિક ન્યાય મેળવવા માટે કેસોની સુનાવણી મોકૂફ રાખવાની સંસ્કૃતિને ખતમ કરવી પડશે એ વાત પર ભાર મૂકીને કહ્યું કે, ન્યાયની રક્ષા કરવાની આ દેશના તમામ ન્યાયાધીશોની જવાબદારી છે પણ કોર્ટ રૂમમાં પ્રવેશતા જ સામાન્ય માણસનું સ્ટ્રેસ લેવલ વધી જાય છે. રાષ્ટ્રપતિએ આ ડરને ‘બ્લેક કોટ સિન્ડ્રોમ’ નામ આપીને તેના વિશે વિચારવાની અપીલ પણ કરી.

આપણા ઉપરાષ્ટ્રપતિ ડૉ. જગદીપ ધનખડે પણ ૩૧ વર્ષીય પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઇની ડોક્ટર સાથે ક્રૂર બળાત્કાર અને હત્યાનો મુદ્દો ઉઠાવ્યો. ધનખડે આ ઘટના અંગે મૌન રહેવા બદલ કેટલીક બિન-સરકારી સંસ્થાઓ (એનજીઓ)ને આડે હાથ લઈને કહ્યું કે, આ બધાંનું મૌન ૯ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ બનેલા અપરાધના અપરાધીઓના દોષિત કૃત્ય કરતાં ઘણું ખરાબ છે. ધનખડના કહેવા પ્રમાણે, આ મુદ્દે રાજકારણ રમવા માંગે છે એ લોકો પોતાના અંતરાત્માને અનુસરી નથી રહ્યા.

રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને આ દેશમાં ટોચના બે બંધારણીય હોદ્દા પર છે. કોલકાત્તાની ઘટના અત્યંત શરમજનક છે અને કોઈ પણ સંવેદનશીક્ષ વ્યક્તિને ખળભળાવી મૂકવા માટે પૂરતી છે. આપણાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની સંવેદનશીલતા પણ તેના કારણે ખળભળી ઉઠી હોય તો એ સ્વાભાવિક છે. બંને તેની ટીકા કરે કે ઝાટકણી કાઢે એ યોગ્ય છે પણ તકલીફ ગણો તો તકલીફ ને કમનસીબી ગણો તો કમનસીબી એ છે કે, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેની સંવેદના આ જ પ્રકારની બીજી ઘટનાઓ વખતે જાગતી નથી.

મણિપુરમાં મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવીને ગેંગ રેપ કરવાની ઘટના હોય કે દેશની કુશ્તીબાજ દીકરીઓની ભાજપના એક સાંસદ દ્વારા જાતિય સતામણીની ઘટના હોય, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને ચૂપ હતાં. આ બંને ઘટનાઓની વાત વારંવાર કરવી પડે છે કેમ કે આ બંને ઘટના આ દેશમાં સ્ત્રીઓ પરના અત્યાચારની ચરમસીમા જેવી છે.

મહિલાઓ પર બળાત્કાર કે રેપની દરેક ઘટના આઘાતજનક જ ગણાય તેથી કોઈ ઘટના વધારે ગંભીર ને કોઈ ઓછી ગંભીર એવું ના કહી શકાય પણ આ બંને ઘટનાનો ઉલ્લેખ એટલે કરીએ છીએ કે, આ બંને ઘટનામાં જેમની જવાબદારી મહિલાઓની સુરક્ષા કરવાની હતી એવા લોકો સંડોવાયેલા હતા. બંને ઘટનામાં ખુલ્લેઆમ દીકરીઓને બેઈજજત કરાઈ અને દીકરીઓને હૂંફની જરૂર હતી ત્યારે કોઈ તેમને પડખે ઉભું ના રહ્યું. દોષિતોને સજા કરાવનારા સજા કરાવવાના બદલે તેમના દલાલો તરીકે વર્તતા હતા.

આપણા ઉપરાષ્ટ્રપતિ સાહેબ કોલકાત્તાની ઘટના વિશે એનજીઓની ચુપકીદી સામે સવાલ કરી રહ્યા છે, તેમને અંતરાત્માની દુહાઈ આપી રહ્યા છે પણ સાહેબ પોતે મણિપુર કે કુશ્તી ફેડરેશનની ઘટના વખતે કેમ ચૂપ હતા ? આવી ખળભળાવી નાંખનારી ઘટના જોઈને પણ તેમનો અંતરાત્મા કેમ નહોતો જાગ્યો ?

રાષ્ટ્રપતિ મેડમ તો પોતે એક મહિલા છે અને આ દેશની દરેક દીકરી માટે માતા સમાન છે પણ રાષ્ટ્રપતિ પોતે માતા તરીકે વર્ત્યાં ખરાં ? બિલકુલ નથી વર્ત્યાં. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને બંધારણીય હોદ્દા પર બેઠેલી વ્યક્તિ તરીક વર્તવાના બદલે ભાજપના નેતા તરીકે વર્ત્યાં છે. ને એનજીઓ કંઈ સત્તામાં નથી પણ સત્તામાં બેઠેલા બીજા લોકો પણ ચૂપ રહ્યાં છે. તેમની ચુપકીદી સામે પણ સવાલ કેમ નથી કરતા ? તમે બંને તો દેશનાં વડીલ છો પણ વડીલ તરીકે વર્તવાનું પણ રાખો.

આપણે એવા દેશમાં જીવીએ છીએ કે જ્યાં દર અઠવાડિયે આવી કોઈ ને કોઈ ઘટના બન્યા જ કરે છે. આપણાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ કેટલી ઘટનાઓની ટીકા કરે છે કે તેમનો ઉલ્લેખ પણ કરે છે ? નજીકના ભૂતકાળમાં તો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેએ આવી કોઈ ઘટનાની ટીકા કરી હોય એવું યાદ નથી. કોલકાત્તાની ટ્રેઈની ડોક્ટર આ દેશની દીકરી હતી ને તેણે વેઠવી પડેલી પીડાથી દુ:ખ થાય, તેના પર કરાયેલા અત્યાચારોથી આક્રોશ પણ જાગે પણ આ દર્દ અને આક્રોશ દેશની બીજી દીકરીઓ પર અત્યાચાર થાય ત્યારે નથી દેખાતો.

હવે કોલકાત્તાની ઘટનાના કારણે બંનેનો અંતરાત્મા જાગી ઉઠ્યો છે, બંનેને દેશની દીકરીઓની ચિંતા થવા માંડી છે એ જોઈને હસવું આવે છે પણ આશા રાખીએ કે બંનેનો અંતરાત્મા જાગેલો જ રહે. હવે પછી દેશમાં બનતી આવી તમામ ઘટનાઓ અંગે બંને બોલે અને ભેદભાવ ના રાખે. માત્ર ભાજપ વિરોધી રાજ્યોમાં બનતી બળાત્કાર કે મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ અંગે જ નહીં પણ બીજી ઘટનાઓ અંગે પણ બોલે.

Show More

Related Articles

Back to top button
આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો… ટ્રેનમાં મફતમા મુસાફરી કરવી છે? શું નાળિયેરનું સેવન રોજ કરવું જોઈએ?