આમચી મુંબઈટોપ ન્યૂઝ

બદલાપુર યૌન શોષણ કેસ: સ્કૂલ પ્રશાસન સામે POCSO હેઠળ કેસ નોંધવા હાઇ કોર્ટનો આદેશ

બોમ્બે હાઈકોર્ટે બદલાપુર કેસની નોંધ લીધી હતી અને તેની સુઓમોટો પિટિશન દાખલ કરી હતી, જેની આજે તાકીદે સુનાવણી થઇ હતી. જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને જસ્ટિસ પૃથ્વીરાજ ચવ્હાણની ડિવિઝન બેંચ આ કેસ પર સુનાવણી કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે હવે તો ચાર વર્ષની બાળકીઓનું પણ યૌન શોષણ કરવામાં આવે છે. કોર્ટે નોંધ્યું હતું કે આ કેવી અધમતા છે.

શાળાઓ જ જ્યારે સુરક્ષિત ના હોય તો શિક્ષાના અધિકાર અને બીજી બધી વાતો કરવાનો કંઇ મતલબ નથી. હાઇ કોર્ટે આ મામલાની જાણકારી છુપાવવા બદલ સ્કૂલ પ્રશાસન સામે પોક્સો હેઠળ કેસ દાખલ કરવા પણ જણાવ્યું છે.

કોર્ટે સરકાર પાસે કેસ ડાયરી અને એફઆઇઆરની કોપી પણ માગી છે. એડવોકેટ જનરલ બીરેન્દ્ર સરાફ કોર્ટમાં સરકાર વતી હાજર રહ્યા હતા. આ મામલે વધુ સુનાવણી હવે 27 ઑગસ્ટે થશે.

બદલાપુરની એક શાળામાં બે માસુમ બાળકીના યૌન શોષણ મામલે સ્થાનિકોએ જન આંદોલન છેડ્યું હતું અને રસ્તા પર ઉતરી આવ્યા હતા. બદલાપુરના લોકોએ આ ઘટનાનો વિરોધ વ્યક્ત કરવા અને આરોપીને સખત સજા આપવાની માગને લઇને શાળા પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રેલવે ટ્રેક પર રેલ રોકો આંદોલન પણ કર્યું હતું. દેખાવકારોને હટાવવા સમગ્ર વિસ્તારમાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી અને સાવચેતીના ભાગરૂપે બદલાપુરમાં ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી.

બદલાપુરની શાળામાં બાળકીઓના યૌન શોષણની ઘટનાના રાજકીય પ્રત્યાઘાત પણ પડ્યા છે. વિરોધ પક્ષોએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ટીકા કરી હતી અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવા માટે તેમને જ જવાબદાર ગણાવ્યા હતા.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button