રાજકોટના લોકમેળામાં રાઇડસની મજા માણવા મળશે કે નહિ ?
![Will you get to enjoy the rides in the Lok Mela of Rajkot or not](https://bombaysamachar.com/wp-content/uploads/2024/08/Will-you-get-to-enjoy-the-rides-in-the-Lok-Mela-of-Rajkot-or-not.webp)
રાજકોટ: જન્માષ્ટમી પર યોજાતા રાજકોટ લોકમેળાના જાણે શુકન જ અવળા મંડાયા હોય તેવી સ્થિતિ છે. લોકમેળામાં સ્ટોલની ફાળવણીને લઈને આજે યોજાયેલ હરાજીમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ સર્જાય હતી. આજની હરાજીમાં સ્ટોલની ફાળવણી પૂર્ણ થઈ ગઈ પરંતુ મેળામાં જેનું ખાસ આકર્ષણ રહે છે તે રાઇડ્સને લઈને મામલો ગૂંચવાઈ ગયો છે. આકરા નિયમોન લઈને રાઇડ્સ સંચાલકો હરાજીથી અળગા રહ્યા છે.
આ પણ વાંચો: રાજકોટમાં Janmashtamiના લોકમેળામાં મોંઘવારીનું ગ્રહણ, સ્ટોલના ભાવમાં વધારો
રાજકોટમાં સાતમ આઠમના લોકમેળામાં આ વર્ષે જ ઘટેલ અગ્નિકાંડ જેવી દુર્ઘટનાને લઈને સુરક્ષા બાબતે વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં સ્ટોલની સંખ્યામાં પણ 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. મેળાની અંદર વધુ મોકળાશ મળી રહે તે પ્રમાણેનો લે-આઉટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. રમકડા, આઈસ્ક્રીમ, ખાણીપીણી, નાની અને મધ્યમ ચકરડી, આઈસ્ક્રીમ અને રાઈડસ માટેના સ્ટોલ અને પ્લોટસની માગણી માટે કુલ 638 જેટલા ફોરમ ઉપડ્યા હતા. જેમાંથી 522 ફોરમ પરત આવ્યા છે.
જિલ્લા તંત્ર દ્વારા લોકમેળાના આયોજનમાં રાઇડસ માટે સુરક્ષાને લઈને નિયમોને વધુ કડક કરવામાં આવ્યા છે. જેમાં અનેક જરૂરી પ્રમાણપત્રો માંગવામાં આવ્યા છે જેને લઈને રાઇડ્સ ધારકોમાં કચવાટ ઊભો થયો છે. ગત અઠવાડિયે જ રાઇડ્સધારકોએ કલેકટરને મળીને નિયમો હળવા કરવાની માંગ કરી હતી. જો કે આ બાબતે કોઇ જ નિરાકરણ ન આવતા આજે યોજાયેલી હરાજીમાં રાઇડસ ધારકોએ હરાજીમાં રસ દાખવ્યો ન હતો અને ગેરહાજર રહ્યા હોવાનું જાણવા મળેલ છે.
આ પણ વાંચો: અગ્નિકાંડની દુર્ઘટના બાદ યોજાનાર લોકમેળાને લઈને તંત્રએ રાખી 44 શરત
રાજકોટમાં કલેકટર તંત્ર દ્વારા યોજાતા આ મેળામાં અગ્નિકાંડને લઈને લોકમેળામાં આ વખતે સલામતીને ધ્યાને લઈને થોડા નિયમો વધુ કડક કરાયા છે અને 44 નિયમો સાથેની SOP બનાવવામાં આવી છે. રેસકોર્સમાં યોજાતો મેળો સરકારની નજર હેઠળ આયોજન પામતો હોવાથી આ મેળામાં સખત નિયમોનું પાલન કરવામાં આવશે પરંતુ આ સમય દરમિયાન રાજકોટની ઘણી જગ્યાએ ખાનગી સંચાલકો દ્વારા યોજાતા મેળામાં તંત્ર કોઇ પગલા લેશે કે કેમ તે જોવું રહ્યું .