પંજાબના સીએમ ભગવંત માનને Paris Olympic માં જવાની મંજૂરી ના મળી, સામે આવ્યું આ કારણ
![Punjab CM Bhagwant Mann not Allowed to Go Paris Olympic This Reason](https://bombaysamachar.com/wp-content/uploads/2024/08/Bhagwant-Mann.webp)
નવી દિલ્હી : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને પેરિસ ઓલિમ્પિકમાં( Paris Olympic) જવાની મંજૂરી મળી નથી. કેન્દ્ર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. વિદેશ મંત્રાલયે સીએમને પેરિસ જવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. મુખ્યમંત્રી કાર્યાલયને શુક્રવારે મોડી સાંજે પેરિસ જવાની પરવાનગી ન મળવાની માહિતી મળી છે.
માન આજે પેરિસ જવા રવાના થવાના હતા
પંજાબના સીએમ માન ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલી ભારતીય હોકી ટીમનું મનોબળ વધારવા પેરિસ જવાના હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર માનને સુરક્ષાના કારણોસર પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવાની પરવાનગી નકારી દેવામાં આવી છે. ભગવંત માન આજે પેરિસ જવા રવાના થવાના હતા.
માને હોકી ટીમને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા
સીએમ ભગવંત માને પણ શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમની જીત પર ભારતીય હોકી ટીમને અભિનંદન પાઠવ્યા હતા. માને લખ્યું, ‘ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારતીય હોકી ટીમે ઓસ્ટ્રેલિયાને 52 વર્ષ બાદ હરાવ્યું છે. 3-2ની આ જીતમાં ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે બે મહત્વના ગોલ કર્યા અને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા બદલ સમગ્ર ટીમને અભિનંદન અને શુભેચ્છાઓ.
સીએમને સુરક્ષાના કારણે પેરિસ જતા અટકાવવામાં આવ્યા હતા
તમને જણાવી દઈએ કે હોકીમાં પંજાબના ખેલાડીઓની સંખ્યા વધુ હોવાના કારણે માન વ્યક્તિગત રીતે પોતાનું સમર્થન બતાવવા પેરિસ જવા ઉત્સુક હતા. કેન્દ્રએ મુખ્યમંત્રીની સુરક્ષાની ચિંતાઓને ટાંકીને આ નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રાલયનો આ નિર્ણય આંતરરાષ્ટ્રીય પ્રવાસ દરમિયાન તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવેલા કડક સુરક્ષા પગલાંને દર્શાવે છે. આ કારણે તેને આખરે મુસાફરી કરતા અટકાવવામાં આવ્યા છે.
Also Read –