વેષાંતર કરીને દેશની સુરક્ષા સાથે રમત કરનારા નાયબ મુખ્ય પ્રધાન ન જોઈએ: ઉદ્ધવ ઠાકરે
![Autocracy fatal to country: Uddhav Thackeray Favored the coalition government at the centre](https://bombaysamachar.com/wp-content/uploads/2024/04/Uddhav-Thackeray-.jpg)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરેએ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની જોરદાર ટીકા કરતાં કહ્યું હતું કે જો તેમને વેષાંતર કરીને ગૃહ પ્રધાન અમિત શાહને મળવું પડતું હોય તો આવી રીતે વેષાંતર કરીને દેશની સુરક્ષા સાથે રમત કરનારા અને પક્ષ ફોડનારો નાયબ મુખ્ય પ્રધાન અમને નથી જોઈતો. અનિલ દેશમુખ અને ફડણવીસ વચ્ચે જે આરોપ-પ્રત્યારોપ થયા તેના પરથી પણ ફડણવીસની ટીકા કરી હતી.
અનિલ દેશમુખે તે વખતે મને જણાવ્યું હતું. અમારી વચ્ચે મુલાકાત થઈ હતી ત્યારે તેમણે આખા પ્રકરણની માહિતી આપી હતી. કેવી રીતે ઘૃણાસ્પદ કામ કરનારા લોકો સત્તા પર બેઠા છે તે જુઓ. આ બધા જ લોકો અમાનુષ છે. કુટુંબ જોતા નથી, સંતાનો પર ખરાબ આરોપ કરીને તેમનું જીવન બરબાદ કરે છે. તેમને ખબર પડતી નથી કે તેમને પણ સંતાનો છે. કાલે તેમના સંતાનો પર આરોપ કરવામાં આવશે ત્યારે ખબર પડશે કે માતા-પિતાનું દુ:ખ શું હોય છે. પહેલાનો ભાજપ અલગ હતો, હવે આ અત્યંત ઘૃણાસ્પદ અને અમાનુષ પદ્ધતિએ કામ કરનારો છે. આ વૃત્તિ દેશમાંથી અને મહારાષ્ટ્રમાંથી નાબૂદ થવી જ જોઈએ એમ પણ તેમણે કહ્યું હતું.
રાજ્યની સુરક્ષાનો પ્રશ્ર્ન ગંભીર છે. તેના પર સંજય રાઉતે નિવેદન આપી દીધું છે. નામ બદલીને બીજાને છેતરીને જતા હોય તો અત્યંત ગંભીર બાબત છે. એરપોર્ટની સુરક્ષા બોગસ છે એ તેમણે સિદ્ધ કર્યું છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન કે ભૂતપૂર્વ વિપક્ષી નેતા વેષાંતર કરીને દેશના ગૃહ પ્રધાનને મળતા હોય તો તે ગૃહ પ્રધાનને પોતાને સ્વીકાર્ય છે કે? કેમકે તેઓ પોતે જ દેશની સુરક્ષાની જવાબદારી ધરાવે છે. જે માણસ સરકાર પાડવા માટે, પક્ષ ફોડવા માટે રમત કરતો હોય એવો નાયબ મુખ્ય પ્રધાન પદ પર રહેવો જોઈએ નહીં. આ ગૃહ પ્રધાને રાજીનામું આપવું જોઈએ જે ગૃહ પ્રધાન પોતાના અધિકારો પક્ષનાં હિત માટે વાપરતો હોય તે દેશનો ગૃહ પ્રધાન બનવાને લાયક નથી, એમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું.