પાંચ વર્ષમાં મહારાષ્ટ્રને મળ્યા ત્રીજા રાજ્યપાલ મળ્યા, કોણ છે નવા રાજ્યપાલ?
![Maharashtra got its third governor in five years, who is the new governor?](https://bombaysamachar.com/wp-content/uploads/2024/07/CP-radhakrishnan-new-governor.webp)
મુંબઈ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ રવિવારે દસ રાજ્યોમાં નવા રાજ્યપાલની નિમણૂંક વિશેનો આદેશ બહાર પાડ્યો હતો જે મુજબ મહારાષ્ટ્રને પણ નવા રાજ્યપાલ મળ્યા છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસનો કાર્યકાળ પૂરો થતા મહારાષ્ટ્રના નવા રાજ્યપાલ એટલે કે ગવર્નર તરીકે સી.પી.રાધાકૃષ્ણનની નિમણૂંક કરવામાં આવી છે.
સી. પી. રાધાકૃષ્ણન આ પહેલા ઝારખંડના રાજ્યપાલ હતા અને તેમને તેલંગણાના રાજ્યપાલ તરીકેનો વધારાનો કાર્યભાર પણ સોંપવામાં આવ્યો હતો. રાધાકૃષ્ણન છેલ્લાં પાંચ વર્ષમાં મહારાષ્ટ્રને મળેલા ત્રીજા રાજ્યપાલ છે. 2019થી 2023 દરમિયાન મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી હતા. ત્યાર પછી 18 ફેબ્રુઆરી 2023થી 28 જુલાઇ 2024 સુધી રમેશ બૈસે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે કારભાર સંભાળ્યો હતો. રાધાકૃષ્ણન હવે મહારાષ્ટ્રના 24મા રાજ્યપાલ તરીકે નિમણૂંક પામ્યા છે.
આ પણ વાંચો :મહારાષ્ટ્રના સીએમ Eknath Shindeએ શરદ પવાર પર પ્રહાર કર્યા, કહી આ મોટી વાત
રાધાકૃષ્ણનની રાજકીય કારકિર્દી
67 વર્ષના રાધાકૃષ્ણન દક્ષિણ ભારત ક્ષેત્રમાં ભાજપના મહત્ત્વપૂર્ણ નેતા રહ્યા છે. 4 મે, 1957માં જન્મેલા રાધાકૃષ્ણનો જન્મ તિરુપુરમાં થયો હતો અને માત્ર 16 વર્ષની ઉંમરે તેમણે પોતાના રાજકીય સફરની શરૂઆત આરએસએસ(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)માં જોડાઇને કરી હતી. ત્યાર પછી રાધાકૃષ્ણન જન સંઘમાં જોડાયા હતા અને રાજકારણમાં આગળ વધ્યા હતા.
તે કોઇમ્બતુર મતવિસ્તારમાંથી બે વખત સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા હતા અને 2004થી 2007 દરમિયાન તેમણે ભાજપના તામિલનાડુ એકમના અધ્યક્ષ તરીકે કામગિરી પણ સંભાળી હતી. રાધાકૃષ્ણન સંયુક્ત રાષ્ટ્ર (યુનાઇટેડ નેશન્સ)માં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
મોદી સરકારનો નિયમ અકબંધ, નો એક્સ્ટેન્શન
2014માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં આવી ત્યાર બાદ એકપણ રાજ્યપાલની મુદત વધારવામાં આવી નથી. એટલે કે કોઇપણ રાજ્યપાલને એક્સ્ટેન્શન આપવામાં આવ્યું નથી. આ પરંપરા ચાલુ રાખતા આ વખતે પણ જે પણ રાજ્યોના રાજ્યપાલની મુદત પૂરી થઇ રહી હતી તેમને મુદત વધારી આપવામાં આવી ન હતી અને તેમના સ્થાને નવા રાજ્યપાલોની નિમણૂંક કરવામાં આવી હતી.