![Spanish envoy Jose Maria Ridao attends the induction ceremony of the first C-295 military transport aircraft into the Indian Air Force at the Hindan Air Force Station on September 25, 2023](https://bombaysamachar.com/wp-content/uploads/2023/09/C-295.webp)
નવી દિલ્હીઃ સ્પેનના રાજદૂત જોસ મારિયા રિદાઓએ સોમવારે સ્પેનથી ભારતમાં આવેલા પ્રથમ C-295 મિડિયમ મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના આગમન પર ખુશી વ્યક્ત કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે મેડ્રિડ નવી દિલ્હીનું સૌથી વિશ્વસનીય દ્વિપક્ષીય ભાગીદાર બનવા માંગશે. સોમવારે હિંડન એરફોર્સ સ્ટેશન પર આયોજિત એક કાર્યક્રમમાં આ વિમાનને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, એરફોર્સ ચીફ વી.આર. રિદાઓ ચૌધરી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ સમારોહમાં હાજરી આપી હતી. એરબસ અને ટાટા એડવાન્સ સિસ્ટમ્સ (TASL)ના વરિષ્ઠ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં હાજર હતા.
સ્પેનિશ રાજદૂતે જણાવ્યું હતું કે, “સ્પેનથી પ્રથમ એરક્રાફ્ટ ભારતમાં આવી ગયું છે અને અમે આ ક્ષણે ખૂબ જ ખુશ છીએ. અમે આ કાર્યક્રમ સાથે ગાઢ રીતે સંકળાયેલા છીએ અને અમને લાગે છે કે અમારી પાસે આ વિશિષ્ટ ક્ષેત્ર (સંરક્ષણ ઉદ્યોગ)માં ભારતના મહત્વપૂર્ણ ભાગીદાર બનવાની સારી તક છે.
![](https://bombaysamachar.com/wp-content/uploads/2023/09/C-295-aircraft-1.webp)
અમારા માટે આ સારો દિવસ છે. ટાટા, એરબસ, સ્પેન અને ભારત માટે પણ આ સારો દિવસ છે.” તેમણે ઉંમેર્યુ હતું કે સ્પેનથી વધુ 16 વિમાન ભારત આવશે. આ સમયગાળા દરમિયાન, TASL બાકીના એરક્રાફ્ટના ઉત્પાદન માટે તૈયારી કરશે અને તેમને અહીં તૈયાર કરશે. આ કાર્યક્રમ હેઠળ ભારતમાં જ 40 વિમાનોનું ઉત્પાદન કરવામાં આવશે. આ વિમાનના ઉત્પાદન માટેની ટેક્નોલોજી સ્પેન ભારતને ટ્રાન્સફર કરશે.
રિદાઓએ કહ્યું કે સ્પેન અને તેની સરકાર આ પ્રોગ્રામ સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. સંરક્ષણ ક્ષેત્રમાં ભારતનું ભાગીદાર બનવું સ્પેન માટે ખૂબ જ સન્માનની વાત છે.