આનંદો! તુલસી તળાવ ઓવરફ્લો થયું
![Tulsi lake overflow](https://bombaysamachar.com/wp-content/uploads/2024/07/Tulsi-lake-overflow.webp)
તુલસી તળાવ, મુંબઈ માટે પીવાના પાણીના સાત મુખ્ય સ્ત્રોતો પૈકીનું એક છે, છેલ્લા કેટલાક દિવસોથી તેના કેચમેન્ટમાં ભારે વરસાદને પગલે શનિવારે ઓવરફ્લો થવાનું શરૂ થયું હતું. સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન (SGNP)ની અંદર આવેલું તુલસી તળાવ શનિવારે સવારે 8.30 વાગ્યાથી ઓવરફ્લો થવાનું શરૂ થયું હતું.
હાલમાં મુંબઇગરાને માથે 10 ટકા પાણી કાપ લાદવામાં આવ્યો છે. હવે તળાવ છલકાવાથી લોકોમાં રાહતની લાગણી છે કે ધીમે ધીમે બીજા તળાવ પણ છલકાશે અને પાણી કાપ દૂર થશે.
બીએમસીએ જણાવ્યું હતું કે તેના કેચમેન્ટમાં ભારે વરસાદને કારણે તળાવ ઓવરફ્લો થવા લાગ્યું હતું. ગયા વર્ષે આ જ દિવસે સવારે 1.28 વાગ્યાથી તુલસી તળાવ ઓવરફ્લો થવાનું શરૂ થયું હતું, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તેની સંગ્રહ ક્ષમતા 804.6 કરોડ લિટર છે.
આ પણ વાંચો: મુંબઈગરા માટે મહત્ત્વના ન્યૂઝઃ જળાશયોમાં પાણીનો સ્ટોક ઘટતા પાણીની તંગી સર્જાશે?
દક્ષિણ મુંબઈમાં BMC હેડક્વાર્ટરથી લગભગ 35 કિમી દૂર આવેલું તુલસી તળાવ સૌથી નાનું જળાશય છે જે મુંબઇ શહેરને પીવાનું પાણી સપ્લાય કરે છે. તે શહેરને દરરોજ 1.8 કરોડ લિટર પાણી સપ્લાય કરે છે.
આ તળાવ 1879માં 40 લાખ રૂપિયામાં બનાવવામાં આવ્યું હતું. આ તળાવ ઓવરફ્લો થાય ત્યારે તેમાનું પાણી SGNPની અંદર આવેલા વિહાર તળાવમાં જાય છે.
મુંબઈ, થાણે અને નાસિક જિલ્લામાં આવેલા ભાતસા, અપર વૈતરણા, મધ્ય વૈતરણા, તાનસા, મોડક સાગર, વિહાર અને તુલસી નામના સાત જળાશયોમાંથી મુંબઈને દરરોજ 3,800 MLD પાણી મળે છે.