છત્રપતિ શિવાજી મહારાજ યુગના ‘વાઘ-નખ’ને લંડનના મ્યુઝિયમમાંથી લાવ્યા અને હવે
![Chhatrapati Shivaji Maharaj era 'tiger-claw' brought from London museum and now](https://bombaysamachar.com/wp-content/uploads/2024/07/Tiger-Claw-Weapon.webp)
મુંબઈ: છત્રપતિ શિવાજી દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા ‘વાઘ નખ’ કે વાઘના પંજાના આકારના હથિયારને શુક્રવારે સાતારા ખાતે લાવવામાં આવશે અને એનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે એમ મહારાષ્ટ્રના પ્રધાન શંભુરાજ દેસાઈએ જણાવ્યું હતું.
લંડનના મ્યુઝિયમમાંથી લાવવામાં આવી રહેલું આ હથિયાર બુલેટ પ્રૂફ કવરમાં બંધ હશે અને એના માટે સુરક્ષા વધારી દેવામાં આવી છે એમ એક્સાઇઝ ખાતાના પ્રધાને આજે જણાવ્યું હતું. વધુ જાણકારી આપતા તેમણે જણાવ્યું હતું કે ‘વાઘ નખ’ સાત મહિના સુધી સાતારાના મ્યુઝિયમમાં રાખવામાં આવશે.
સાતારાના વાલી પ્રધાનનો હોદ્દો પણ ધરાવતા શંભુરાજ દેસાઈએ આજે જિલ્લાના છત્રપતિ શિવાજી સંગ્રહાલયમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘વાઘ નખને 19 જુલાઈના રોજ લંડન મ્યુઝમથી શાહુ નગરી (સાતારા) લાવવામાં આવી રહ્યા છે.’
વધુ જાણકારી આપતા દેસાઈએ જણાવ્યું હતું કે વાઘ નખ મહારાષ્ટ્રમાં લાવવામાં આવી રહ્યા છે એ એક પ્રેરણાદાયી ક્ષણ છે અને તેનું સતારામાં ભવ્ય સમારોહનું આયોજન કરી સ્વાગત કરવામાં આવશે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના બંને નાયબ મુખ્ય પ્રધાનનો જીવ માંડ બચ્યો…
મહારાષ્ટ્રના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન સુધીર મુનગંટીવારે ગયા અઠવાડિયે વિધાનસભામાં કહ્યું હતું કે લંડનથી રાજ્યમાં લાવવામાં આવી રહેલા વાઘ નખનો ઉપયોગ છત્રપતિ શિવાજી મહારાજે કર્યો હતો. આ ટિપ્પણી એવા સમયે તેમણે કરી છે જ્યારે એક ઇતિહાસકારે દાવો કર્યો હતો કે ૧૬૫૯માં બીજાપુર સલ્તનતના સેનાપતિ અફઝલ ખાનની હત્યા કરવા માટે મરાઠા સામ્રાજ્યના સ્થાપક દ્વારા વાઘ નખનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે સતારામાં જ હતા.
લંડનના વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમથી મહારાષ્ટ્રમાં હથિયાર લાવવા માટે સરકારે અનેક કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાના દાવાને મુનગંટીવારે નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે પ્રવાસ ખર્ચ અને કરાર પર હસ્તાક્ષર કરવા માટે 14.08 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.
લંડનનું મ્યુઝિયમ શરૂઆતમાં એક વર્ષ માટે હથિયાર આપવા માટે સંમત થયું હતું, પરંતુ રાજ્ય સરકારે તેને ત્રણ વર્ષ માટે રાજ્યમાં પ્રદર્શિત કરવા માટે સોંપવા માટે સમજાવ્યું હતું એવી જાણકારી મુનગંટીવારે આપી હતી. દેસાઈએ કહ્યું હતું કે ‘ઘણી કોશિશ કર્યા પછી મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સરકારના સફળ પ્રયાસોને કારણે વાઘ નખ મહારાષ્ટ્ર લાવવામાં આવી રહ્યા છે.’