15મી ઓગસ્ટને લઈને ખાલિસ્તાની સંગઠનો રચી રહ્યા છે ષડયંત્ર, Delhi પોલીસ એલર્ટ મોડ પર
![Khalistan organizations plotting on August 15, Delhi Police on alert mode](https://bombaysamachar.com/wp-content/uploads/2024/07/Khalistani.webp)
નવી દિલ્હી : 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસને લઈને ખાલિસ્તાની સંગઠનો મોટું ષડયંત્ર રચી રહ્યા હોવાની માહિતી સામે આવી છે. ખાલિસ્તાની ષડયંત્રને લઈને દિલ્હી(Delhi)પોલીસ એલર્ટ મોડ પર છે. આ સંગઠનો 15મી ઓગસ્ટે દિલ્હીમાં વિવિધ સ્થળોએ ખાલિસ્તાનીના નારા સાથે પોસ્ટર લગાવી શકે છે. દિલ્હી પોલીસને પણ ટાર્ગેટ કિલિંગના ઈનપુટ મળ્યા છે. આ ગુપ્ત માહિતી મળ્યા દિલ્હી પોલીસ કમિશનરે ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજી હતી. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ પણ એલર્ટ પર આવી ગઈ છે. 15 ઓગસ્ટને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ બેદરકારી રાખવા માંગતી નથી.
કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી
તાજેતરમાં ભારતમાં ખાલિસ્તાની ઘટનાઓમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં આવી ઘણી ઘટનાઓ જોવા મળી છે. જ્યારે દિલ્હી મેટ્રો સહિત ઘણી જગ્યાએ ખાલિસ્તાનના સમર્થનમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ બધાને જોતા દિલ્હી પોલીસે સ્વતંત્રતા દિવસ પર સતર્કતા વધારી દીધી છે. PM નરેન્દ્ર મોદી સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે. આ સંદર્ભે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
પંજાબમાં થોડા સમય પૂર્વે 3 ખાલિસ્તાની આતંકવાદીઓની ધરપકડ
પંજાબ પોલીસે પણ થોડા સમય પૂર્વે ખાલિસ્તાનીઓના નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી હતી. પોલીસે કેનેડામાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહના ત્રણ સાગરિતોની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા લખબીર સિંહના સાથીદારો ખંડણી નેટવર્ક, હથિયારો, પાકિસ્તાનથી આવતા ડ્રગ્સ અને અન્ય ગુનાઓમાં સામેલ હતા.
જલંધર પોલીસે છટકું ગોઠવીને તેમની ધરપકડ કરી હતી
પંજાબના ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા ત્રણેયના સંબંધ કેનેડામાં છુપાયેલા આતંકવાદી લખબીર સિંહ સાથે છે. 3 આરોપીઓ સંગઠિત અપરાધ અને ખંડણીનું મોટું નેટવર્ક ચલાવતા હતા. તમામ તથ્યોની તપાસ કર્યા બાદ જલંધર પોલીસે છટકું ગોઠવીને તેમની ધરપકડ કરી હતી. તેમણે કહ્યું કે ત્રણેય આરોપીઓને વિદેશી હેન્ડલરોએ હરીફ ગેંગના સભ્યોને મારવા માટે કામ સોંપ્યું હતું.
Also Read –