પૂજા ખેડકરે ચોરીના કેસના આરોપીને છોડી મૂકવા માટે ડીસીપી પર દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો
![Pooja Khedkar tried to pressure the DCP](https://bombaysamachar.com/wp-content/uploads/2024/07/Pooja-Khedkar-tried-to-pressure-the-DCP.webp)
મુંબઈ: વિવાદાસ્પદ આઇએએસ ઓફિસર પૂજા ખેડકરે ચોરીના કેસમાં ધરપકડ કરાયેલા શખસને છોડી મૂકવા માટે ડીસીપી પર દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો.
પનવેલ પોલીસ સ્ટેશનમાં 18 મેના રોજ આ ઘટના બની હતી, જ્યાં પૂજા ખેડકરે ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) વિવેક પાનસરેને કૉલ કર્યો હતો અને ચોરીના કેસમાં પકડાયેલા ટ્રાન્સપોર્ટર ઇશ્ર્વર ઉત્તરવાડેને છોડી મૂકવા માટે દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. નવી મુંબઈ પોલીસે હવે આ અંગે રાજ્ય સરકારને જાણકારી આપી છે.
ખેડકરે ડીસીપીને જણાવ્યું હતું કે ઉત્તરવાડે નિર્દોષ છે અને તેના પર લગાવાયેલા આરોપ મામૂલી છે. પાનસરે સાથેના કૉલ દરમિયાન ખેડકરે પોતાની ઓળખ આપી હતી. જોકે કૉલ કરનાર ખેડકર જ હતી કે બીજું કોઇ તેની ડીસીપીને ખાતરી નહોતી.
આ પણ વાંચો: દિલ્હી: 25 કરોડની ચોરીના કેસમાં છત્તીસગઢમાંથી 3 આરોપીની ધરપકડ, સોનું જપ્ત
પોલીસે આ કૉલ બાદ કોઇ કાર્યવાહી કરી નહોતી અને ઉત્તરવાડે હજી પણ કથિત ગુનામાં અદાલતી કસ્ટડીમાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ખેડકરની પ્રોબેશનરી આઇએએસ ઓફિસર તરીકે પુણેમાં નિયુક્તિ થતાં જ અલગ કેબિન અને કર્મચારીઓ આપવાની માગણી કરતાં વિવાદ ઊભો થયો હતો. વિવાદ બાદ તેની બદલી વાશિમ જિલ્લામાં થઇ હતી.
ખેડકરના વિવાદ અંગે જાણ થયા બાદ નવી મુંબઈ પોલીસે પુણે જિલ્લાધિકારી અને ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીને કૉલ વિશે જાણકારી આપી હતી.
ગૃહ વિભાગના અધિકારીની સલાહ પર ડીસીપી વિવેક પાનસરેએ કૉલ વિશે બે પાનાનો રિપોર્ટ ગૃહ વિભાગનો વધારાનો હવાલો સંભાળતા ચીફ સેક્રેટરી સુજાતા સૌનિકને નવી મુંબઈના પોલીસ કમિશનર મિલિંદ ભારંબે થકી મોકલ્યો હતો. (પીટીઆઇ)