આપણું ગુજરાતનેશનલ

‘ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર હુમલો મારી વાત સાચી સાબિત કરે છે’ રાહુલ અને પ્રિયંકાએ ભાજપને ઘેરી

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ ભાજપ પર પ્રહારો કરતા હિન્દુત્વ અંગે થઇ રહેલા રાજકારણનો ઉલ્લેખ કર્યો હતો, જે બાદ લોકસભા(Loksabha)માં NDAના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો. ભાજપે દેશમાં ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા અમદાવાદમાં આવેલા કોંગ્રેસના કાર્યાલય રાજીવ ભવન ખાતે તોડફોડ (Attack on congress office) કરવામાં આવી હતી, ઉપરાંત ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો પણ થયો હતો. ત્યાર બાદ રાહુલ ગાંધીએ ફરી ભાજપ પર પ્રહારો કર્યા છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પરનો હુમલો કાયરતાપૂર્ણ કૃત્ય હતું, અને આ ઘટનાથી સત્તાધારી પક્ષ ભાજપ વિશેની તેમની વાત સાબિત કરી હતી. રાહુલ ગાંધીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે INDIA ગઠબંધન રાજ્યની આગામી વિધાનસભા ચૂંટણીમાં વિજયી બનશે.

રાહુલ ગાંધી હિંદુ ધર્મ પરની તેમની ટિપ્પણી પર કાયમ રહ્યા, તેમણે કહ્યું કે હિંસા ફેલાવનારા ભાજપના લોકો ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને સમજતા નથી.

રાહુલ ગાંધીએ કહ્યું કે, “ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર કાયરતાપૂર્ણ અને હિંસક હુમલો ભાજપ અને સંઘ પરિવાર વિશેના મારા દાવાને સમર્થન આપે છે. હિંસા અને નફરત ફેલાવનારા ભાજપના લોકો હિંદુ ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને સમજી શકતા નથી.”

રાહુલ ગાંધીએ કહ્યું કે “ગુજરાતના લોકો તેમના(ભાજપના) જુઠ્ઠાણા સ્પષ્ટપણે જોઈ શકે છે અને ભાજપ સરકારને નિર્ણાયક પાઠ ભણાવશે. હું ફરી કહું છું – ગુજરાતમાં INDIA ગઠબંધન જીતવા જઈ રહ્યું છે!”

સંસદમાં રાહુલ ગાંધીની ટિપ્પણીના વિરોધમાં અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી હતી. પાર્ટીના પ્રવક્તા હેમાંગ રાવલે કહ્યું કે આ અંગે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, બજરંગ દળ અને વીએચપી દ્વારા તોડફોડ કરવામાં આવી હતી.

ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના સભ્યો મંગળવારે સાંજે પાર્ટી કાર્યાલયની બહાર બાખડ્યા હતા, કથિત રીતે પહેલા કોંગ્રેસ કાર્યાલયના બિલ્ડિંગ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ભાજપના કાર્યકરોએ માંગ કરી હતી કે ગાંધી લોકસભામાં તેમની ટિપ્પણી બદલ માફી માંગે.

સોમવારે રાહુલ ગાંધીએ લોકસભાને સંબોધિત કરતા ભાજપ અને આરએસએસ પર હિન્દુત્વના નામે હિંસા અને નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે “જેઓ પોતાને હિંદુ કહે છે… તેઓ હિંસા અને નફરત ફેલાવવામાં વ્યસ્ત છે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button