કટોકટી લાદનારાઓને બંધારણ પ્રત્યે પ્રેમ દાખવવાનો હક નથી: મોદી
![Emergency imposers have no right to show love for constitution: Modi](https://bombaysamachar.com/wp-content/uploads/2024/06/PM-Modi-slams-INDIA-bloc-amid-Constitution-protest-780x470.webp)
નવી દિલ્હી: કટોકટીની 49મી વરસી નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું હતું કે તે કાળા દિવસો આપણી યાદગાર છે કે કૉંગ્રેસે કેવી રીતે મૂળભૂત સ્વતંત્રતા પર અતિક્રમણ કરીને ભારતના જે બંધારણને લોકો આટલું સન્માન કરે છે તેને કચડી નાખ્યું હતું.
મુખ્ય વિપક્ષની ઝાટકણી કાઢતાં તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની એક પોસ્ટમાં કહ્યું હતું કે જે લોકોએ દેશ પર કટોકટી લાદી હતી તેમને બંધારણ પ્રત્યે પ્રેમ દાખવવાનો કોઈ જ અધિકાર નથી.
મોદીએ કહ્યું હતું કે આ એ જ લોકો છે, જેમણે સંખ્યાબંધ વખત કલમ 356નો ઉપયોગ કર્યો છે. અખબારોની સ્વતંત્રતા છીનવી લેવા માટે કાયદો કર્યો હતો. સંઘવાદને ખતમ કરી નાખ્યો હતો અને બંધારણના દરેક પાસાંનું ઉલ્લંઘન કર્યું હતું.
દેશમાં કટોકટી લાદનારી પાર્ટીમાં જે માનસિકતા ત્યારે હતી તે આજે પણ હયાત છે. તેઓ અત્યારે બંધારણ પ્રત્યેનો તેમનો પ્રેમ પ્રતિક રીતે દેખાડી રહ્યા છે, પરંતુ ભારતની જનતાએ તેમના ભૂતકાળના અનુભવ પરથી જોયું છે અને તેથી જ તેઓ વારંવાર તેમને નકારી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો : બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતના પ્રવાસે: નરેન્દ્ર મોદીને આપ્યું બાંગ્લાદેશ આવવાનું નિમંત્રણ
ફક્ત સત્તાને ચીપકી રહેવા માટે કૉંગ્રેસની સરકારે લોકશાહીના બધા જ સિદ્ધાંતોની અવહેલના કરી હતી અને આખા દેશને જેલમાં ફેરવી નાખ્યો હતો, એમ જણાવતાં મોદીએ કહ્યું હતું કે જે વ્યક્તિઓ આ પાર્ટી સાથે અસહમત હતા તેમને પાર્ટીએ ત્રાસ આપ્યો હતો.
સામાજિક રીતે પ્રતિગામી નીતિઓ લાગુ કરવામાં આવી હતી જેથી નબળા વર્ગોને લક્ષ્ય બનાવી શકાય, એમ તેમણે કહ્યું હતું.
25 જૂન, 1975ના રોજ ત્યારના વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી હતી. તેમણે નાગરિકોના અધિકારો છીનવી લીધા હતા અને વિપક્ષી નેતાઓ તેમ જ વિરોધીઓને અને બળવાખોરોને જેલમાં નાખી દીધા હતા અને અખબારો પર સેન્સરશીપ લાદી હતી.
વડા પ્રધાને કહ્યું હતું કે મંગળવારની વરસી એવો દિવસ છે જ્યારે કટોકટીનો પ્રતિકાર કરનારા દરેક મહાન નર અને નારીઓને અંજલી આપવામાં આવે. (પીટીઆઈ)