આપણું ગુજરાત

મલાઈદાર મનાતા મહેસૂલ વિભાગના અધિકારીઓએ શનિ-રવિની રજામાં કરવાનું રહેશે આ કામ

ગાધીનગરઃ મહેસૂલ વિભાગ હંમેશાં મલાઈદાર ખાતું માનવામાં આવતું હોય છે. આ વિભાગમાં ભ્રષ્ટાચારના કેસ પણ ઘણા થતા રહે છે. જોકે હાલમાં ગુજરાતના મહેસૂલ વિભાગના અધિકારી-કર્મચારીઓ માટે તો નવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે.

ગુજરાત સરકારના મહેસુલ વિભાગે શનિવારે અને રવિવારે પોતાના જિલ્લાના ત્રણ-ત્રણ ગામોની મુલાકાત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં સરકારી પડતર, ગૌચર ઉપરાંત સ્થાનિકો સાથે સંવાદ રચીને ફરીયાદો, પ્રશ્નો ઉકેલી, વિકાસના કામોની સમીક્ષા કરીને રીપોર્ટ કરવાનો રહેશે. જેના પગલે જાહેર રજાના દિવસોમાં પણ સરકારી કર્મચારીઓએ દોડધામ કરવાની રહેશે.

પ્રાપ્ત માહિતી મુજબ મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ એસીએસ મનોજ દાસે દરેક કલેકટરોને ત્રણ -ત્રણ ગામોમાં જાતે નિરીક્ષણ-સમીક્ષા કરીને રીપોર્ટ મોકલવાના આદેશ કર્યા હતા. જેના પગલે અમદાવાદ કલેકટર દ્વારા શેલા અને તેલાવ ગામ ખાતે ખાસ ગૌચર જમીન અને સરકારી પડતર જમીનની જાણવણી બાબતે લેવાયેલા પગલા સંદર્ભે સમીક્ષા કરી હતી.

ઉપરાંત ત્યા હાજર અધિકારી-પદાધિકારીઓ સાથે પંચાયત કચેરી મારફતે થતાં સ્થાનિક પ્રશ્નો અને કામો અંગે ચર્ચા કરી હતી. બીજી તરફ ગાંધીનગરથી આદેશ છૂટતા ખેડાના કલેકટર મામલતદાર કચેરી પહોંચી ગયા હતા. અને આધારકાર્ડ, જાતિ અને આવકના દાખલા સહિતના પ્રમાણપત્રો મેળવવામાં પડતી તકલીફો અંગે સ્થાનિકો પાસે વિગતો જાણી હતી જેમા કોઈ દલાલ કે વચેટીયા દ્વારા આ પ્રક્રિયા થતી હોય તો સીધા પોતાને જાણ કરવા કહ્યુ હતુ. દરમિયાન નાયબ મામલતદારની ગેરહાજરી મુદ્દે ફરીયાદો ઉઠતા તેમની સામે કાર્યાવાહી કરવાનું જણાવ્યુ હતું.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button