Chhagan Bhujbal અંગે હવે શરદ પવારે પણ કરી આ સ્પષ્ટતા
![Before the Assembly Election, the Sharad Pawar group made a big demand to the Election Commission](https://bombaysamachar.com/wp-content/uploads/2024/06/SHARAD-PAWAR.webp)
મુંબઈ: અજિત પવાર કાકા શરદ પવાર (Ajit Pawar and Sharad Pawar)થી છૂટા પડ્યા અને એનસીપીના બે ફાંટા પડ્યા ત્યારે એનસીપીના અનેક દિગ્ગજ નેતાઓ પણ અજિત પવાર સાથે મહાયુતિમાં જોડાયા હતા. આ મોટા નેતાઓમાંથી એક છગન ભુજબળ પણ હતા અને શરદ પવારના અત્યંત નજીકના મનાતા હતા. જોકે હાલમાં જ શરદ પવારે આપેલા નિવેદન બાદ છગન ભુજબળ (Chhagan Bhujbal) ફરી શરદ પવારની સાથે જોડાશે કે શું તેવી ચર્ચા ચાલી રહી છે.
એક બાજુ છગન ભુજબળને રાજ્યસભાની બેઠક નહીં મળતા તે અજિત પવારથી નારાજ હોવાનું કહેવાઇ રહ્યું છે અને કાલ સુધી તે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનામાં જોડાશે તેવી પણ ચર્ચા થઇ રહી હતી. જોકે ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતે આ વાતને રદિયો આપ્યો હતો. એવામાં હવે આ મુદ્દે શરદ પવારની પ્રતિક્રિયા સામે આવી છે.
શરદ પવારને છગન ભુજબળને પોતાના નિર્ણયનો પસ્તાવો થઇ રહ્યો છે કે શું એમ પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે આ બાબતે મને કોઇ જાણ નથી. હાલમાં જ છગન ભુજબળે કહ્યું હતું કે હું એનસીપીની સાથે છું. તેમણે વધુમાં કહ્યું હતું કે હું છેલ્લા દોઢ વર્ષથી છગન ભુજબળના સંપર્કમાં નથી. તેમણે મારો પણ સંપર્ક કર્યો નથી.
આ પણ વાંચો : ચૂંટણી વખતે ઉમેદવારી સમયે ગરીબ, પણ હવે નેતાજીએ ખરીદી બે મોંઘીદાટ ગાડી
લોકસભામાં વિપક્ષના નેતા કોણ હશે તેનો ફેંસલો કૉંગ્રેસ કરશે, એમ એનસીપી (શરદચંદ્ર પવાર જૂથ)ના વડા શરદ પવારે જણાવ્યું હતું. લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ સૌથી વધુ બેઠકો જીતી હોવાના કારણે વિપક્ષના નેતા કોણ હશે તે ફેંસલો કૉંગ્રેસ કરશે, એમ તેમણે જણાવ્યું હતું.
આ ઉપરાંત સંસદના નીચલા ગૃહમાં વિપક્ષના ડેપ્યુટી સ્પીકર બનાવવામાં આવે તે માટે પ્રયત્ન કરવામાં આવશે, તેમ પણ પવારે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે પહેલાથી જ નક્કી કર્યું હતું કે જે પક્ષ સૌથી વધુ બેઠકો જીતશે તે લોકસભામાં વિપક્ષના નેતા કોણ હશે તેનો ફેંસલો લેશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી નિયમોનું પાલન ન કરતા હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે આ બાબતે ચર્ચા કરવામાં આવશે, પરંતુ મને નથી લાગતું કે તેનાથી કોઇ ઉકેલ આવશે. વડા પ્રધાન મોદી પર નિશાન સાધતા પવારે કહ્યું હતું કે રાજ્યના લોકો સમજી ગયા છે કે છેલ્લાં પાંચ વર્ષમાં કરવામાં આવેલા વાયદાઓ પોકળ છે અને પૂરા કરવામાં આવ્યા નથી. લોકોને વિશ્ર્વાસ વડા પ્રધાન મોદી પરથી ઊઠી ગયો છે.
મરાઠા અને ઓબીસી (અધર બેકવર્ડ ક્લાસ) ક્વોટા અંગે વાત કરતા પવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અનામત મામલે મૂક પ્રેક્ષક બનીને બેસી ન શકે. તેમણે આ બાબતે ઉકેલ લાવવો જોઇએ. કેન્દ્રએ કાયદામાં ફેરફાર કરવા માટે આગળ આવવું જોઇએ અને કેન્દ્ર તેમ જ રાજ્યના કાયદાઓમાં ફેરફાર કરીને અનામતના મુદ્દાનો ઉકેલ લાવવો જોઇએ.