ઉત્તર પ્રદેશ છોડીને દક્ષિણની દિશા પકડવી Priyanka Gandhi માટે નહીં હોય આસાન, પડકારો ઝીલવા પડશે
![Leaving Uttar Pradesh and heading south will not be easy for Priyanka Gandhi, challenges will have to be overcome](https://bombaysamachar.com/wp-content/uploads/2024/06/Priyanka-Gandhi-and-Rahul-Gandhi.webp)
નવી દિલ્હી: ભાજપના હાથમાંથી અમેઠીની બેઠક આંચકીને કોંગ્રેસે પોતાની પારિવારિક બેઠક ફરીથી પોતાના હાથમાં લઈ લીધી છે. આ સાથે કોંગ્રેસની બીજી પારિવારિક બેઠક રાયબરેલી પણ રાહુલ ગાંધીએ જીતી છે અને હવે વાયનાડ બેઠક છોડીને તેમણે પ્રિયંકા ગાંધીની સંસદમાં એન્ટ્રી કરાવવા માટેનો માર્ગ મોકળો કરી દીધો છે. પરંતુ વાસ્તવિકતા કઈ અલગ છે અને પ્રિયંકા ગાંધીએ પોતાના માટેનું મેદાન જાતે જ પાર કરવું પડશે.
એક પ્રશ્ન એ પણ છે કે અમેઠી અને રાયબરેલીની જીતનો જશ કોને આપવો જોઈએ? રાહુલ ગાંધીને કે પ્રિયંકા વાડ્રાને ? કે પછી સ્મૃતિ ઈરાની કે ભાજપના નબળા પ્રદર્શનને ? આ બધા ફેક્ટર જોતાં એવું કહી શકાય કે આ તમામ બાબતોનું કોંગ્રેસની જીતમાં યોગદાન રહ્યું છે. અમુક સફળતાઓમાં ટીમવર્કની સાથે જ તાત્કાલિક પરિસ્થતિઓનું પણ યોગદાન રહેલું હોય છે. અમેઠીમાં સ્મૃતિ ઈરાનીને લઈને લોકોમાં રોષ હતો અને આમપણ ઉત્તર પ્રદેશમાં ભાજપ વિરુદ્ધનો માહોલ સર્જાયો હતો. આ પરિસ્થતિની વચ્ચે કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને આગળ કરીને ગરમ લોઢા પર હથોડા મારીને ઘાટ ઘડી લીધો.
આ પણ વાંચો : ગાંધી પરિવારમાંથી ચૂંટણી લડનાર Priyanka Gandhi દસમાં વ્યક્તિ
હાલ રાહુલ ગાંધીએ રાયબરેલી બેઠક પર તેમનું સાંસદ પદ યથાવત રાખીને વાયનાડ બેઠક છોડવાનો નિર્ણય લીધો છે. હવે આ બેઠક પરથી પ્રિયંકા ગાંધી પેટાચૂંટણી લડવાના છે. કોંગ્રેસ કે રાહુલ ગાંધી માટે આ નિર્ણય ગમે તેટલો સવાયો કેમ ન હોય પરંતુ પ્રિયંકા માટે એક પડકાર તો છે જ તેમાં કોઈ બેમત નથી. કોંગ્રેસ નેતૃત્વ દ્વારા પ્રિયંકા ગાંધીને એક નવા જ સંઘર્ષના માર્ગે મોકલી દીધા છે. ભલે પ્રિયંકા ગાંધી વાયનાડની પેટાચૂંટણી જીતી પણ જાય પરંતુ દક્ષિણ ભારતની રાજનીતિમાં રાહુલ ગાંધીની જેમ પોતાનું સ્થાન બનાવવું તેમના માટે સરળ તો નથી જ રહેવાનું.
પ્રિયંકા ગાંધી માટે કેવું રહેશે દક્ષિણનું રાજકારણ ?
- પ્રિયંકા ગાંધીએ મોટાભાગે ઉત્તર ભારત માટે જ કામ કર્યું છે અને તેમના માટે દક્ષિણ ભારતનું રાજકારણ એકદમ નવું રહેવાનું છે. તો બીજી તરફ રાહુલ ગાંધીનું આ પ્રદેશ સાથે આવન જાવન પણ ખૂબ જ રહ્યું છે, જાણે પોતે અહિયાથી જ મોટા થયા હોય. 2021 ની આસામ વિધાનસભા ચૂંટણીમાં અને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પ્રિયંકા એક્ટિવ જોવા મળ્યા હતા પરંતુ વાયનાડમાં તેઓ માત્ર રાહુલ ગાંધીની સહાયક ભૂમિકામાં જ જોવા મળ્યા હતા, ત્યાં ઉત્તર ભારતની જેમ પ્રચારના મુખ્ય નેતા નહોતા.
- બીજું પ્રિયંકા ગાંધીએ અનેક રાજ્યોમાં કોંગ્રેસ માટે ચૂંટણી માટે કેમ્પેઇન કર્યું છે. પંજાબમાં પણ તેમણે પંજાબી વહુ બનીને કોંગ્રેસ માટે મત માંગ્યા હતા. પરંતુ તેમણે સૌથી વધુ કામ ઉત્તરપ્રદેશ માટે અને ખાસ તો તેમની પારિવારિક બેઠક અમેઠી અને રાયબરેલી માટે જ કર્યું છે. સોનિયા ગાંધીની તબિયત નાદુરસ્ત હોય ત્યારે મોટાભાગની જવાબદારીઓ પ્રિયંકાએ જ નિભાવી છે. રાયબરેલીના લોકો માટે તેમણે દિલ્હીમાં દરબાર પણ બારી ચૂકી છે.
- સફળતા હાથ કરવામાં પ્રિયંકા ગાંધીને પાંચ વર્ષ લાગી ગયા અને ભાજપ પાસેથી અમેઠી જીતવું એ કઈ નાની સુની વાત નથી. એ પણ એવા સમયે કે જ્યારે કોંગ્રેસને રાયબરેલીમાં જીતવું લોઢાના ચણા ચાવવા બરાબર માનવામાં આવતું હતું. પ્રિયંકાએ 2019 થી કોંગ્રેસ મહાસચિવ પદની જવાબદારી સ્વીકારી હતી અને એ જ વર્ષે અમેઠીમાં રાહુલ ગાંધીની હાર થઈ હતી. આ હારથી પ્રિયંકાની છાપ ખરડાઇ હતી કરણ કે આ ચૂંટણીમાં તેઓ કેન્દ્રસ્થાને રહ્યા હતા. 2022ના વર્ષે હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પણ પ્રિયંકાએ કેમ્પેઇન ચલાવ્યું હતું. પોતાના ઘરને બચાવવાની સાથે અમેઠીમાં સ્મૃતિ ઈરાનીની હારને લઈને પ્રિયંકાની રણનીતિ કારગત નીવડી હતી.
- ઉત્તર પ્રદેશમાં ભાજપ વિરુદ્ધનો એક માહોલ સર્જાયો હતો તે સત્ય છે પરંતુ અમેઠીની જીત પણ કોંગ્રેસને પાણીના ભાવે તો નથી જ મળી. કોંગ્રેસે કે. એલ. શર્માને મેદાનમાં ઉતારીને તેમની જીતની જવાબદારી પણ પ્રિયંકા ગાંધીના માથે સોંપી દીધી હતી અને ત્યાં પણ કોંગ્રેસને જિતાડીને પ્રિયંકા ગાંધીએ પોતાની કાર્યદક્ષતા સાબિત કરી દીધી છે.
આ પણ વાંચો : Politics: Rahul Gandhi હવે રાયબરેલીના સાંસદ, Priyanka Gandhi લડશે વાયનાડથી ચૂંટણી
રાહુલ ગાંધી માટે યુપી સંભાળવું સરળ રહેશે ?
ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની વચ્ચે એક સેતુની જવાબદારી પ્રિયંકા ગાંધીએ નિભાવી છે, યુપી વિધાનસભાની ચૂંટણીમાં સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરાવ્યું હતું પરંતુ અંતે તે તૂટી ગયું હતું. હવે અખિલેશે પણ દિલ્હીના રાજકારણ તરફ મીટ માંડી છે, તેઓએ કરહલ વિધાસભા બેઠક પણ છોડી છે. હવે તેઓ તેમના પિતાની જેમ કેન્દ્રના રાજકારણમાં પોતાનું સ્થાન જમાવવા માંગે છે. હાલ તેમને કદાચ ખ્યાલ આવી ગયો હો કે યુપીમાં સતા હાથમાં આવે તેવા કોઈ એંધાણ તો છે નહિ અને કદાચ આવે તો પણ ડિમ્પલ યાદવ સહિત તેમની ટીમ છે જ તે સંભાળી લેશે.
બની શકે કે અખિલેશ યાદવના લક્ષ્યથી રાહુલ ગાંધી વાકેફ થાય તો શું સ્થતિ સર્જાય તે પણ મહત્વનો પ્રશ્ન છે. અખિલેશ યાદવનું પીએમ પદનું સ્વપ્ન અને તેને લઈને રાહુલ ગાંધી સાથે તેનો સ્વાર્થ ટકરાઇ તો ગઠબંધનનો હાલ શું થાય તે જોવું રહ્યું. જો કે બીજી તરફ રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડીને તેમના વિરોધીઓન આરોપોને સાચા કરી બતાવ્યા છે અને જો પ્રજાએ તેનો વિરોધ પેટાચૂંટણીમાં બતાવ્યો તો કોંગ્રેસ અને પ્રિયંકા માટે વિકટ પરિસ્થતિ સર્જાઇ શકે છે.