Train Accident: પશ્ચિમ બંગાળના ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 15 થયો, મૃતકના પરિજનોને 10 લાખના વળતરની જાહેરાત
![Train Accident: Death toll rises to 15 in West Bengal train accident, 10 lakh compensation announced to the family of the deceased](https://bombaysamachar.com/wp-content/uploads/2024/06/WhatsApp_Image_2024-06-17_at_104926_AM_1718602233252_1718602233532.webp)
જલપાઈગુડી: પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં સોમવારે સવારે એક મોટો ટ્રેન અકસ્માત(Train Accident)થયો હતો. કંચનજંગા એક્સપ્રેસને (Kanchanjungha Express)ન્યૂ જલપાઈગુડીના રંગપાની સ્ટેશન પાસે પાછળથી આવતી માલગાડીએ ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 15 લોકોના મોત થયા હતા અને 60થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા.આ અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઘાયલોની સંખ્યા વધી શકે છે. કંચનજંગા એક્સપ્રેસ આસામના સિલચરથી સિયાલદહ જઈ રહી હતી.
પાર્સલ વેનના લીધે મોટી દુર્ઘટના ટળી
આ દુર્ઘટના પાછળનું પ્રાથમિક કારણ ગુડ્સ ટ્રેનના ડ્રાયવરે સિગ્નલ તોડવાનું માનવામાં આવી રહ્યું છે. તેમજ ઉભી રહેલી ટ્રેનના પાર્સલ વેનના લીધે મોટી દુર્ઘટના ટળી હતી. આ દુર્ઘટનામાં ગુડ્સ ટ્રેનના બંને લોકો પાયલોટના અને કંચનજંગા એક્સપ્રેસના ગાર્ડના મૃત્યુ થયા છે. રેલ્વેએ કહ્યું કે ઘટના સ્થળે બચાવ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. અને રેલવે રુટ ક્લિયર કરવામાં આવી રહ્યો છે.
જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 10 લાખ રૂપિયા
પશ્ચિમ બંગાળ ટ્રેન દુર્ઘટના પર રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પીડિતોને વળતરમાં વધારો કરવામાં આવશે. અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 10 લાખ રૂપિયા અને ઘાયલોને 2.5 લાખ રૂપિયા આપવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે અકસ્માતમાં જેમને નાની-મોટી ઈજા થઈ છે તેમને 50,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે.
આ પણ વાંચો : Train Accident :પશ્ચિમ બંગાળમાં કંચનજંગા એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ, અનેક લોકોના મોત
પીએમ મોદીએ પણ ઘટનાની સમીક્ષા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રેન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે દાર્જિલિંગમાં ટ્રેન દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે ઊંડી સંવેદના છે. પીએમ મોદીએ કહ્યું કે તેમણે દુર્ઘટના અંગે અધિકારીઓ સાથે વાત કરી અને સ્થિતિનો તાગ મેળવ્યો છે.