T20 World Cup: ભારતના આ બે ક્રિકેટર ટી-20 વર્લ્ડ કપમાંથી પાછા આવી રહ્યા છે!
ફોર્ટ લૉઉડરહિલ (ફ્લોરિડા): ટી-20 વર્લ્ડ કપની અડધા ભાગની મૅચો રમાઈ ગઈ છે અને અમેરિકામાં બે મૅચ રમાયા બાદ હવે બાકીની બધી મૅચો (ફાઇનલ સહિત) વેસ્ટ ઇન્ડિઝમાં રમાશે. ભારત 19મી જૂને શરૂ થઈ રહેલા સુપર-એઇટ રાઉન્ડમાં પહોંચી ગયું છે અને ભારતની એ પહેલાં ફક્ત કૅનેડા સામેની મૅચ (શનિવાર, 15મી જૂને) રમાવાની બાકી છે. આ મૅચ પછી બે ભારતીય ખેલાડીઓને સ્કવૉડમાંથી છૂટા કરી દેવામાં આવશે. એમાં ઓપનર શુભમન ગિલ અને પેસ બોલર આવેશ ખાનનો સમાવેશ છે.
ભારત સુપર-એઇટ રાઉન્ડમાં પહોંચી ગયું છે એટલે ટીમ-મૅનેજમેન્ટને લાગી રહ્યું છે કે હવે ચાર રિઝર્વ્ડ ખેલાડી રાખવાની જરૂર નથી.
જોકે બીજા બે રિઝર્વ્ડ પ્લેયર રિન્કુ સિંહ અને ખલીલ અહમદને ટીમ ઇન્ડિયાની સાથે જ રહેવાનું કહેવામાં આવ્યું છે.
શુભમન અને આવેશને સુપર-એઇટ પહેલાં રિલીઝ કરી દેવામાં આવશે એવું આયરલૅન્ડ સામેની પ્રથમ મૅચ પછી જ નક્કી રાખવામાં આવ્યું હતું.
રિન્કુ સિંહને શિવમ દુબેના વિકલ્પ તરીકે જાળવી રાખવામાં આવ્યો છે. રિન્ક મિડલ-ઑર્ડરમાં રમીને મૅચ ફિનિશર તરીકેનું યોગદાન પણ ટીમને આપી શકે એમ છે.
પેસ બોલર ખલીલ લેફ્ટ-આર્મ બોલર છે અને જો અર્શદીપ સિંહ ઈજા પામે તો તેના સ્થાને જરૂર લાગશે તો ખલીલને રમાડાશે.