Modi 3.0 ના ગઠન બાદ કિસાન નિધિ પર પ્રથમ નિર્ણય, ખેડૂતોને 20 હજાર કરોડ રૂપિયા મળશે
![Modi 3.0, farmers will get 20 thousand crore rupees by kishan nidhi](https://bombaysamachar.com/wp-content/uploads/2024/06/Yogesh-2024-06-10T124212.458.jpg)
નવી દિલ્હી : રવિવારે સાંજે ત્રીજી વાર પીએમ પદના શપથ લીધા હતા. જેની બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સવારે સાઉથ બ્લોક પહોંચ્યા હતા. પીએમ મોદીએ(Modi 3.0)તેમના ત્રીજા કાર્યકાળના પ્રથમ નિર્ણયમાં કિસાન નિધિના 20 હજાર કરોડ રૂપિયા જાહેર કર્યા હતા. તેનાથી દેશના 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે.
પીએમ મોદી સહિત 72 મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ લીધા
રવિવારે સાંજે જ વડાપ્રધાન મોદી સહિત 72 મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં રચાયેલી NDA સરકારમાં 30 કેબિનેટ પ્રધાનો, પાંચ રાજ્ય પ્રધાનો (સ્વતંત્ર હવાલો) અને 36 રાજ્ય પ્રધાનો પ્રધાનમંડળમાં જોડાયા હતા. રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, નિર્મલા સીતારમણ અને એસ જયશંકર, જેઓ મોદી સરકારના બીજા કાર્યકાળના કેબિનેટનો હિસ્સો હતા.
તેમણે ત્રીજા કાર્યકાળમાં પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. પંડિત જવાહરલાલ નેહરુ બાદ વડાપ્રધાન મોદી સતત ત્રીજી વખત પીએમ પદના શપથ લેનારા બીજા રાજનેતા બન્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં વિવિધ રાજકારણીઓ, ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો અને ઉદ્યોગપતિઓ પણ હાજર રહ્યા હતા.
પ્રથમ કેબિનેટ બેઠક આજે સાંજે 5 વાગ્યે
મોદી સરકારના ત્રીજા કાર્યકાળની પ્રથમ કેબિનેટ બેઠક આજે સાંજે 5 વાગ્યે વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાવાની છે. મોદી કેબિનેટની ખાસિયત એ છે કે આ કેબિનેટમાં ત્રણ પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, મનોહર લાલ ખટ્ટર અને એચડી કુમારસ્વામી સામેલ છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અમિત શાહ સાથે મુલાકાત કરી
આ મંત્રી મંડળમાં પાંચ મહિલા મંત્રીઓનો સમાવેશ થાય છે.જેમાં નિર્મલા સીતારમણ, અન્નપૂર્ણા દેવી, શોભા કરંદલાજે, રક્ષા ખડસે, સાવિત્રી ઠાકુર, નિમુબેન બાંભણિયા અને અપના દળના સોનેલાલ સાંસદ અનુપ્રિયા પટેલનો સમાવેશ થાય છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.અમિત શાહ બાદ યોગી આદિત્યનાથે રાજનાથ સિંહ સાથે પણ મુલાકાત કરી હતી.