શિવસેના-યુબીટીના વિજયમાં મુસ્લિમોનું મોટું યોગદાન
![Major contribution of Muslims in Shiv Sena-UBT victory](/wp-content/uploads/2024/06/shivsena-utb.webp)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધનને ભારે મોટો ફટકો પડ્યો હોવાનું જોવા મળ્યું છે, જ્યારે મહાવિકાસ આઘાડીને સારી સફળતા મળી છે. રાજ્યમાં મહાવિકાસ આઘાડીને મળેલી 29 બેઠકોમાં રાજ્યના દલિત અને મુસ્લિમ મતદારોનું મોટું યોગદાન હોવાનું કહેવાય છે.
કૉંગ્રેસને 13 અને શિવસેના-યુબીટીને રાજ્યમાં નવ બેઠકો પર વિજય મળ્યો તેમાં મુસ્લિમ મતોનું મોટું યોગદાન હતું. હિન્દુ હૃદય સમ્રાટ બાળ ઠાકરેના પુત્ર શિવસેના-યુબીટીને રાજ્યમાં નવ બેઠકો પર વિજય મળ્યો, તેમાં મુસ્લિમ મતોનું યોગદાન હોવાનું કહેવાઈ રહ્યું છે.
દેવેન્દ્ર ફડણવીસ દ્વારા ચૂંટણી પંચને એવી ફરિયાદ કરવામાં આવી હતી કે રાજ્યની 36 મસ્જિદોમાંથી પક્ષ વિશેષને વિજયી બનાવવાના ફતવા બહાર પાડવામાં આવ્યા હતા અને વોટ જેહાદ કરવામાં આવી હતી, આ આચારસંહિતાનો ભંગ છે. આ ફરિયાદ પર હજી સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી.
વાસ્તવમાં શિવસેનાના બંને જૂથો હિન્દુઓના મતદાન પર વિજય મેળવશે એવું માનવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે શિવસેના યુબીટીને જે નવ બેઠકો પર વિજય મળ્યો છે, તેમાં મુસ્લિમો દ્વારા મોટા પાયે મતદાન કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. અરવિંદ સાવંત, અનિલ દેસાઈ, સંજય દીના પાટીલ જેવા મુંબઈના ઉમેદવારો સહિત રાજ્યના અનેક શિવસેના-યુબીટીના ઉમેદવારોને મોટી સંખ્યામાં વોટ જેહાદના મતો મળ્યા હોવાથી તેમનો વિજય થયો હોવાથી હવે તેમને હિન્દુત્વવાદી પક્ષ કહી શકાય નહીં, એમ રાજકીય નિરીક્ષકોએ નોંધ્યું હતું.
રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ વાસ્તવિક શિવસેના અંગેના સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે શિવસેના-યુબીટીને શિવસૈનિકોના મતો મળ્યા નથી, તેમને ક્યા સમાજના મતો મળ્યા છે તે સર્વવિદિત છે. સ્વ. બાળ ઠાકરે અત્યારે જીવતા હોત તો તેમના આત્માને આ સ્થિતિ જોઈને કેટલું દુ:ખ થયું હોત તેની ચિંતા અમને સતાવી રહી છે.