મોરબીના વર્ષામેડી ગામે તળાવમાં નહાવા પહેલા 3 બાળકોના મોત, જિલ્લામાં એક જ સપ્તાહમાં બીજી ઘટના
![3 children die before bathing in lake in Varshamedi village of Morbi](https://bombaysamachar.com/wp-content/uploads/2024/05/Jignesh-MS-2024-05-22T190910.531.jpg)
મોરબી : મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના વર્ષામેડી ગામે આજે બુધવારે બપોરના સમયે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ માસુમ બાળકોના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજતા અરેરાટી મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે, આ બાળકો ઘેરથી કહ્યા વગર તળાવમાં ન્હાવા ગયા હોવાનું અને ત્રણેય બાળકોના પિતા મજૂરીકામ કરતા હોવાનું જાણવા મળે છે. ભુલકાઓના મોતના કારણે સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.
આ દુર્ઘટના અંગે માળીયા મિયાણા પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના વર્ષામેડી ગામે રહેતા શૈલેષ અમરશીભાઇ ચાવડા ઉ.8, ગોપાલભાઈ કાનજીભાઈ ચાવડા ઉ.12 અને મેહુલ ભુપતભાઇ મહાડિયા ઉ.10 નામના બાળકો બુધવારે બપોરના સમયે ગામના તળાવમાં ન્હાવા જતા ડૂબી જવાથી ત્રણેય બાળકોના મૃત્યુ નિપજ્યા હતા.
બાળકોના પરિવારજનોએ જણાવ્યું હતું કે, ગામમાં આવેલ તળાવમાં બાળકો કહ્યા વગર ન્હાવા જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. વર્ષામેડી ગામે બનેલી આ ઘટનામાં શૈલેષ અમરશીભાઇ ચાવડા ઉ.8, ગોપાલભાઈ કાનજીભાઈ ચાવડા ઉ.12 નામના બન્ને બાળકો કૌટુંબિક ભાઈ થતા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: ઇઝરાયલ ગાઝાની હોસ્પિટલોને નિશાના બનાવી રહ્યું છે! ગાઝામાં 3300થી વધુ બાળકોના મોતનો દાવો
ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયામાં મોરબીના મચ્છુ-2 ડેમમાંથી પાણી છોડવામાં આવતા મોરબી તાલુકાના સાદુળકા નજીક નદીમાં ન્હાવા પડેલા એક યુવાન અને બે સગીરના મૃત્યુ નિપજવાની ઘટનાં હજુ તાજી જ છે ત્યાં બીજી દુર્ઘટના સર્જાતા અરેરાટી વ્યાપી જવા પામી છે.
ઉલ્લેખનીય છે કે મોરબીમાં દિવસે ને દિવસે પાણીમાં ડુબી જવાની ઘટનાઓ વધી રહી છે, ગત સપ્તાહે મોરબીના મચ્છુ-2 ડેમમાંથી પાણી છોડવામાં આવતા મોરબી તાલુકાના સાદુળકા નજીક મચ્છુ નદીમાં નહાવા પડેલા એક યુવાન અને બે સગીરના મૃત્યુ નિપજવાની ઘટનાં હજુ તાજી જ છે. આ ઘટનાને હજુ અઠવાડિયુ પણ નથી થયું ત્યાં માળિયા તાલુકાના વર્ષામેડી ગામના ત્રણ બાળકોના મોત પણ પણ પાણીમાં ડુબવાથી થતાં સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો છે.