લોકસભા ચૂંટણીઃ નાશિકની બેઠક પર શિંદે અને ઠાકરેના ઉમેદવાર પર સૌની નજર

મુંબઈ: મહારાષ્ટ્રમાં નાશિક બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવે છે અને આ લોકસભાની ચૂંટણીમાં આ બેઠક પર એકનાથ શિંદેની શિવસેના અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના ઉમેદવાર ચૂંટણી લડશે. નાશિક લોકસભાની બેઠકમાં સિન્નર, નાશિક પૂર્વ, નશિક મધ્ય, દેવલાલી, નાશિક પશ્ચિમ અને ઇગતપુરી આમ કુલ છ વિધાનસભા ક્ષેત્રનો સમાવેશ થાય છે.
આ બેઠક પર મતદાનના પાંચમા તબક્કામાં 20મી મેના રોજ મતદાન યોજવામાં આવશે. અહીં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના રાજાભાઉ વાજેને ઉમેદવારી આપવામાં આવી છે ત્યારે એકનાથ શિંદેની શિવસેના તરફથી હેમંત ગોડસેને ઉમેદવારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચો: દિંડોરી-નાશિક બેઠક પરથી 10 જણે ઉમેદવારી પાછી ખેંચી
જોકે આ વખતે ગોડસેનું પલડું વધારે દર વખતની જેમ ભારે લાગતું નહીં હોવાનું રાજકીય નિષ્ણાતોનું માનવું છે. ગોડસે સતત બે વખતથી આ બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. જોકે કેન્દ્ર સરકારના ખેડૂતોને લગતા કાયદાના કારણે આ વખતે ખેડૂતોમાં અસંતોષ હોવાનું પણ કહેવાય છે.
એટલે કે જીતની હેટ ટ્રીક માટે ગોડસેએ આ વખતે વધુ જોર લગાવવું પડશે, તેવું માનવામાં આવે છે. આ વખતે રાજાભાઉ વાજે ગોડસેને સારી લડત આપી શકે છે. બીજી બાજુ ઠાકરે જૂથના વિદ્રોહી વિજય કરાંજકર છઠ્ઠી મેએ મુંબઈ ખાતે પોતાના સમર્થકો સાથે શિંદે જૂથમાં સામેલ થયા હતા તેનો ફાયદો ગોડસેને થઇ શકે છે. પરંતુ જો વિજય કરાંજકર અપક્ષ ચૂંટણી લડવાનું વિચારે તો મત કપાઇ શકે તેવી પણ શક્યતા છે.
આ પણ વાંચો: મહાયુતિમાં મુશ્કેલી! નાશિક અને માઢા બેઠકનો વિવાદ: શિંદે જૂથની માગણી પર અજિત પવારે બેઠકમાં શું કહ્યું?
2019માં ગોડસેએ અવિભાજિત શિવસેના તરફથી ચૂંટણી લડી હતી અને એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના સમીર ભુજબળને હરાવ્યા હતા, જ્યારે 2014ની ચૂંટણીમાં એનસીપી તરફથી ચૂંટણી લડનારા છગન ભુજબળને ગોડસેએ હરાવ્યા હતા.