Air India Crisis: એર ઈન્ડિયાની 82 ફ્લાઈટ્સ રદ, કમચારીઓનો બળવો, મુસાફરો રઝળ્યા
![Air India Crisis: 70 Air India flights cancelled, passengers confused, know what is the reason](https://bombaysamachar.com/wp-content/uploads/2024/05/air-india-express-file-photo-080011893-16x9-1.webp)
નવી દિલ્હી: ભારતીય એરલાઈન્સ ઇન્ડસ્ટ્રી છેલ્લા ઘણા સમયથી સતત વિવાદોમાં રહી છે, ગત મહીને ટાટા ગ્રુપની વિસ્તારા એરલાઈન્સ(Vistara Airline)માં ઉભી થયેલી કર્મચારીઓની કટોકટી બાદ હવે ટાટા ગ્રુપની વધુ એક એરલાઈન્સ એર ઇન્ડિયા(Air India)માં મુશ્કેલીમાં સપડાઈ છે. એર ઈન્ડિયાની એક સાથે 82 ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી છે. એરલાઈન્સના સંખ્યાબંધ કર્મચારીઓ એક સાથે રજા પર ઉતરી જતા એરલાઈન્સને ફ્લાઈટ્સ રદ કરવાની ફરજ પડી છે.
એર લાઈન્લસના લગભગ 300 કેબિન ક્રૂ મેમ્બર્સે છેલ્લી ઘડીએ બીમાર હોવાની જાણ કરીને તેમના મોબાઇલ ફોન બંધ કરી દીધા છે. જેના કારણે તેમનો સંપર્ક થઇ શક્યો નથી.
એક સાથે આટલી બધી ફ્લાઇટ કેન્સલ થવાના કારણે હજારો મુસાફરો મુસાફરોના બુકિંગ પર અસર પડી છે. મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહેવાલ મુજબ મધ્ય પૂર્વ અને ખાડી દેશોની મોટાભાગની ફ્લાઇટ્સ રદ કરવી પડી છે. અચાનક ફ્લાઇટ રદ થવાને કારણે ઘણા મુસાફરો એરલાઈન્સ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર રોષ ઠાલવી રહ્યા છે.
એર ઈન્ડિયા એક્સપ્રેસે જણાવ્યું હતું કે કેબિન ક્રૂ સભ્યોની અછતને કારણે તેણે કેટલીક ફ્લાઈટ્સ રદ કરી છે. એરલાઈન્સમાં પ્રવક્તાએ જણાવ્યું કે, “અમારા કેબિન ક્રૂના એક વિભાગે છેલ્લી ઘડીએ બીમાર હોવાની જાણ કરી છે, જેના પરિણામે કેટલીક ફ્લાઈટ્સ ડીલે અને કેટલીક રદ થઈ હતી. જ્યારે અમે આ ઘટનાઓ પાછળના કારણોને સમજવા માટે ક્રૂ મેમ્બર્સ સાથે વાતચીત કરી રહ્યા છીએ.”
કંપનીએ જણાવ્યું કે તમામ મુસાફરોને કાં તો રિફંડ આપવામાં આવશે અથવા તેમને બીજી ટિકિટ ઓફર કરવામાં આવશે. અમે આ અસુવિધા માટે મુસાફરોની નિષ્ઠાપૂર્વક માફી માંગીએ છીએ. મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ એરપોર્ટ પર જતા પહેલા તેમની ફ્લાઇટનું સ્ટેટ્સ તપાસી લે.
અહેવાલ મુજબ એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ મર્જ થવા જઈ રહી છે. તેના કારણે, ઘણા કર્મચારીઓને લાગે છે કે તેમની નોકરી જોખમમાં છે અને કોઈપણ સમયે છટણી થઈ શકે છે. જેની સામે વિરોધના ભાગરૂપે તમામ કર્મચારીઓએ એકસાથે રજા લીધી છે.
એરલાઇનના કેબિન ક્રૂના એક વિભાગનું પ્રતિનિધિત્વ કરતા યુનિયન દ્વારા ગયા મહિને એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે એરલાઇનમાં ગેરવહીવટ વ્યાપેલો છે અને સ્ટાફ સાથે સમાન વ્યવહાર નથી થઇ રહ્યો. એર ઈન્ડિયા એક્સપ્રેસ એમ્પ્લોઈઝ યુનિયન (AIXEU) એ આરોપ લગાવ્યો કે ઘણી બાબતોના ગેરવહીવટને કારણે કર્મચારીઓના મનોબળને પણ અસર થઈ છે.