જાહેર પરિવહન માટે ગુજરાત સરકારે ઘણી નવી બસને જોવામાં જોડી છે, જે સરાહનીય છે, પરંતુ ઘણા બસ સ્ટેન્ડની હાલત જર્જરિત છે, શૌચાલયો સહિય યોગ્ય વ્યવસ્થા નથી ત્યારે સરકારે આવી માલખાકીય સુવિધાઓ પરત્વે પણ ધ્યાન આપવું જોઈએ. આવું એક બસ સ્ટેન્ડ છે સૌરષ્ટ્રના જામનગરમાં. અહીં આવતીકાલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી 151 બસોનું લોકાર્પણ કરવાના છે, પણ ડેપોની હાલત કફોડી છે.
જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે તમામ 151 બસોને ગોઠવી દેવાઈ છે. આવતીકાલે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી 151 બસોનું લોકાર્પણ કરશે. પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં કેબીનેટ પ્રધાન રાઘવજીભાઈ પટેલ અને મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહેશે. એસટી ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ વહેલી સવારથી જ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચ્યા છે અને અહીં તમામ 151 જેટલી બસોને સ્ટેન્ડ રખાઈ છે.
એક બાજુ રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં 151 બસોનું લોકાર્પણ કરશે, તો બીજી બાજુ જામનગર નો એસટી ડેપો વર્ષોથી જર્જરીત હાલતમાં છે. લોકોએ અનેક વખત એસટી ડેપોના રિનોવેશન તેમજ નવું એસટી ડેપો બનાવવાની માંગ પણ કરી હતી છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં આવી નથી.
એસટી ડેપોમાંથી અવારનવાર પોપડાઓ પડવાની ઘટનાઓ બને છે અને મુસાફરોના જીવ જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. થોડા દિવસો પહેલા ધારાસભ્ય રિવાબા જાડેજાએ પણ રાજ્ય સરકાર સમક્ષ જામનગરમાં નવો એસટી ડેપો બનાવવાની પત્ર લખી અને માંગ કરી હતી. ત્યારે આવતીકાલે રાજ્યના ગૃહપ્રધાન સંઘવી જામનગર આવી રહ્યા છે એસટી ડેપોને લઈ કોઈ નવી જાહેરાત કરે તેવી આશા જામનગરવાસીઓ સેવી રહ્યા છે.