વેરાવળના જાણીતા તબીબ અતુલ ચગની આત્મહત્યાએ ખળભળાટ મચાવ્યો હતો જ્યારે તેમની એક જ લાઈનની સ્યૂસાઈડ નોટથી રાજકારણ પણ ગરમાયું છે. ડોક્ટર ચગે તેમની નોટમાં નારણભાઈ અને રાજેશ ચુડાસમાનું નામ લખ્યું છે. રાજેશ ચુડાસમા જુનાગઢ જિલ્લા મતવિસ્તારના ભાજપના સાંસદ છે, જોકે આ તે જ વ્યક્તિ છે કે તેમના નામવાળી અન્ય કોઈ વ્યક્તિ છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. તેમની આત્મહત્યા પાછળ મોટો આર્થિક વહીવટ કારણભૂત હોવાનું માનવામાં આવે છે.
તબીબ અતુલ ચગની આત્મહત્યા મામલે વેરાવળ પોલીસ સૂત્રો દ્વારા માહિતી આપવામા આવી હતી કે તબીબની આત્મહત્યા પાછળ તેમના આર્થિક વ્યવહારો કારણ ભૂત હોવાનું અનુમાન છે. ડોક્ટરની સ્યુસાઈડ નોટ સંદર્ભે પોલીસની ઊંડાણ પૂર્વકની તપાસ ચાલું છે. વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાનું ભળતું નામ હોવાથી પોલીસ દ્વારા તે દિશામાં પણ તપાસ હાથ ધરાશે તેવું જણાવ્યું હતું. પોલીસે મૃતકનો મોબાઈલ, મફલર, સ્યુંસાઈડ નોટ સહિતની વસ્તુઓ કબ્જે મેળવી એફએસએલમાં મોકલી છે. આ ચકચારી ઘટનામાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રવિવારે ડોક્ટરની પ્રેક્ટીસ ઓછી હોય છે. જોકે રૂટિન પ્રમાણે ડોક્ટર 10 વાગ્યા સુધી દર્દીઓને જોવા માટે આવતા હોય છે, પરંતુ ગઈ કાલે 10 વાગ્યા સુધી ડોક્ટર આવ્યા નહોતા, જેથી સ્ટાફે તેમને ફોન કર્યા, પરંતુ તેમણે ફોન રિસવ કર્યો ન હતો. જેથી થોડા સમય બાદ સ્ટાફ ઉપર આવ્યો, ત્યારે દરવાજા બંધ હતા, એટલે બારી મારફતે સ્ટાફે અંદર જઈને જોયું ત્યારે બનાવ બની ચૂક્યો હતો.
પોલીસને જાણ કરતા, પોલીસ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. ડોક્ટરના દીકરા બહાર હતા. જેથી તેમને આવતા ઘણો સમય લાગી ગયો હતો. ત્યારે તેમનો દીકરો આવ્યા બાદ વિગતો લઈ, અકસ્માતે મોત દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ પીએમ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે અતુલ ચગ વેરાવળના જાણીતા ડોક્ટર હતા, અને તે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હતી. તેમણે ગઈકાલે પોતાના હોમ-કમ-ઓફિસે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.