મુંબઈઃ મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝનમાંથી એક સાથે બે વંદે ભારત ટ્રેનને વડા પ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી આપશે અને એની સાથે મુંબઈના અન્ય મહત્વના પ્રોજેક્ટનું અનાવરણ કરવામાં આવશે. જોકે સૌથી મહત્વની વાત એ છે મુંબઈ ડિવિઝનમાંથી પહેલી વખત એક નહિ બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે એ પણ એક સૌથી મોટો સંયોગ છે. આ બંને ટ્રેનની ટિકિટ ભાડું જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં મુંબઈથી શિર્ડી (નંબર ૨૨૨૨૩)નું
ચેરકારનું ભાડું (કેટરિંગ સાથે) રૂ. 975 અને મુંબઈથી સોલાપુર (નંબર ૨૨૨૨૫)નું 1300 રહેશે, જ્યારે એક્ઝિક્યુટિવ કોચમાં (કેટરિંગ ચાર્જ સાથે) મુંબઈથી શિર્ડીનું ભાડું રૂપિયા 1840 અને મુંબઈથી સોલાપુરનું ભાડું 2365 રહેશે, એમ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.

જોકે આ બે ટ્રેન પૈકી એક (એટલે દેશની નવમી વંદે ભારત એક્સપ્રેસ) ટ્રેન CSMT અને સોલાપુર (પાવરલુમ નગરી) અને બીજી પવિત્ર યાત્રાધામ સાઈનગર શિરડી (દેશની દસમી ટ્રેન) વચ્ચે ચાલુ કરવામાં આવશે.
આજે મુંબઈ CSMT ખાતેના ૧૮ નંબરનાં પ્લેટફોર્મ પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ બંને વંદે ભારત એક્સપ્રેસ (Version 2)ને લીલીઝંડી આપશે.

આ આધુનિક સેમી હાઈ સ્પીડ ટ્રેનમાં 16 કોચ છે, જ્યારે 1,128 પ્રવાસીની સીટિંગ કેપેસિટી છે. આ સેમી હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસની સ્પીડ કલાકના 200 કિલોમીટરની ક્ષમતા ધરાવે છે, પરંતુ રેલવે બોર્ડે કલાકના 160 કિલોમીટરની ઝડપથી દોડાવવાની મંજૂરી આપી છે. વંદે ભારત ટ્રેનના પ્રવાસથી મુંબઈથી પુણે અને મુંબઈથી નાશિક વચ્ચેનો પ્રવાસ વધુ ઝડપી અને સુરક્ષિત બનશે. હાલમાં મુંબઈથી પુણે ટ્રેનનો ટ્રાવેલ ટાઇમ સાડા ત્રણ કલાક લાગે છે, પણ વંદે ભારત ટ્રેનમાં અંદાજે અઢી કલાક લાગશે, જ્યારે મુંબઈથી નાશિક વચ્ચે બાય ટ્રેન અંદાજે ટ્રેન કલાક લાગે છે, જ્યારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં અંદાજે સવા બે કલાકનો સમય લાગશે, એમ મધ્ય રેલવેનાં અધિકારીએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર રાજ્યમાં અગાઉથી બે વંદે ભારત એક્સપ્રેસ દોડાવાય છે, જેમાં એક પશ્ચિમ રેલવેમાં મુંબઈ સેન્ટ્રલથી ગાંધીનગર અને બીજી મધ્ય રેલવેમાં નાગપુર ડિવિઝનમાંથી નાગપુરથી વિલાસપુર. ચેન્નઈ ICFમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેમાં
પ્રત્યેક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ખર્ચ 110 કરોડનો છે. અત્યારે સીટિંગવાળી વંદે ભારત એક્સપ્રેસ દોડાવાય છે, જેમાં બે શહેર વચ્ચેનું અંતર સાતથી આઠ કલાકનું હોય, પરંતુ આગામી દિવસોમાં સ્લીપિંગ કોચવાળી વંદે ભારત ટ્રેન દોડાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે તથા તેના કોચ પણ એસી હશે. હાલના તબક્કે આઈસીએફમાં વંદે ભારત એક્સપ્રેસમાં સ્લીપર કોચના વર્ઝનવાળી ટ્રેન તૈયાર કરવામાં આવી રહી છે, જે ખાસ કરીને મુંબઈ દિલ્હી, મુંબઈ નાગપુર, મુંબઈ-હૈદરાબાદ વગેરે રુટમાં દોડાવી શકાશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. મધ્ય રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી આ બંને ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવ્યા પછી અઠવાડિયાના છ દિવસ દોડાવાશે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે 75 વંદે ભારત એક્સપ્રેસ દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં જેટલી વંદે ભારત એક્સપ્રેસ દોડાવવામાં આવતી હતી તેના 16 કોચ હતા. હવે આઠ કોચની ટ્રેન તૈયાર કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.