અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારતીય-ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ અંગે ચર્ચા કરવા મુદ્દે લોકસભા અને રાજ્યસભામાં હોબાળો મચ્યો હતો. વિપક્ષનું કહેવું છે કે સરકાર તેમના પ્રશ્નોના જવાબ આપે, ગૃહમાં તવાંગ મુદ્દે ચર્ચા થાય. પરંતુ ચર્ચાનો ઇનકાર કરાતા વિપક્ષે લોકસભા અને રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું. સોનિયા ગાંધીથી લઈને અધીર રંજન ચૌધરી બહાર નીકળી ગયા હતા.
વિપક્ષના આ હંગામા પર લોકસભા સ્પીકરે નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે જ વિપક્ષના નેતાઓ દ્વારા લાવવામાં આવેલા પ્લૅકાર્ડ બહાર રાખવા કહ્યું હતું.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં કહ્યું કે અમે ગઈ કાલે પણ નોટિસ આપી હતી અને આજે પણ આપી રહ્યા છીએ. અમે ગૃહમાં ચીનની ઘૂસણખોરી પર ચર્ચા ઈચ્છીએ છીએ. આપણને સંપૂર્ણ માહિતી મળવી જોઈએ તેમજ સમગ્ર દેશને પણ મળવી જોઈએ.
કોંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ, આમ આદમી પાર્ટી, એમડીએમકે, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસિસ્ટ), સીપીઆઈ, જનતા દળ-યુનાઈટેડ, ડીએમકે, તૃણમૂલ કોંગ્રેસ અને તેલુગુ દેશમ પાર્ટી એ 17 પક્ષોએ શૂન્યકાળ દરમિયાન ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચીન સાથે ઘર્ષણને લઈને સવારે 10 વાગ્યે વિપક્ષી પાર્ટીઓની બેઠક બોલાવી હતી. ગૃહમાં સરકારને ઘેરવાની રણનીતિ ઘડવામાં આવી હતી.
તવાંગ મુદ્દે સંસદમાં હોબાળો: રાજ્યસભામાંથી વિપક્ષનું વોકઆઉટ, ખડગેએ કહ્યું- દેશને સાચી માહિતી આપો
RELATED ARTICLES