ઈસ્લામાબાદ: પાકિસ્તાનના અનેક પ્રાંતમાં સરકારે ૨૪૫મી કલમ લગાડતાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને સર્વોચ્ચ અદાલતમાં એક અરજી દાખલ કરીને આ પગલાંને અઘોષિત લશ્કરી શાસન હોવાનું જણાવ્યું હતું.
પાકિસ્તાનના બંધારણની ૨૪૫મી કલમ મુજબ દેશના રક્ષણ માટે સ્થાનીય વહીવટી તંત્રને સહાય કરવા માટે લશ્કરને બોલાવી શકાય છે.
પાકિસ્તાનના પંજાબ, ખૈર પખ્તુનવા, બલોચિસ્તાન અને ઈસ્લામાબાદમાં કલમ ૨૪૫ લાગુ કરવામાં આવી એ અઘોષિત લશ્કરી શાસન જ છે એમ કહીને ઈમરાન ખાને તેને પડકારતી અરજી સર્વોચ્ચ અદાલતમાં કરી છે.
પોતાની આ અરજીમાં ૭૦ વર્ષના આ ભૂતપૂર્વ વડા પ્રધાન જે પાકિસ્તાન ‘તહેરીક-એ-ઈન્સાફ’ (પીટીઆઈ)ના વડા પણ છે. તેમણે એમ કહ્યું હતું કે, ૧૯૫૨ના લશ્કરી કાયદા હેઠળ નાગરિકોની ધરપકડ કરવામાં આવે, તપાસ
કરવામાં આવે કે તેમની સામે કામ ચલાવવામાં આવે એ ગેરબંધારણીય છે અને ન્યાયતંત્રની સ્વતંત્રતા પર તરાપ છે.
પીટીઆઈના નેતાઓની ધરપકડ કરવામાં આવે, તેમને પક્ષનું સભ્યપદ જબરદસ્તીથી છોડાવવામાં આવે અને હોદ્દા પણ છોડવાનું જણાવવામાં આવે તે ગેરબંધાણીય છે અને બંધારણની કલમ ૧૭ની વિરુદ્ધ પણ છે એમ તેમણે કહ્યું હતું એવું ડૉન અખબારના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
નવમી મેના દિવસે તેની ધરપકડ કરવામાં આવ્યા પછી ફાટી નીકળેલા હિંસાચારની તપાસ કરવા માટે અદાલતી પંચની રચના કરવાનો આદેશ આપવામાં આવે એવી વિનંતી તેણે સર્વોચ્ચ અદાલતને કરી હતી.
આ અરજીમાં વડા પ્રધાન શાહબાઝ શરીફ, પીએમએલ-એનના વડા નવાઝ શરીફ અને તેમનાં પુત્રી મરિયમ નવાઝ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આસિક અલી ઝરદારી, વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો – ઝરદારી, જેયુઆઈ-એફના વડા મૌલાના ફઝલુર રહેમાનની અને બીજા અનેકનો પ્રતિવાદી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
વડા પ્રધાન શરીફે એમ કહ્યું હતું કે ‘નવમી મેએ કરવામાં આવેલા હુમલાના હુમલાખોરોએ પાકિસ્તાનની ઓળખ પર હુમલો કર્યો છે અને દેશના દુશ્મનોને ઉજવણી કરવાની તક પૂરી પાડી છે.’
‘નવમી મેના થયેલા કરુણ બનાવો એ માત્ર હિંસક બનેલો વિરોધ નહોતો. આ હુમલાની જેમણે યોજના ઘડી હતી એ ખરેખર તો બદમાશ હતા’, એમ તેમણે ગુરુવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું.
ઈસ્લામાબાદ હાઈ કોર્ટ (આઈએચસી)ના પ્રાંગણમાંથી અર્ધલશ્કરી દળોના રેન્જર્સે ઈમરાન ખાનની ધરપકડ કરી ત્યાર પછી નવમી મેએ હિંસક તોફાનો ફાટી નીકળ્યા હતા.
આ હિંસક તોફાનોમાં ૧૦ જણા માર્યા ગયાં હતાં એમ પોલીસે જણાવ્યું હતું, જ્યારે ઈમરાન ખાનના પક્ષ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેમના પક્ષના ૪૦ જેટલા કાર્યકરોના મૃત્યુ થયાં છે. (પીટીઆઈ)