રાજકારણમાં શાંત વ્યક્તિત્ત્વ તરીકે ઓળખાતા ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેનો હાલમાં મુશ્કેલ ચાલી રહ્યો છે. આ મુશ્કેલ સમયમાં તેઓ તેમની પાસે છે એટલા ખેલાડીઓને લઈને પણ રાજકારણની પીચ પર ટકી રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ ઉદ્ધવ ઠાકરેનો શિવસેનાના કાર્યાધ્યક્ષથી લઈને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન સુધીના રાજકારણના પ્રવાસમાં એક જ મહિલા તેમની પાછળ મક્કમપણે ઊભા રહ્યા અને તેમનો સાથ આપ્યો. આજે આખી દુનિયા જ્યારે વેલેન્ટાઈન્સ ડે સેલિબ્રેટ કરી રહી છે ત્યારે ઘણા લોકો ઉદ્ધવ ઠાકરે અને રશ્મી ઠાકરેની અનકહી લવ સ્ટોરીથી એકદમ અજાણ છે અને આજે આપણે અહીં એક સામાન્ય પરિવારમાં જન્મેલી મરાઠી મુલગી કઈ રીતે શિવસેનાના વહિનીસાહેબ બની ગયા વાત કરીશું….
ડોંબિવલીના મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલાં રશ્મિ ઠાકરેનું લગ્ન પહેલાંનું નામ એટલે રશ્મિ પાટણકર. મુલુંડની વઝે-કેળકર કોલેજથી ગ્રેજ્યુએશ પૂરું કર્યું અને 1987માં તેમણે એલઆઈસીમાં નોકરી કરવાનું શરું કર્યું, જ્યાં તેમની ઓળખાણ થઈ જયવંતી ઠાકરે સાથે. આ જયવંતી ઠાકરે એટલે મનસે અધ્યક્ષ રાજ ઠાકરેના બહેન. જયંવતી ઠાકરેને કારણે જ રશ્મિનો ઠાકરે પરિવારમાં આવરો-જાવરો વધી ગયો અને ઉદ્ધવ સાથે સાથે ઓળખાણ થઈ.
જોકે, એ સમયે ઉદ્ધવ રાજકારણમાં સક્રિય નહોતા અને તેઓ જે જે સ્કૂલ ઓફ આર્ટસમાં અભ્યાસ કરી રહ્યા હતા અને તેઓ પોતાનો મોટાભાગનો સમય ફોટોગ્રાફીમાં જ પસાર કરી રહ્યા હતા. ધીરે ધીરે બંનેની મિત્રતા ગાઢ થતી ચાલી અને તેમની મુલાકાતો વધી ગઈ. ઉદ્ધવ ઠાકરે રશ્મિ ઠાકરેને મળવા માટે ખાસ લોકલ ટ્રેનથી પ્રવાસ કરીને ડોંબિવલી જતા હતા અને આખરે 13મી ડિસેમ્બર, 1988માં લગ્ન કરી લીધા.
આજે ભલે રશ્મી ઠાકરે પાસે શિવસેનામાં કોઈ પદ નથી, રાજકારણમાં સક્રિય નથી, પરંતુ માતોશ્રીમાં રહીને જ તેમણે શિવસૈનિકો સાથે એક ગાઢ સંબંધ બાંધ્યો. મહારાષ્ટ્રના ખૂણે-ખાંચરેથી આવનાર દરેક વ્યક્તિ અને તેમના કામ સામે તેઓ અંગત રીતે ધ્યાન આપતા હતા, દરેકની રહેવાની-જમવાની વ્યવસ્થા તેઓ ખૂબ જાતે ધ્યાનથી કરતાં હતા અને આ રીતે સામાન્ય પરિવારમાં જન્મેલી એક છોકરી મહારાષ્ટ્રના સેંકડો શિવસૈનિકોની વહિનીસાહેબ બની ગઈ…
Valentines Day Special:…અને શિવસેનાના અધ્યક્ષ એક છોકરીને મળવા લોકલમાં મુસાફરી કરતા
RELATED ARTICLES