(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: બે દાયકા પહેલાં ગુજરાતમાં જે પતંગોનો વેપાર માત્ર ૮ થી ૧૦ કરોડ રૂપિયાનો હતો હવે દેશની કાઇટ ઇન્ડસ્ટ્રીનો ૪૦ ટકા હિસ્સો એકલું ગુજરાત ધરાવે છે. વાર્ષિક ટર્ન-ઓવર રૂપિયા ૬૨૫ કરોડ છે અને લગભગ ૧ લાખ ૩૦ હજાર જેટલા લોકો પતંગ ઉદ્યોગમાં રોજગાર મેળવે છે એવું ગુજરાતના પતંગ ઉદ્યોગ અંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવતા તેમણે વધુમાં કહ્યું હતું કે, અમૃતકાળમાં ભારતના વિકાસને વધુ ઊંચાઇએ લઇ જઇ વિકસિત રાષ્ટ્રના નિર્માણનો આપણો સંકલ્પ છે. તેને સાકાર કરવા વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાત સંપૂર્ણ સજજ છે.
ગુજરાતના વિકાસની યાત્રા અવિરત રાખવા આપણે પ્રવાસન અને રોજગાર જેવા વિષયો ઉપર વિશેષ ભાર આપ્યો છે. આજનો આ કાઇટ ફેસ્ટિવલ તેનું ઉદાહરણ છે.
આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં સ્વાગત પ્રવચન કરતા પ્રવાસન પ્રધાન મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકામાં રાજ્યના વિકાસની ચારેકોર થતી પ્રશંસામાં પતંગોત્સવ પણ અભિન્ન છે. પતંગોત્સવમાં દેશવિદેશના પતંગબાજો સહભાગી બને છે. અમદાવાદ સહિત વિવિધ સ્થળો પર પતંગોત્સવનું આયોજન થાય છે. અમદાવાદ સહિત વડોદરા, વડનગર, સોમનાથ, રાજકોટ, ધોલેરા, ધોરડોમાં પતંગોત્સવ-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવથી વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધી છે. આવા ઉત્સવોની ઉજવણી થકી રાજ્યના અર્થતંત્રને વેગ મળવાની સાથોસાથ રોજગારીની તકો પણ વધી છે. ઉત્તરાયણના તહેવાર પર વિવિધ રંગો આકાશમાં છવાઈ જાય છે, જે ધાર્મિક વિવિધતામાં એકતા અને ઉલ્લાસના રંગોનું પ્રતીક છે.
તેમણે વધુમાં કહ્યું કે, સૂર્યનારાયણ ઉત્તરાર્ધ તરફ આવતા હોવાથી આકાશમાં પતંગ ઉડાવી આપણે ઉજવણી કરીએ છીએ, ઉત્તરાયણની ઉજવણીમાં પ્રકૃતિના જતનનો સંદેશ છે. ઉત્તરાયણમાં આકાશ સ્વચ્છ બને છે. જે ઈશ્ર્વર અને માણસના સંદેશા વ્યવહાર ઝડપી બનાવે છે.