ત્રિકોણનો ચોથો ખૂણો – વિક્રમ વકીલ
ફેઇથ હીલિંગ એટલે કે શ્રદ્ધાવડે બીમારની સારવાર કરવાની એક પદ્ધતિ. આપણા દેશમાં અને વિદેશમાં પણ આ ક્ધસેપ્ટ નવો નથી. દેશમાં જ્યારે કોરોનાનો વ્યાપ ખૂબ વધારે હતો ત્યારે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે, જેઓ કોરોનાથી સતત ડરતા નથી કે હકારાત્મક વલણ રાખે છે એમાંથી મોટા ભાગના કોરોનાથી પ્રભાવિત થયા નથી. આ સાબિત કરવાના કોઈ ડેટા આપણી પાસે જોકે નથી. આમ છતાં આ તબક્કે ફેઇથ હીલિંગ વિશે પુર્ન:વિચાર કરવો જરૂરી બને છે. થોડાં વર્ષો પહેલા અમદાવાદમાં એક ૫૫ વર્ષના બહેનને મળવાનું થયુ હતું. તેઓ અપરણીત હતાં અને એકલાં રહેતા હતાં. એમને એક ગુરુમાતા પર ખૂબ જ વિશ્ર્વાસ હતો.
વાતચિત દરમિયાન એમણે કહ્યું હતું કે “હું સતત એવી ફિલિંગ રાખું છું કે મારી સાથે મારા ગુરુમા હંમેશાં રહે છે. તેઓ મારું રક્ષણ કરે છે. મારા મા-બાપના મૃત્યુ પછી જ્યારે પણ હું સંકટમાં હોઉં છું કે તબિયત ખરાબ થાય છે ત્યારે હું સતત ગુરુમાનું રટણ કરું છું. એ રીતે હું સંકટોમાંથી બહાર આવી શકું છું.”
અહીં સવાલ એ છે કે શું શ્રદ્ધાથી કે પ્રાર્થનાની મદદથી આપણી શારીરિક તંદુરસ્તિ સુધરી શકે છે? અમેરિકા જેવા દેશમાં તો મોટાભાગની હૉસ્પિટલોમાં હવે ફેઇથ હીલિંગ તરીકે ઓળખાતી શાખા પણ શરૂ કરવામાં આવી છે. ‘આત્માની સંભાળ’ જેવાં નામોથી અમેરિકાની કેટલી તબીબી કોલેજોમાં અભ્યાસક્રમ પણ ચાલી રહ્યો છે. ફેઇથ હીલિંગ બાબતે રિર્સચ કરતા અમેરિકાના ડૉ. રિચાર્ડ ગ્રિફિથનું માનવું છે કે, શારીરિક અને માનસિક રીતે બીમારીથી ત્રસ્ત થઈને લોકો ડૉક્ટર પાસે જતા હોય છે. કેટલાક દર્દીઓ આધુનિક વિજ્ઞાનની મદદથી સારા થઈ શકતા નથી આવા દર્દીઓ વૈકલ્પિક સારવાર પસંદ કરે છે અને આધ્યાત્મિક ગુરુઓને શરણે જાય છે.
થોડાં વર્ષો પહેલાં દક્ષિણ અમેરિકાના એક મેડિકલ સેન્ટર ખાતે સર્વેક્ષણ કરવામાં આવ્યુ હતું. હાર્ટ સર્જરીના કુલ ૧૬૨ કેસોમાંથી ફેઇથ હીલિંગ પર શ્રદ્ધા રાખનારાઓ કરતાં આ પદ્ધતિ પર શ્રદ્ધા ન ધરાવનારા દર્દીઓમાં મૃત્યુનું પ્રમાણ ઘણું વધારે જોવા મળ્યું હતું.
મુંબઈની એક હૉસ્પિટલમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ફેઇથ હીલિંગ વડે સેવા આપતા એક ડૉક્ટરની નિમણૂંક કરવામાં આવે છે. અહીંના ડૉક્ટર દર્દીને માથા પર હાથ ફેરવીને આશીર્વાદ આપે છે અને દર્દીને એના દર્દમાં ઘણી રાહત પણ લાગતી હોવાનું મનાય છે. જોકે ફેઇથ હીલિંગમાં પ્લેસીબો ઇફેક્ટની અગત્યતા ઘણી છે. જાણીતા મનોચિકિત્સક ડો. મુકુલ ચોકસી કહે છે કે “દર્દી પોતાને અપાતી સારવારમાં જો સંપૂર્ણ શ્રદ્ધા રાખતો હોય તો કેટલાક કિસ્સાઓમાં એક સામાન્ય દવાથી પણ સારો થઈ શકે છે. શ્રદ્ધાની આ સારવારને પ્લેસીબો ઇફેક્ટ પણ કહેવામાં આવે છે. કેટલાક દર્દીઓને ગળામાં માદળિયુ બાંધવાથી કે મંત્ર દ્વારા સિદ્ધ કરેલી વિંટી પહેરવાથી પણ તબિયતમાં સુધારો થતા હોવાના કિસ્સાઓ જોવા મળે છે. વૈજ્ઞાનિક રીતે પણ આ બાબતનો અભ્યાસ થઈ રહ્યો છે. જોકે હજી સુધી એ પુરવાર થયું નથી કે ભગવાન કે બીજા ચમત્કારોમાં શ્રદ્ધા રાખનારાઓ મજબૂત મનોબળને કારણે સારા થાય છે કે પછી એ એક ભ્રમણા જ છે.
જાણીતા લેખક ડૉ. હર્બટ બેન્સનના પુસ્તક ‘ધ રિલેક્સેશન રિસ્પોન્સ’માં લેખકે લખ્યું છે કે, કોઈ એક જ અવાજ કે કલ્પના પર ધ્યાન કેન્દ્રીત કરવાથી શરીરમાં તણાવ ઉત્પન્ન કરતા હોર્મોન્સ ઓછા થઈ શકે છે. નિયમિત ધ્યાન કરવાથી અનિંદ્રાના રોગીઓ વગર દવાએ ઊંઘ મેળવતા થયા છે. ઘણી બાળક વાંચ્છું સ્ત્રીઓ ગર્ભવતી થઈ છે અને ૪૩ ટકા જેટલા લોકોએ પેઇનકિલર દવાઓનો ઉપયોગ ઓછો કરી નાખ્યો હોય એવું પણ ધ્યાનમાં આવ્યું છે.
લેખક બેન્સને એમના બીજા પુસ્તકનું નામ ‘ટાઇમ લેસ હીલિંગ’ રાખ્યું છે. તેઓ તો ત્યાં સુધી માને છે કે માણસનું બંધારણ જ ધાર્મિક આસ્થાના આધારે ઘડાયેલું છે.
* * *
કયા દેશમાં સૌપ્રથમ સુંદર દેખાતી માછલીઓ પાળવાનો શોખ શરૂ થયો હતો?
રૂપાળી માછલીઓને પાળવાનો શોખ સૌ પ્રથમ ઇજિપ્તમાં શરૂ થયો હતો અને તે પછી ચીનમાં ગોલ્ડફિશ અને જાપાનમાં કોઈ અને ગોલ્ડફિશ નામની બે પ્રકારની માછલીઓને શોખરૂપે પાળવામાં આવતી હતી. અગાઉ ઘરનાં નાનકડાં તળાવોમાં માછલીઓ પાળવામાં આવતી હતી. તે પછી કાચના પાત્રમાં અને તે પછી લોખંડની ફ્રેમવાળા માછલીઘરો (ફિશ ટેન્ક) બનાવવામાં આવ્યાં. તે પછી માછલીઘરની ફ્રેમો એલ્યુમિનિયમની બનાવવામાં આવી, પણ હવે તો સંપૂર્ણ કાચની બનેલી પેટીના માછલીઘરમાં માછલીઓ રાખવામાં આવે છે.
ભારતીયો માછલીઓમાં રુચિ ધરાવવા લાગ્યા ત્યારે શરૂઆતમાં પશ્ર્ચિમ બંગાળના જમીનદારો ઘરના તળાવમાં માછલીઓ રાખતા હતા. કોઈ સ્પેશિયલ મહેમાન આવે ત્યારે તેઓ આ માછલીઓનો ઉપયોગ માત્ર ખાવા માટે જ કરતા હતા. પણ પછીથી બ્રિટિશરોનું રૂપાળી માછલીઓ પ્રત્યેનું આકર્ષણ જોતાં તેઓ પણ એ તરફ આકર્ષાયા હતા. બ્રિટિશરો ગોલ્ડફિશને માટલામાં કે પતરાના પાત્રમાં લઈ આવીને તળાવમાં રાખતા હતા.