મુંબઈઃ રવિવારે રજાના દિવસે બાળકો સાથે ફરવા નીકળનારા મુંબઈગરાઓ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે, કારણ કે રેલવે દ્વારા ત્રણેય લાઈન પર કોઈ પણ પ્રકારનો બ્લોક હાથ નહીં ધરવામાં આવે. લોકલ ટ્રેનથી પ્રવાસ કરનારા પ્રવાસીઓને આ અઠવાડિયે રવિવારે બ્લોકને કારણે જોવા મળનારા ટ્રેનોના ધાંધિયામાંથી મુક્તિ આપવામાં આવી છે.
આવતી કાલે એટલે કે તા. 29મી નવેમ્બરના મધ્ય રેલવે, હાર્બર લાઈન અને પશ્ચિમ રેલવે પર રેલવે દ્વારા કોઈ પણ પ્રકારનું મેઈન્ટેનન્સ વર્ક હાથ ન ધરાવવાનું હોઈ રેલવે દ્વારા મેગા બ્લોક નથી જાહેર કરવામાં આવ્યો, જેને કારણે વીકએન્ડ પર પરિવાર અને બાળકો સાથે બહાર નીકળનારા મુંબઈગરાને મોટી રાહત મળી છે. પરંતુ મધ્ય રેલવે દ્વારા શનિવાર અને રવિવારે રાતે ખડવલીથી આસનગાંવ વચ્ચે સ્પેશિયલ ટ્રાફિક અને પાવર બ્લોક હાથ ધરવામાં આવશે. જેને કારણે કેટલીક ઉપનગરીય અને લાંબા અંતરની ટ્રેનો પર અસર જોવા મળશે.
મધ્ય રેલવે પર શનિવારે રાતે 02.05થી વહેલી સવારે 04.05 કલાક સુધી ખડવલી અને આસનગાંવ વચ્ચે અપ અને ડાઉન લાઈ પર ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફાર કરવા માટે રાતના સમયે સ્પેશિયલ ટ્રાફિક અને પાવર બ્લોક હાથ ધરવામાં આવશે. પરિણામે કેટલીક લાંબા અંતરની ટ્રેનો અને ઉપરનગરીય લોકલ ટ્રેનો પર આ બ્લોકની અસર જોવા મળશે.
સીએસએમટીથી રાતે 00.15 કલાકે રવાના થનારી કસારા લોકલ થાણે સ્ટેશન પર જ શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને કસારાથી 03.15 કલાકે સીએસએમટી માટે રવાના થનારી લોકલ કસારાને બદલે થાણેથી જ રવાના કરવામાં આવશે.