શહેરો, રસ્તાઓ, ઇમારતો અને સંસ્થાઓના નામ બદલવા અંગે સુપ્રીમ કોર્ટે અરજીકર્તાઓને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયની અરજીને ફગાવી દીધી હતી, જેમાં આક્રમણકારોના નામ પર રહેલા જાહેર સ્થળોના નામ બદલવા માટે કમિશનની રચના કરવાની માંગ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે અરજીકર્તાઓને ફટકાર લગાવતા કહ્યું કે, તમે આ અરજીથી શું મેળવવા માંગો છો? શું દેશમાં બીજી કોઈ સમસ્યા નથી? એમાં કોઈ શંકા નથી કે ભારત પર ઘણી વખત આક્રમણ થયું છે, શાસન થયું છે, તે બધું ઈતિહાસનો એક ભાગ છે. તમે પસંદગીપૂર્વક ઇતિહાસ બદલવા માટે ના કહી શકો. હવે આ બાબતમાં ફરીથી જવાનો શો ફાયદો છે?
સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશ ભૂતકાળનો કેદી ન રહી શકે. દેશ ધર્મનિરપેક્ષતા, બંધારણવાદ અને રાજ્યની કાર્યવાહીમાં નિષ્પક્ષતા સાથે સંકળાયેલો છે. દેશે આગળ વધવું જોઈએ અને તે અનિવાર્ય છે. ભૂતકાળની ઘટનાઓ વર્તમાન અને ભવિષ્યને ખલેલ પહોંચાડી શકતી નથી. વર્તમાન પેઢી ભૂતકાળની કેદી ન બની શકે.
જસ્ટિસ કેએમ જોસેફે કહ્યું કે ભારત આજે ધર્મનિરપેક્ષ દેશ છે. તમારી આંગળીઓ એક ચોક્કસ સમુદાય સામે ઉઠાવવામાં આવી રહી છે. શું તમે દેશને ફરી સળગતો જોવા માંગો છો? આપણે ધર્મનિરપેક્ષ છીએ અને બંધારણની રક્ષા કરવાવાળા છીએ. તમે ભૂતકાળની ચિંતા કરો છો અને વર્તમાન પેઢી પર બોજ નાખવા માટે આ મુદ્દા ઉખેડી રહ્યા છો. આ રીતે વધુ વૈમનસ્ય ઉભું થશે. ભારતમાં લોકશાહી પ્રવર્તે છે.
અરજદાર એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે દલીલ કરી હતી કે ઈતિહાસ બદલવામાં આવ્યો હતો. શેરીઓ અને શહેરોના નામ એવા લોકોના નામ પર રાખવામાં આવ્યા છે જેમણે મહિલાઓ પર હુમલો કર્યો, લૂંટ ચલાવી અને બળાત્કાર કર્યો. આ સંબંધમાં ઔરંગઝેબ રોડ, ઔરંગાબાદ, અલ્હાબાદ, રાજપથ જેવા અનેક નામ બદલીને સ્વદેશીકરણનો ઉલ્લેખ કરવામાં આવ્યો.
‘વર્તમાન પેઢી ભૂતકાળની કેદી ન બની શકે’ શહેરોના નામ બદલવા અંગેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
RELATED ARTICLES