નાયબ મુખ્ય પ્રધાનનો નિર્દેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દરેક વ્યક્તિનું પોતાનું એક ઘર હોય એવું શમણું હોય છે, પણ મુંબઇમાં તો મિલકતોના ભાવ એટલા બધા છે કે અહીં તમને રોટલો મળે પણ ઓટલો ના મળે. એવા સમયે દરેકને ઘર ઉપલબ્ધ કરી આપવાનો પ્રોજેક્ટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમલમાં મૂકવામાં આવ્યો છે. તે મુજબ ‘મ્હાડા’ના ઘર ઉપલ્બધ કરી આપવાના પ્રોજેક્ટને ઝડપી બનાવવાનો નિર્દેશ ‘મ્હાડા’ના અધિકારીઓને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપ્યો હતો. પુણે મંડળ તરફથી ‘મ્હાડા’ ગૃહનિર્માણ યોજના, ૨૦ ટકા સર્વસમાવેશક યોજના અને વડાપ્રધાન આવસ યોજના (શહેર) અંતર્ગત પુણે, પિંપરી ચિંચવડ શહેરના વિવિધ ગૃહનિર્માણ યોજનામાં ૩,૧૨૦ ઘરની ઑનલાઈન લોટરીનો શુભારંભ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે સોમવારે કમ્પ્યુટર સિસ્ટમના માધ્યમથી કરવામાં આવી હતી, એ દરમિયાન તેમણે ‘મ્હાડા’ના અધિકારીઓના ઘરના પ્રોજેક્ટ ઝડપથી પાર પાડવાનો આદેશ આપ્યો હતો.
ફડણવીસે આ દરમિયાન કહ્યું હતુ કે અન્ન, વસ્ત્રની સાથે જ ઘર પણ આવશ્યક છે. રોજગારી માટે લોકો શહેરમાં આવે છે. તેમને માફક અને પરવડી શકે તેવી કિંમતમાં ઘર ઉપલબ્ધ કરી આપવા આવશ્યક છે. તે માટે મ્હાડાએ પોતાના પ્રોજેક્ટને ઝડપી બનાવા જોઈએ. તેમ જ બાંધકામની ગુણવત્તા સુધારવી જોઈએ અને ઝડપથી ઘરની લોટરી કાઢવી જોઇએ, એવું પણ તેમણે કહ્યું હતું.