મંદિરને આઈટીબીપીના જવાનોની કાયમી સુરક્ષા
કેદારનાથ: હિન્દુઓના પવિત્ર ધાર્મિક સ્થાન અને સુવર્ણથી મઢાયેલા કેદારનાથની સુરક્ષા માટે હવે કાયમી ધોરણે પહેરો રહેશે. સરકાર દ્વારા ૩૦ સશસ્ત્ર જવાનોને સુરક્ષા માટે મૂકવામાં આવ્યા છે.
કેદારનાથ મંદિરને ૪૦ કિલો સોનાથી મઢવામાં આવ્યું છે. શિયાળાની આકરી ઠંડીમાં કેદારનાથ ધામ બંધ થઇ જતું હોય છે અને રહેવાસીઓ પણ અન્યત્ર સ્થળાંતર કરી જાય છે ત્યારે મંદિરને ચડાવાયેલા સોનાની સુરક્ષાનો મુદ્દો ઉપસ્થિત થયો હતો.
હવે સરકારે કેદારનાથ ધામમાં ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (આઈટીબીપી)ના ૩૦ જવાનોને તૈનાત રાખવાનો નિર્ણય લીધો છે. ૩૦ જવાનોની ટીમ તૈનાત થઇ ગઇ છે. જો કે તેઓ માટે કાયમી ધોરણે કેદારનાથમાં રહેવું પડકારજનક બનશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ૧૧૭૫૫ ફૂટની ઊંચાઈએ આવેલા આ ધાર્મિક સ્થળે શિયાળામાં તાપમાન -૧૫ ડિગ્રી સુધી પહોંચી જતું હોય છે અને પાંચ ફૂટ જેટલો બરફ જામી જતો હોય છે.