ચીન LAC (Line of Actual Control) પર સતત ઘૂસણખોરી કરવાના પ્રયાસો કરી રહ્યું છે, તાજેતરમાં તવાંગમાં થયેલી અથડામણને લઈને ચીનની દાનત પર સવાલો ઉઠી રહ્યા છે. તવાંગની ઘટના બાદ કેન્દ્ર સરકાર વિપક્ષના નિશાના પર છે, કોંગ્રેસ સતત આ મુદ્દાને લઈને પીએમ મોદી અને સરકારને ઘેરવાના પ્રયત્નો કરી રહી છે. કોંગ્રેસ અને સમગ્ર વિપક્ષ ચીનના મુદ્દે સંસદમાં વિસ્તૃત ચર્ચાની માંગ કરી રહ્યા છે. ત્યારે મોદી સરકાર જવાબ આપવાથી સતત બચી રહી છે. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ મુદ્દાનો ઉલ્લેખ કરીને મોદી સરકાર પર પ્રહારો કર્યા છે.
કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓએ સંસદ પરિસરની અંદર ગાંધી પ્રતિમાની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાંસદો હાથમાં પ્લૅકાર્ડ લઈને જોવા મળ્યા હતા, જેમાં લખેલું હતું- મોદીજી, તમે ચીન પર મૌન ક્યારે તોડશો?
કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં સોનિયા ગાંધીએ ચીનના અતિક્રમણ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, “સરકાર અડગ છે કે એ તવાંગ મુદ્દે ગુહમાં ચર્ચા નહિ કરે. દેશની જનતા અને ગૃહ વાસ્તવિક પરિસ્થિતિ જાણવામાં અસમર્થ છે. શા માટે સરકાર ચીનના અતિક્રમણનો જવાબ નથી આપી રહી?”
સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, વિપક્ષ સંસદમાં ભારત-ચીન સરહદ વિવાદ પર ચર્ચાની માંગ કરી રહ્યો છે. સરકાર લોકો પ્રત્યે જવાબદાર છે, આપણે બધા દેશની રક્ષા માટે ઉભા છીએ. સરહદ પર શું છે સ્થિતિ, જૂન 2020માં આપણા 20 જવાનો કેમ શહીદ થયા?
કોંગ્રેસ અને સમગ્ર વિપક્ષ ચીનના મુદ્દે સંસદમાં વિસ્તૃત ચર્ચાની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ચીન જે રીતે સરહદ પર પોતાની ઘૂસણખોરી વધારી રહ્યું છે તે ખૂબ જ ચિંતાનો વિષય છે, સરકારે આ અંગે પગલાં લેવાની જરૂર છે.