“મિશન મૂન
આપના અખબારમાં નિયમિત પ્રગટ થયેલી શ્રી વિપુલ વૈદ્યની પ્રથમ નવલકથા ‘મિશન મૂન’ એક અદ્ભુત નવલકથા છે. પ્રથમ પ્રકરણથી છેલ્લા પ્રકરણ સુધી ઉત્સુકતા જગાવીને વાચકોને જકડી રાખીને નવી શોધ માનવજાત તથા સજીવ સૃષ્ટિ માટે કેટલી ઉપયોગી છે અને કેટલી હાનિકર્તા છે તેનો તાદૃશ ચિતાર આપે છે. છેલ્લા પ્રકરણમાં પૃથ્વી પરની સમસ્ત જીવસૃષ્ટિના કલ્યાણ કાજે ચંદ્ર પર જ પોતાના પ્રાણની આહુતિ આપનારા વિજ્ઞાનીઓની યશોગાથાનું ઉત્કૃષ્ટ નિરૂપણ કરે છે. આવી હૃદયસ્પર્શી નવલકથા વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનનો ભંડાર હોવાની સાથોસાથ પથદર્શક બની રહે તેવી છે. તંત્રી શ્રી નીલેશભાઈ દવે અને સિનિયર પત્રકાર લેખક શ્રી વિપુલભાઈ વૈદ્યને અઢળક અભિનંદન.
– મંજરી જોષી, કાંદિવલી (વેસ્ટ)
—
મોંઘાં બનતાં મંદિરોના ભગવાનના દર્શન
આજે દેશમાં આવેલાં નામાંકિત મંદિરો હવે તો ભગવાનના દર્શન માટે મોંઘાં બનતા જાય છે
આમ દેશમાં અનેક પ્રકારના હિંદુઓ પોતાના ભગવાનને આસ્થા પ્રમાણે માનતા હોય છે અને તેઓને પરિવાર જોડે ભગવાનમાં દર્શન માટે લાંબા વિસ્તારથી આવતા હોય છે પણ
મંદિરના વિસ્તારમાં આવતા સંસ્થા અનુસાર અનેક પ્રકારના ભેદભાવ ચાલતા હોય છે જેમાં
સામાન્ય ભક્તો માટે ભગવાનના દર્શન માટે લાંબા અંતરની લાઇનો લગાડતા હોય છે જેમાં સહેજે પાંચ છ કલાક સતત ઊભા રહેવું પડે છે જેમાં ખાસ કરીને મહિલાઓને વૃદ્ધજનોને અને બાળકોને શારિરીક યાતના ભોગવવી પડે છે તો બીજી બાજુ ભગવાનના દર્શન માટે વીઆઇપી હેઠળ રુપિયા ૫૦૦થી ૧૦૦૦ સુધી ટોકન મની આપીને વહેલાસર દર્શન માટે સુવિધા કરવામાં આવે છે જ્યારે નામાંકિત મંદિરોમાં નામાંકિત મહાનુભાવો કે સિને જગતના મહાનુભાવો આવવાના હોય તો સામાન્ય ભકતોજન માટે દર્શન માટે બેત્રણ કલાક લાઇન રોકી દેવામાં આવે છે આમ એક પ્રકારનો ભેદભાવ મંદિરોમાં ચાલતો હોય છે આને લીધે નામાંકિત મંદિરો કેવળ કમાવવાનું સાધન બની ગયું છે આજે મંદિરો દર્શન કે આસ્થા માટે રહ્યું નથી આમ મંદિરોના પણ દર્શન માટે આકરી ફી કે રકમ ભોગવવી પડે છે ખરેખર આને લીધે મોટા ભાગના ભાવિકો નજીકમાં મંદિરોમાં ભગવાનના દર્શન કરીને સંતોષ માનતા હોય છે આમ આજે મંદિરો કરોડોની આવક કમાઇ લેતા હોય છે પણ આ રકમનો ઉપયોગ મંદિરોની સુવિધા માટે નહીં પણ અંગત રીતે ઉપયોગ કરતા હોય છે.
– હંસાબહેન ઘનશ્યામ ભરુચા
વિરાર મુંબઇ
—
સાઈબર ક્રાઈમનું દૂષણ
વૈજ્ઞાનિક અવિષ્કારનો સદુપયોગ વિવેક બુદ્ધિપૂર્વક થાય તે વિશેષ અગત્યનું છે.
કોમ્પ્યુટર યંત્ર, લેપટોપ, મોબાઈલ વિગેરે ઉદ્યોગ, હૉસ્પિટલ, ઑફિસ તથા ઘરમાં રોજબરોજ વપરાતું એક મહત્ત્વ અને આવશ્કય સાધન છે.
પરંતુ આનો ગેરમાર્ગે ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિ માટે વપરાતા સાઈબર ક્રાઈમનો કાયદો લાગુ પડે છે. જ્યારે શિક્ષિત અને અર્ધ શિક્ષિત પ્રજા તેનો ઉપયોગ કરે ત્યારે સહેલાઈથી પ્રલોભનમાં આવી જતા ફસાઈ જાય અને તેની સંપત્તિ ઉચાપત થાય છે. આ સિવાય ડરામણા સંદેશ તમારું બૅન્ક ખાતું બંધ થયેલ છે, વિદ્યુત પ્રવાહ ખંડિત કરાશે ત્યારે લોકો ખૂબ ડરી જઈ ઉતાવળે ગુનાઓ આચરનારનો ભોગ બને છે.
છેલ્લા અહેવાલ મુજબ ૧૫ દિવસમાં આવા અસંખ્ય કિસ્સાઓમાં કરોડોથી પણ વધુ રકમ ઉચાપત થયેલ. અસંખ્ય ફરિયાદો ક્યારેક સમયસરની ન હોય ત્યારે પોલીસ ખાતું અસફળ રહે છે. આવા ગુનાઓ છેલ્લાં ૫-૬ વર્ષથી ખૂબ ફુલ્યાફાલ્યા છે.
કુમળા બાળકો, યુવાનોને અશ્ર્લીલ દૃશ્યો, વીડિયો બતાવાય છે અને તેઓનું જાતીય કે આર્થિક શોષણ થાય છે. મોર્ફીંગ પદ્ધતિ દ્વારા બે સ્ત્રી તથા પુરુષોના બીભત્સ, બેહુદા અને ઢંગધડા વગરના ફોટાઓનું પ્રસારણ થતું રહે છે અને તેમની બદનામીના ડરથી મોટા પ્રમાણમાં પૈસા પડાવવવાના નુસખા હોય છે. લગ્ન પ્રસંગે તમારા માટે પરદેશથી ગીફ્ટ આવી છે. જેના છોડાવવા પૈસાની ટ્રાન્સફર પદ્ધતિ દ્વારા મોટી રકમો ઉચાપત થાય છે.
આ દૂષણને તાત્કાલિક નાથવાનું અતિ જરૂરી છે. લોકસભામાં સત્વરે કાયદો લાવી ગુના આચરનારને દશ વર્ષ કે વધુ સજાનો કાયદો પસાર કરવો જરૂરી છે.
– મહેન્દ્ર પ્રા. લોઢવિયા
સાન્તાક્રુઝ (ઈસ્ટ)