સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક
તાજેતરમાં એક યુવાનને વારંવાર ચક્કર આવવાંની સાથે શરીરમાં નબળાઈ લાગવા લાગી. નિષ્ણાત ડૉક્ટરને બતાવવાથી જાણવા મળ્યું કે કામના ટેન્શનમાં તે શરીરની આવશ્યક્તા કરતાં ઘણું જ ઓછું પાણી પીતો હતો. ધીમે ધીમે દિવસમાં લગભગ ૨ લિટર પાણી પીવાની શરૂઆત કરી. તેની તકલીફ દૂર થઈ ગઈ. શું આપણે પૂરતાં પ્રમાણમાં પાણી પીતાં હોઈએ છીએ? મોટાભાગના લોકો જવાબ આપશે હા. મને તરસ લાગે એટલે હું પાણી પી લઉં.
પોષ્ટિક ખોરાક સાથે પૂરતાં પ્રમાણમાં પાણી પીવું પણ આવશ્યક છે. પાણી પીવું હોય ત્યારે બેસીને જ પીવું. જેથી પાણી પીવાના સંતોષ સાથે તમે પાણી પીવાની ટાઢકનો શરીરને અનુભવ કરાવી શકશો.લાંબા ગાળે સાંધાની તકલીફથી બચી શકાય છે.
જો આપ તમારા શરીરને સંપૂર્ણપણે ચાહતા હોવ તો પાણી એક સાથે ગટગટાવી જવાને બદલે ધીમે ધીમે પીવાની આદત પાડો. વળી બેસીને પીવો. પાણી થોડા થોડાં સમયના અંતરાલે પીવાની આદત પણ કેળવો. જે લાંબે ગાળે શરીરને અનેક રીતે ફાયદો પહોંચાડે છે. શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ (સોડિયમ)ની માત્રા જળવાઈ રહે છે.
માર્ચ મહિનાની શરૂઆત સાથે આછી -આછી ગરમીના દિવસો, શરૂ થઈ ગયા છે. ધીમે ધીમે તે વધતા જશે. ગરમીના દિવસોમાં સૌથી વધુ શરીરને આવશ્યક્તા હોય છે પાણીની. પૂરતાં પ્રમાણમાં જો પાણી પીવામાં ના આવે તો શરીરમાં અનેક સમસ્યા સર્જાતી જોવા મળે છે. જેવી કે નબળાઈનો અનુભવ થવો. ચક્કર આવવાં. લૂ લાગવી. ત્વચા સૂકી બની જવી. ગળું સૂકાવા લાગવું. માનવીના શરીરમાં પણ ૭૫ ટકા પાણી જોવા મળે છે. તેથી જ તો કહેવાય છે કે માનવી ભોજન વગર ૧ મહિનો ભૂખ્યો રહી શકે છે. પાણી વગર વધુમાં વધુ ૫-૭ દિવસ જ રહી શકે છે.
૨૨મી માર્ચનો દિવસ પાણીની બચતના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ૨૦૨૩ના વર્ષનો થીમ છે ‘પાણી સંબંધિત પ્રશ્ર્નોના નિરાકરણ માટે તમે સ્વયં જ બદલાવ લાવવાની પહેલ કરો.’ તો ચાલો આપણે સ્વયં જ પાણીનો બચાવ કરીને સ્વયં પૂરતાં પ્રમાણમાં શુદ્ધ પાણી પીવાના લાભ વિેશે જાણકારી મેળવીએ.
આપણે બધા જ જાણીએ છીએ કે પૃથ્વી ઉપર ૭૫ ટકા પાણી છે. તેમ છતાં ફક્ત ૧ ટકા પાણીનો ઉપયોગ જ થઈ શકે છે. કેમ કે અન્ય પાણી કાંતો બરફના રૂપમાં છે અથવા તો સમુદ્રનું ખારું છે. વળી બીજી તરફ પૃથ્વી ઉપર વસ્તી અમર્યાદ માત્રામાં વધી રહી છે. આથી જ કહેવાય છે કે પાણીનો ઉપયોગ જો પ્રમાણભાન રાખીને કરવામાં નહીં આવે તો એક સમય એવો આવશે કે વહેલી સવારે વ્યક્તિ ઊઠશે તો નિત્યક્રમ પતાવવા માટે પણ તેના નળમાં પાણી નહીં આવે. પીવા માટેના શુદ્ધ પાણી માટે તકરારો થતી જોવા મળશે. પાણીના બચાવ માટે ઘરમાં નાના ગ્લાસનો ઉપયોગ કરવો જરૂરી છે. પાણીનો ગ્લાસ છલોછલ ભરવાને બદલે અડધો ગ્લાસ ભરીને લેવાની આદત કેળવવી જોઈએ.
—
શરીરનું તાપમાન જાળવવામાં ગુણકારી
ત્વચાના મધ્ય પડમાં પાણીનો સંગ્રહ થાય છે. જે પરસેવા વાટે શરીરમાંથી બહાર નીકળે છે. પરસેવા દ્વારા બહાર નીકળી ગયેલાં પાણીને કારણે શરીર થોડા સમય માટે ઠંડકનો પણ અનુભવ કરે છે. વૈજ્ઞાનિકો દ્વારા સંશોધન કર્યા બાદ જાણવા મળેલાં તારણ મુજબ ત્વચામાં પાણીની માત્રા ઓછી થવાને કારણે ગરમીનો સંગ્રહ કરવાની શક્તિ વધી જાય છે. જેને કારણે વ્યક્તિને ગરમી ઓછી હોવાં છતાં વધુ લાગે છે. તે ગરમી સહન કરી શકતો નથી.
શરીરના સાંધાને પૂરતાં પ્રમાણમાં
તૈલિય બનાવે છે
શરીરના સાંધા જેવા કે ઘૂંટણ, ખભા, કોણી, કરોડરજ્જુ, કમર વગેરેમાં ફરતાં લોહીમાં ૮૦ ટકા પાણીનો ભાગ જોવા મળે છે. જેને કારણે શરીરની લવચિક્તા જળવાઈ રહે છે. લાંબા સમય સુધી પાણી પીવાનું ટાળવાને કારણે સાંધાના ભાગમાં પાણીની ઊણપ વધે છે. જેને કારણે લાંબે ગાળે સાંધાના દુખાવાની સમસ્યા વધતી જાય છે. અચાનક કાંઈ ધારદાર વાગી જવાને કારણે સાંધાની ‘શૉક પચાવવાની શક્તિ’માં ઘટાડો થવા લાગે છે. આથી જ શરીર માટે આવશ્યક હોય તેટલું પાણી પીવાની આદત રાખવી સલાહભરેલી છે.
મોંમાં લાળ બનવાની પ્રક્રિયા
સરળ બને છે
ભોજન ત્યારે જ પચાવી શકાય છે જ્યારે તેને પૂરતાં પ્રમાણમાં મોંમાં મૂક્યા પછી ચાવીને ખાવામાં આવે. મોંમાં બનતી લાળ કોળિયા સાથે ભળીને તેને પ્રવાહી રૂપ આપીને પેટમાં પહોંચાડે છે. પાચનપ્રક્રિયા સરળ બનતાં શરીરના વિવિધ અંગો જેવા કે આંખ, કાન, નાક વગેરેને નુકસાન થતાં બચાવે છે. પાણી પીવાથી મોં સ્વચ્છ રહે છે. ભોજન બાદ પાણીથી કોગળો કરી લેવાથી મોંમાં ભરાઈ રહેલાં ખોરાકના કણો સાફ થઈ જાય છે. જેને કારણે દાંતમાં સડો થતો રોકી શકાય છે.
શરીરને પૂરતાં પ્રમાણમાં
ઑક્સિજન મેળવવામાં મદદરૂપ
લોહીમાં ૮૦ ટકા પાણીનો ભાગ હોય છે. લોહી દ્વારા જ શરીરના પ્રત્યેક અંગોને ઑક્સિજન મળી રહે છે.
કિડનીનું કાર્ય સરળ બનાવે છે
પૂરતાં પ્રમાણમાં પાણી પીતાં રહેવાથી કિડનીનું કાર્ય સરળ બની જતું હોય છે. પેશાબ છૂટથી થવાથી રાહત અનુભવાય છે. કિડની સ્ટોન જેવી તકલીફ તથા તેના દુખાવાથી બચી શકાય છે.
ત્વચાનું આરોગ્ય જળવાય છે
જેઓ પૂરતાં પ્રમાણમાં પાણી પીવાની આદત કેળવતાં નથી તેમની ત્વચા જ જવાબ આપી દેતી હોય છે. પૂરતાં પ્રમાણમાં પાણી ન પીવાના કારણે ત્વચા ઉપર કરચલી પડવા લાગે છે. ત્વચા સૂકી નિષ્તેજ દેખાય છે. નાની વયમાં ત્વચાની ચમક ઓછી થવા લાગે છે. ક્યારેક ત્વચા સંબંધિત રોગનો શિકાર પણ વ્યક્તિ બની જતી હોય છે. ત્વચા ચમકદાર રાખવાની ઈચ્છા હોય તેમણે નિયમિત પૂરતાં પ્રમાણમાં શુદ્ધ પાણી પીવાની આદત કેળવવી જોઈએ.
વજન ઘટાડવામાં મદદરૂપ
ભોજન પહેલાં પાણી પી લેવાથી ખોરાક ભૂખ લાગી હોય તેના કરતાં ઓછો ખવાય છે. જેને કારણે વધુ પડતો ખોરાક ખાવાની ટેવથી બચી શકાય છે. લાંબે ગાળે વજન વધતું અટકાવવામાં મદદ મળે છે.
પાણીની તરસ લાગે તેની સાથે પાણી પીવાની જ આદત કેળવવી જોઈએ. અનેક લોકો એવા પણ જોવા મળશે કે તરસ લાગે તેની સાથે કોઈ સોફ્ટ ડ્રિંક પી લેશે. સતત પેટમાં અકારણ ગળપણ તથા સોડાને કારણે પેટમાં ચાંદા પડવા લાગે છે. વળી લાંબે ગાળે મોટાપાને આમંત્રણ મળે છે. સોફ્ટ ડ્રિંક કે બહારના પીણાં પીવાને બદલે ઘરમાં બનાવેલું લીંબુનું શરબત કે છાસ વગેરે પીવાની ટેવ પાળો. સોફ્ટ ડ્રિંકને તો કડક બનીને ટાળો.
પાણી કેવું પીવું ? સામાન્ય રીતે ઘરમાં ઉકાળીને ઠંડું કરેલું પાણી શ્રેષ્ઠ ગણાય છે. વળી માટલાંનું પાણી સ્વાસ્થ્યવર્ધક ગણાય છે. ફ્રિઝમાં રાખેલું ઠંડું પાણી કે બરફનું પાણી પળ બે પળ તમને સંતોષ આપશે, પરંતુ લાંબે ગાળે તમારા નાજુક અંગોને તે નુકસાન પહોંચાડશે. આથી પાણી તો હંમેશાં માટલાનું ઠંડું કરેલું જ પીવું યોગ્ય છે.
પેશાબ દ્વારા શરીરનો પ્રવાહી કચરો બહાર ફેંકવામાં મદદરૂપ
પૂરતાં પ્રમાણમાં પાણી પીવાથી પેશાબ પણ છૂટથી થાય છે. શરીરનો પ્રવાહી કચરો સરળતાથી બહાર નીકળી જાય છે. પરસેવા દ્વારા તથા પેશાબ દ્વારા પ્રવાહી નિયમિત બહાર ફેંકાઈ જવાને કારણે શરીર સ્ફૂર્તિલું બને છે. રોગથી બચાવે છે.
—
પાણીને સુગંધિત કરીને પીવાની રીતો
પાણીમાં ખસની એક ગાંઠ લાવીને પોટલી કરીને મૂકી દેવી. ઉનાળામાં આ પાણી શરીરને ટાઢક આપે છે.
પાણીમાં તજનો ટુકડો રાખીને પીવાથી પાણી વારંવાર પીવાનું મન થાય છે.
પાણીને ઉકાળતી વખતે તેમાં ચાંદીનો સિક્કો ગોઠવીને ઉકાળવાથી પાણી વધુ પોષ્ટિક બને છે. પાણીમાં ચપટી સૂંઠ ભેળવીને પીવાથી પણ સાંધાના દુખાવામાં તથા ગેસની તકલીફમાં રાહત મળે છે.
પાણીને તાંબાના લોટામાં રાખીને નરણાં કોઠે પીવાથી પાચનક્રિયા મજબૂત બને છે.
પુરુષ માટે ૩.૭ લિટર પાણી દિવસ દરમિયાન પીવું જરૂરી ગણાય છે.
મહિલા માટે ૨.૭ લિટર પાણી પીવું જરૂરી છે. એવું જરૂરી નથી કે પાણી જ પીવું, પરંતુ સૂપ, રસદાર ફળ-શાકભાજી, વિવિધ ફળોનો રસ વગેરે લઈ શકાય છે. કાચી કેરીનો બાફલો પીવાથી ઠંડક મળે છે. જેમ કે ફળમાં નાળિયેર, તરબૂચ, સંતરા, દ્રાક્ષ, સક્કરટેટી વગેરે. કાકડી, ટમેટા વગેરે સલાડમાં લઈ શકાય.
ગરમીની ઋતુમાં પાણી વધુ પીવું, તાવ આવતો હોય ત્યારે પાણીનો મારો વધુ રાખવો, ઝાડા-ઊલટી વગેરેની તકલીફ હોય ત્યારે પાણી પૂરતાં પ્રમાણમાં પીવું. વ્યાયામ કરવાથી શરીરમાંથી પરસેવો વધુ નીકળી જાય કે સામાન્ય પસીનો વધુ નીકળે ત્યારે વારંવાર પાણી પીવાની ટેવ પાડવી જરૂરી છે.
શુદ્ધ પાણી પીતા રહેવાથી આપના શરીરમાં શક્તિનો સંચાર થાય છે. કારણકે પાણીમાં કૅલરી, કેફીન જેવાં માદક તત્ત્વો તથા શર્કરાની માત્રા હોતી નથી.
—
પાચનક્રિયા મજબૂત બને છે
શરીરને પૂરતાં પ્રમાણમાં પાણી મળી રહે તો ચયાપચયની પ્રક્રિયા સુચારૂ બને છે. પાણી ઓછું પીવાની આદત હોય તેઓ વારંવાર કબજિયાતનો ભોગ બને છે. આથી જ નિષ્ણાત ડૉક્ટર, ડાયેટિશિયન તથા ઘરના વડીલો ભોજન પચાવવા પૂરતાં પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપે છે. નરણે કોઢે હૂંફાળું પાણી પીવાથી પણ કબજિયાતની તકલીફમાંથી છુટકારો મેળવી શકાય છે. ઉ