સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક
સામાન્ય રીતે ગરમીના દિવસોની શરૂઆત થાય તેની સાથે ઘરે ઘરે બજારમાં મળતાં ઠંડાં પીણાંનું આગમન થવા લાગે. અનેક ગૃહિણી શિયાળામાં જ ઉનાળાના દિવસોમાં સ્વાસ્થ્યવર્ધક પીણાં કુટુંબના સભ્યોને મળી રહે તેની કાળજી લેવા લાગે. ઘરમાં લીંબુનું શરબત, આદું-લીંબુનું શરબત કે લીંબુ-ફુદીનાનું શરબત ઘરે જ બનાવીને તૈયાર રાખે. ગરમીની શરૂઆત થતાં જ હોળીના આગમનની પ્રતીક્ષા પણ કરવામાં આવે. આમ તો ભગવાન શિવજીની પ્રિય તેવી ભાંગમાં વપરાતી ભાંગ સિવાયની અન્ય સમાગ્રીનો ઉપયોગ કરીને ઠંડાઈ બનાવવામાં આવતી હોય છે.
હોળીનો તહેવાર એટલે વિવિધ રંગોની સાથે વિવિધ મીઠાઈને માણવાનું પર્વ ગણાય છે. ઠંડાઈનો ઉપયોગ હોળીના દિવસે ખાસ કરવામાં આવે છે. ઠંડાઈ હોળી રસિયાની પ્રિય પણ ગણાય છે. ઠંડાઈ તેના લાજવાબ સ્વાદ તથા તેમાં સમાયેલા સ્વાસ્થ્યવર્ધક ગુણોને કારણે ખાસ પીવામાં આવે છે. ગરમીના દિવસોમાં ઠંડાઈનો ઉપયોગ પ્રતિદિન કરવાથી શરીર ઠંડક અનુભવે છે. લૂની અસરથી બચાવીને તંદુરસ્તી જાળવવામાં મદદ મળે છે. ઠંડાઈ બનાવવામાં વરિયાળીનો ઉપયોગ કરવામાં આવે છે, જે એન્ટિ-ઈન્ફ્લેમેટરી હોવાની સાથે પાચનતંત્ર સુધારવામાં મદદ કરે છે. ગેસની સમસ્યામાં વરિયાળીનો ઉપયોગ ઉત્તમ ગણાય છે.
ઠંડાઈમાં તરબૂચનાં બીજનો ઉપયોગ કરવામાં આવે છે, જે શરીરને પ્રાકૃત્તિક ઊર્જા પ્રદાન કરે છે. ઠંડાઈમાં બદામ-પિસ્તાનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. શરીરને તાકાતની સાથે મગજને ઠંડક બક્ષે છે. ઠંડાઈ પીવાથી વ્યક્તિ આપોઆપ ઊર્જાવાન બને છે. કાળાં મરી તથા લવિંગનો ઉપયોગ ઠંડાઈમાં ચોક્કસ પ્રમાણમાં થતો હોય છે, જેને કારણે રોગ-પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. ઠંડાઈમાં કેસરનો સમાવેશ પણ થતો હોય છે, જેને કારણે વ્યક્તિ ગરમીમાં ઠંડક અનુભવે છે.
—
ઠંડાઈના આરોગ્યવર્ધક ગુણ
પેટની સમસ્યામાં ગુણકારી
ઠંડાઈનું સેવન કરવાથી પેટની વિવિધ સમસ્યાથી બચી શકાય છે. પેટની સમસ્યા જેવી કે ગેસ થવો, આફરો ચઢવો, કબજિયાત, ચૂક આવવી, બળતરા થવી કે પેટમાં અલ્સરની તકલીફ હોય તો ઠંડાઈનું સેવન કરવાથી બચી શકાય છે, આથી જ ગરમીના
દિવસોમાં ઠંડાઈનું સેવન ખાસ કરવામાં આવતું હોય છે. તેનું મુખ્ય કારણ તેમાં વરિયાળી, મરી-તજ વગેરેનો ઉપયોગ સારા પ્રમાણમાં કરવામાં આવે છે.
મોંમાં ચાંદાં પડવાની તકલીફમાં લાભદાયી
અનેક લોકોને બારેમાસ મોંમાં ચાંદાં પડેલાં જ જોવા મળે છે, જેને કારણે તેઓને ભોજન કરવામાં તકલીફ પડતી હોય છે. થોડું પણ તીખું-તળેલું કે મસાલેદાર ભોજન તેમને માફક આવતું નથી. પેટની ગરબડને કારણે મોંમાં ચાંદાં પડી જતાં હોય છે. ઠંડાઈનો ઉપયોગ કરવાથી ચાંદાની તકલીફથી થોડા જ દિવસોમાં છુટકારો મળે છે.
રોગ-પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ
ઠંડાઈમાં કેસરની સાથે વરિયાળી જેવા સ્વાસ્થ્યવર્ધક પદાર્થો ઉમેરવામાં આવે છે, આથી ઠંડાઈ પીનાર વ્યક્તિની રોગ-પ્રતિકારક શક્તિમાં વધારો થતો જોવા મળે છે. બજારુ ખોરાક ખાવાને લીધે પેટમાં જે ગરબડ પેદા થતી હોય છે તેને શમાવવા ઠંડાઈનો એક ગ્લાસ ચમત્કારિક પરિણામ આપે છે. કેસરને કારણે વ્યક્તિ ઍન્ટિ-ડિપ્રેશન તથા ઍન્ટિ -ઓક્સિડન્ટના ગુણોનો ફાયદો પણ મેળવી શકે છે.
લૂથી બચવામાં ઉપયોગી
ઠંડાઈનું સેવન કરવાથી ગરમીને કારણે વ્યક્તિ લૂની
સમસ્યાનો શિકાર બનતી નથી. નાકમાંથી લોહી નીકળવું, ઊલટી થવી કે માથામાં અત્યંત દુખાવાની સમસ્યા સર્જાય છે. ક્યારેક
બહારની ગરમીમાંથી ઘરમાં પ્રવેશતાંની સાથે જ ચક્કર આવવા લાગે છે. આવા સંજોગોમાં એક ગ્લાસ ઠંડાઈનો પીવાથી લૂથી બચી
શકાય છે.
પેશાબમાં બળતરા કે અન્ય સમસ્યાથી બચાવે છે
ઠંડાઈનું સેવન કરવાથી પેશાબમાં બળતરામાં રાહત મળે છે. ગરમીમાં અનેક વખત વ્યક્તિને વારંવાર ઝાડા થવા કે પેટમાં ચૂક આવવાની સમસ્યા થતી હોય છે. આવા સંજોગોમાં ઠંડાઈ અમૃત સમાન ગણાય છે.
યાદશક્તિ વધારવામાં ફાયદાકરક
ઠંડાઈનું સેવન કરવાથી યાદશક્તિ વધે છે. તેનું મુખ્ય કારણ છે ઠંડાઈ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતા પદાર્થો. ઠંડાઈમાં મુખ્યત્વે સૂકા મેવાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેમ કે બદામ-પિસ્તા-કાજુ-દ્રાક્ષ-અખરોટ વગેરે. ઉપરોક્ત સામગ્રીનો ઉપયોગ કરવાથી ઠંડાઈ શરીરના પ્રત્યેક અવયવને ઠંડક બક્ષે છે. યાદશક્તિ સતેજ બને છે. ઠંડાઈનું સેવન કરવાથી મગજ શાંત રહે છે. પોતાના કાર્યને પૂરતો ન્યાય આપવામાં સફળતા મળે છે.
પાચનતંત્રને મજબૂત બનાવવામાં લાભદાયક
ઠંડાઈનો સ્વાદ વધારવા માટે તેમાં વરિયાળીનો ઉપયોગ કરવામાં આવે છે. વરિયાળીમાં ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણો ભરપૂર માત્રામાં સમાયેલા છે, જે પેટમાં રહેલા ખોરાકને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
ઠંડાઈ
સામગ્રી: ૧ લિટર દૂધ, અડધો કપ બદામ, અડધો કપ કાજુ, અડધો કપ પિસ્તા, ૪ ચમચી ખસખસ, ૬ ચમચી વરિયાળી, ૧ ચમચી કાળાં મરી, ૧ તજનો મોટો ટુકડો, ૮ નંગ એલચી, ૪ ચમચી તરબૂચનાં બી, ૪ ચમચી મગજતરીનાં બી, ચપટી કેસર, ગુલાબજળ ૪ ચમચી અથવા અડધી વાટકી સૂકવેલાં ગુલાબનાં પાન, ૨ વાટકી ખાંડની ચાસણી
બનાવવાની રીત: સૌપ્રથમ બદામ-પિસ્તા તથા કાજુને મિક્સરમાં ઝીણાં વાટી લેવાં. મગજતરીનાં બી, તરબૂચનાં બી, મરી-તજ, ખસખસ, વરિયાળી વગેરે પણ ઝીણાં વાટી લેવાં. કેસરને ૧ ચમચી દૂધમાં પલાળીને ચાસણીમાં ભેળવી દેવું. ગુલાબનાં પાન લીધાં હોય તો વાટી લેવાં. ૫૦૦ ગ્રામ ખાંડમાં ડૂબે તેટલું પાણી ઉમેરી ખાંડની ૧ તારની ચાસણી બનાવી લેવી. ૧ ચમચી દૂધ ચાસણીમાં ભેળવીને ખાંડનો મેલ દૂર કરવો. ત્યાર બાદ તેમાં વાટીને તૈયાર કરેલું ઠંડાઈનું મિશ્રણ ચાસણીમાં ભેળવી દેવું. તેમાં ૪ ચમચી ગુલાબજળ ભેળવી દેવું. બે દિવસ માટે ચાસણી મિશ્રણ ભેળવીને રહેવા દેવી. બે દિવસ બાદ બે ચમચી ઠંડાઈ એક ગ્લાસ ઠંડા દૂધમાં ભેળવીને પીવાના ઉપયોગમાં લેવી. ઉ