Homeતરો તાજાકૂણા કૂણા મીઠાશથી ભરેલા લીલા ચણામાં સમાયેલા છે આરોગ્યવર્ધક ગુણો

કૂણા કૂણા મીઠાશથી ભરેલા લીલા ચણામાં સમાયેલા છે આરોગ્યવર્ધક ગુણો

સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક

હિમાચલ પ્રદેશ હોય કે હરિદ્વાર કે પછી મુંબઈની પ્રખ્યાત ચોપાટી, સહેલાણીઓ સદાબહાર ચણા ચાટની લહેજત માણવા અત્યંત આતુર જોવા મળે છે. લીલા ચણાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતાં સ્વાદિષ્ટ ચાટનો ઉપયોગ ભારતના લગભગ પ્રત્યેક પ્રદેશમાં કરવામાં આવતો હોય છે. તેમાં પણ વળી, શિયાળો શરૂ થાય તેની સાથે લીલા શાકભાજી, વિવિધ વસાણા, સ્વાદિષ્ટ દાળ હોય કે ફરસાણ ખાવાની એક અલગ જ મજા મળતી હોય છે. શિયાળાની મોસમ એટલે પણ ખાસ ગણાતી હોય છે કે કારણકે આ મોસમમાં વિવિધ વાનગીનો સ્વાદ વધારવા ખાસ ચટણીઓનો રસાસ્વાદ માણી શકાય છે. જેમાં આમળાં, પાલક, ગાજર, વટાણા ટમેટાની ખાસ ચટણી બનાવી શકાય છે. આજે આપણે આવા જ એક લીલાછમ ચણા વિશે જાણકારી મેળવીશું. શિયાળામાં લીલા વટાણા, લીલી તુવેરની સાથે બજારમાં લીલા ચણા મોટા પ્રમાણમાં મળી રહે છે. કૂણા કૂણા લીલા ચણાને કાચા ખાવાનો આનંદ એક અલગ જ પ્રકારનો આવે છે. અનેક કુટુંબોમાં તો શિયાળો શરૂ થાય તેની સાથે જ લીલા ચણાને ફોફા સાથે શેક્યા બાદ તેને ધીમે ધીમે છોલીને તેની લહેજત માણવામાં આવે છે. થોડા શેકાવાને કારણે તેનો સ્વાદ મીઠાશથી ભરાઈ જાય છે.
ગુજરાતમાં આપ જાઓ તો ઠેર ઠેર લીલા ચણાને તેની મોટી દાંડી સાથે જ વેચાતા મળતા જોવા મળે છે. તેને એક એક ડાળીમાંથી અલગ કરવા જરા મહેનત લાગે છે. તો બીજી તરફ દાણાને છોલવામાં પણ સમય જાય છે. આથી જ ખાસ પ્રકારના મશીનમાં તેઓ ડાળખીમાંથી લીલા ચણાને અલગ કરી આપે તેવી સગવડ આપતી અનેક રેકડી આપને નજરે પડશે. શહેરોમાં તો લીલા ચણા એકલાં જ ટોપલાંમાં વેચાતા મળે છે. જેથી મહેનત ખાસ કરવાની રહેતી નથી.

આંખો માટે અત્યંત ઉપયોગી
લીલા ચણાનો ઉપયોગ આંખની તંદુરસ્તી જાળવવા માટે અત્યંત ગુણકારી ગણાય છે. તેનું મુખ્ય કારણ લીલા ચણામાં વિટામિન ઈની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. જે આંખોના સારા સ્વાસ્થ્ય માટે અત્યંત ઉપયોગી છે. વળી ત્વચા સૂકી પડવાને કારણે કરચલી વધવા લાગે છે. જો યોગ્ય કાળજી લેવામાં ન આવે તો ધીમે ધીમે ત્વચા કાળાશ પકડવા લાગે છે. તો ક્યારેક ત્વચા ઉપર વારંવાર ખણજવાને કારણે ત્વચા સંબંધિત રોગનો ભોગ પણ બનવું પડે છે. ત્વચા સંબંધિત વિવિધ રોગથી બચી શકાય છે.

વાળનો જથ્થો વધારવામાં મદદરૂપ
શરીરમાં પ્રોટીનની માત્રા જળવાઈ રહે તો શરીર શક્તિવર્ધક બને છે. શરીરમાં પ્રોટીનની માત્રામાં ચઢ-ઊતર થાય તો વિવિધ પ્રશ્ર્નો ઊભા થતા હોય છે. જેમ કે વાળ ખરવાં. વાળ પાતળાં બનવાં, વાળ ટૂટવાં કે વાળ વહેલાં સફેદ થવાં. ઉપરોક્ત મુશ્કેલીથી બચવું હોય તો લીલા ચણાનો ઉપયોગ ગુણકારી ગણાય છે.

લીલા ચણાના સ્વાસ્થ્યવર્ધક ગુણો વિશે પણ જાણકારી મેળવી લઈએ.
પ્રોટીનનો ખજાનો સમાયેલો છે: આપણે બધા જ જાણીએ છીએ કે ચણાનો ઉપયોગ મુખ્યત્વે શરીરમાં પ્રોટીનની માત્રા જળવાઈ રહે તે માટે કરવામાં આવે છે. મહેનતનું કામ કરતાં મજૂરવર્ગ હોય કે શરીર સૌષ્ઠવ જાળવી રાખવા માટે જિમમાં સતત મહેનત કરતો યુવા વર્ગ હોય.
શરીરને સારી માત્રામાં પ્રોટીન મળી રહે તે માટે ચણાનો ઉપયોગ આહારમાં કરવાનું પસંદ કરતાં હોય છે. પ્રોટીન શરીરની માંસપેશીઓ, આંખ તથા વાળની તંદુરસ્તી માટે ઉપયોગી ગણાય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી બને છે. વિટામિન એ, વિટામિન સીના ગુણોની સાથે ફાઈબર સારી માત્રામાં સમાયેલાં હોવાને કારણે પાચનતંત્રને મજબૂત કરવામાં મદદ
કરે છે.

હૃદયની તંદુરસ્તી માટે ગુણકારી
લીલા ચણાનું સેવન કરવાથી હૃદયના રોગોથી બચી શકાય છે. તેનું મુખ્ય કારણ છે લીલા ચણામાં ભરપૂર માત્રામાં મેગ્નેશિમ, પોટેશિયમ સમાયેલું છે. આથી લીલા ચણાના સેવન દ્વારા બ્લડ પ્રેશર તથા કૉલેસ્ટ્રોલની માત્રા લોહીમાં જળવાઈ રહે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ
લીલા ચણામાં ફાઈબરનું પ્રમાણ સારા પ્રમાણમાં સમાયેલું હોય છે. આથી તેનો આહારમાં ઉપયોગ કરવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. વળી ફાઈબરયુક્ત ખોરાકને પચવામાં વધુ સમય લાગે છે. આથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. ધીમે ધીમે વ્યક્તિનું વજન ઘટવા લાગે છે.

કૅન્સરના ખતરાથી બચાવમાં ઉપયોગી
ચણાનું સેવન કરવાથી શરીરમાં બ્યૂટિરેટ નામક તત્ત્વ ઉત્ત્પન્ન થાય છે. જે કૉલોરેક્ટલ કૅન્સરના ખતરાથી બચવામાં ઉપયોગી ગણાય છે.

શક્તિવર્ધક તથા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ગુણકારી:
શરીરમાં આયર્નની માત્રા જળવાઈ રહે તો વિવિધ અંગોને ઑક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે છે. શરીરના વિવિધ અવયવોને શક્તિ પ્રદાન થવાની સાથે રોગપ્રતિરોધક ક્ષમતા વધારવામાં મદદ મળે છે. ફક્ત એક વાતનું ધ્યાન રાખવું આવશ્યક છે કે શરીરમાં આયર્નની માત્રા ખાદ્યપદાર્થોના સેવન દ્વારા મળવી જોઈએ. અનેક વખત એવું પણ જોવા મળે છે કે અપ્રાકૃતિક રીતે લેવામાં આવેલું આયર્ન શરીરને નુકસાન પહોંચાડી શકે છે.

લીલા ચણાની ટિક્કી
સામગ્રી : બાફેલાં લીલા ચણા ૨ વાટકી, ૧ નંગ બાફેલું બટાકું, ૧ મોટી ચમચી આદું-મરચાં-લસણની પેસ્ટ, સ્વાદાનુસાર મીઠું, ૧ નાની ચમચી મરી પાઉડર, ૬-૭ નંગ આખા સૂકા ધાણા, સૂકી દ્રાક્ષ ૧ નાની ચમચી, ૧ નાની ચમચી લીંબુનો રસ, ચપટી હિંગ, શેકેલા જીરા-અજમાનો પાઉડર ૧ નાની ચમચી, ૧ નાની ચમચી તલ, ૧ મોટી ચમચી છીણેલું પનીર. ચપટી એલચી પાઉડર.
બનાવવાની રીત: સૌ પ્રથમ તાજા લીલા ચણાને બાફી લેવાં. તેમાં બાફેલા બટાકાને છીણીને ભેળવવું. પનીર છીણીને ભેળવવું. આદું-મરચાં-લસણની પેસ્ટ, કોથમીર, સૂકા ધાણા, સૂકી દ્રાક્ષ, જીરા-અજમાનો પાઉડર, એલચી પાઉડર, લીંબુનો રસ તથા મરીનો ભૂકો ભેળવવો. બરાબર ભેળવી દીધા બાદ ટિક્કી ઉપર તલ ભભરાવવા. ચણાને બાફ્યા હોવાને કારણે હાથેથી મસળવા અથવા મિક્સરમાં અધકચરાં વાટી લેવા. એક નૉન સ્ટીક તવા ઉપર ઘી-તેલ લગાવીને ધીમા તાપે ટિક્કી શેકી લેવી. દહીં સાથે ગરમા-ગરમ ટિક્કી પીરસવી.

વ્યક્તિને આનંદિત રહેવામાં મદદરૂપ:
આપણે બધા જ જાણીએ છીએ કે પહેલું સુખ તે જાતે નર્યા. સ્વસ્થ શરીર રહેશે તો મન આનંદિત રહેશે. વિચારો સકારાત્મક રહેવાથી પણ તન-મન ખુશ રહે છે. નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિન સાયન્સ દ્વારા પ્રકાશિત એક અધ્યયન દ્વારા જાણવા મળ્યું છે કે ચણામાં ફોલેટ તથા વિટામિન બી-૬ની માત્રા સારા પ્રમાણમાં સમાયેલી છે. આથી લીલા ચણાનું સેવન કરવાથી વ્યક્તિનો મૂડ કે સ્વભાવ આનંદિત રહે છે. વારંવાર વિચારોમાં મન પરોવાઈ જાય કે માનસિક તાણ અનુભવાય ત્યારે જો લીલા ચણાનું સેવન કરવામાં આવે તો વ્યક્તિના મૂડમાં બદલાવ જોવા મળે છે.
લીલા ચણાનું સેવન વિવિધ રીતે કરવું શક્ય છે. જેમ કે તેને છોલીને કાચા ખાવા, તેને શેકીને ખાઈ શકાય છે. લીલા ચણાને બાફીને તેનો ચાટ બનાવીને ખાઈ શકાય છે. લીલા ચણાનું શાક કે અન્ય શાક સાથે તેને ભેળવીને ખાઈ શકાય છે. લીલા ચણાનો ઉપયોગ સલાડ તરીકે પણ કરી શકાય છે. લીલા ચણાને કઢીમાં પણ ભેળવી શકાય છે. શિયાળો શરૂ થાય તથા લીલા ચણા બજારમાં મળતાં થાય ત્યાર બાદ તેનો ઉપયોગ કરીને તેના આરોગ્યવર્ધક ગુણો મેળવવા જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular