(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સત્તાધારી ઠાકરે જૂથને ગબડાવવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા ભાજપના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના ૨૦૦૦ પછીના ઝુંપડાવાસીઓને ફક્ત રૂ. ૨.૫ લાખમાં ઘર આપવાની જાહેરાત કરી છે.
ફડણવીસના અખત્યારમાં આવતા રાજ્યના ગૃહનિર્માણ ખાતાએ આ મહત્ત્વનો નિર્ણય લીધો છે. સરકારના આદેશ મુજબ મુંબઈમાં ઝુંપડના બદલામાં ફક્ત રૂ. ૨.૫ લાખમાં ઘર મળશે. સરકાર તરફથી પુનર્વસન ફ્લેટની કિંમત ફક્ત રૂ. ૨.૫ લાખ નિર્ધારિત કરવામાં આવી છે.
આમ હવે મુંબઈ શહેરમાં ઝુંપડામાં વસતા લોકોને નજીવી કિંમતમાં ઘરનું સપનું સાકાર થશે. બીજી તરફ ઝુંપડપટ્ટીની જગ્યાનો વિકાસ શક્ય બનશે. રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ આ યોજનાનો લાભ મુંબઈમાં એક જાન્યુઆરી ૨૦૦૦થી લઈને એક જાન્યુઆરી, ૨૦૧૧ સુધીના ઝુંપડાવાસીઓ લાભાર્થી બનવાને પાત્ર છે.
આ નવા યોજનાના લાભાર્થી ઝુંપડાવાસીઓ માટેની શરતો અને નિયમો નક્કી કરવાની જવાબદારી એસ.આર.એના મુખ્ય કાર્યકારી અધિકારીને સોંપવામાં આવી છે.
આગામી કેટલાક મહિનામાં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થવાની શક્યતા છે. મુંબઈ ઉપરાંત રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓની પણ ચૂંટણી થવાની છે એ બાબતને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકાર તરફથી સતત મુંબઈ, પુણે, થાણે જેવા મહત્ત્વના શહેરો માટે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તેને ચૂંટણીલક્ષી પગલું માનવામાં આવી રહ્યું છે. મુંબઈમાં ૨.૫ લાખમાં ઘર આપવાનો નિર્ણય ગેમચેન્જર બની રહેવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે