દિલ્હીના મહેરૌલીમાં શ્રદ્ધા વાકર હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે શ્રદ્ધાની હત્યામાં વપરાયેલું એક હથિયાર કબજે કરી લીધું છે. પોલીસે આ હથિયારને તપાસ માટે સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL)માં મોકલ્યું છે. આ સાથે પોલીસને એક વીંટી પણ મળી છે, જે શ્રદ્ધાની છે. મળતી માહિતી મુજબ શ્રદ્ધાની હત્યા કર્યા બાદ આફતાબે આ વીંટી તેની બીજી ગર્લફ્રેન્ડને ગિફ્ટ કરી હતી, જે વ્યવસાયે સાયકોલોજિસ્ટ હતી.
આ પ્રખ્યાત મર્ડર કેસને લાઈમલાઈટમાં આવ્યાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ આરોપી કિલર આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધાની હત્યા કયા અને કેટલા હથિયારથી કરી તે પોલીસ શોધી શકી નથી. આફતાબ શ્રદ્ધાનો બોયફ્રેન્ડ હતો અને તેની કબૂલાત મુજબ તેણે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેના 35 ટુકડા કરી નાખ્યા હતા. આ ભયાનક હત્યાકાંડ બાદ આફતાબ દરરોજ નવા નવા ખુલાસા કરી રહ્યો છે. જોકે, પોલીસને તેની વાત પર શંકા હતી. આફતાબ જે પ્રકારની માહિતી આપી રહ્યો હતો તેનાથી પોલીસને લાગ્યું કે તે તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં પોલીસે આફતાબના નાર્કો અને પોલીગ્રાફી ટેસ્ટની પરવાનગી માંગી હતી. પરવાનગી મળ્યા બાદ આફતાબની હાલમાં પોલીગ્રાફી ટેસ્ટ ચાલી રહી છે. ત્યાર બાદ તેની નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. આ દરમિયાન, પોલીસને હત્યામાં ઉપયોગમાં લેવાયેલુ હથિયાર અને શ્રદ્ધાની વીંટી જેવા મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે.
પોલીગ્રાફ ટેસ્ટને લાઈ ડિટેક્ટર ટેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. પોલીગ્રાફ ટેસ્ટમાં, શારીરિક ગતિવિધિઓ જેમ કે બ્લડ પ્રેશર, પલ્સ અને શ્વાસનો દર નોંધવામાં આવે છે અને આ ડેટાનો ઉપયોગ વ્યક્તિ સાચું બોલે છે કે નહીં તે જાણવા માટે કરવામાં આવે છે.