મહારાષ્ટ્રમાં ચૂંટણી પંચ 12 જાન્યુઆરીથી શિવસેનાના ઠાકરે જૂથના પાર્ટીના ચૂંટણી ચિન્હ અને ઓળખ પરના દાવા અંગે સુનાવણી કરવા જઈ રહ્યું છે ત્યારે શિવસેનાના ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે મહારાષ્ટ્રની શિંદે-ફડણવીસ સરકાર ફેબ્રુઆરી મહિનો જોઈ શકશે નહીં. શિંદે જૂથના 16 ધારાસભ્યોને કાયદા અને બંધારણની દૃષ્ટિએ ગેરલાયક ઠેરવવામાં આવશે. આ સરકાર વેન્ટિલેટર પર છે. તેઓ માત્ર સમયને આગળ ખેંચી રહ્યા છે. વેન્ટિલેટર હટાવતાની સાથે જ આ સરકાર પડી જશે.
સંજય રાઉતના નિવેદન પર પ્રતિક્રિયા આપતા મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલારે કહ્યું હતુ કે, સંજય રાઉતે સામના કાર્યાલયમાં બંધારણ અને કાયદો લખ્યો છે? તેઓ દરરોજ એક નવો ફણગો ઊભો કરતા રહે છે. તેમના માટે આ એક જ કામ બાકી છે. આમ કરીને તેઓ મીડિયામાં ચમકીને પોતાની જગ્યા બનાવતા રહે છે. શિંદે જૂથના ધારાસભ્ય સંજય શિરસાટે કહ્યું હતુંકે, જેલમાં ગયા બાદ તેમનું (રાઉતનું) માનસિક સંતુલન બગડી ગયું છે. તેઓએ તેમના મગજની તપાસ કરાવવી જોઈએ.
સંજય રાઉત શનિવારે નાશિકમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા. તેણે કહ્યું, ‘તસવીર ધીમે ધીમે બદલાઈ રહ્યું છે. મહારાષ્ટ્રનું રાજકીય વાતાવરણ પરિવર્તનની દિશામાં જઈ રહ્યું છે. 2024ની તૈયારી શરૂ થઈ ગઈ છે. પરંતુ તે પહેલા પણ પરિવર્તન આવી શકે છે. જો આપણી ન્યાયિક વ્યવસ્થા પર દબાણ નહીં આવે તો આ સરકાર ફેબ્રુઆરી મહિનો જોઈ શકશે નહીં. ન્યાયિક વ્યવસ્થામાં દબાણ કામ કરશે એવું લાગતું નથી.
રાઉતે કહ્યું, ‘શિંદે જૂથના 16 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવા પડશે, નહીં તો બંધારણનું અપમાન થશે. તેઓ માત્ર સમય પસાર કરી રહ્યા છે. તેમની સરકાર વેન્ટિલેટર પર છે. સુપ્રીમ કોર્ટે વેન્ટિલેટર બહાર કાઢતાં જ ‘હે રામ’ થઈ જશે. તેમની સાથે કોઈ રહેશે નહીં. હવે આ સરકાર ક્યારે પલટાય છે. તે ક્યારે ચૂંટણીમાં જવાની છે, જનતા આની રાહ જોઈ રહી છે. વિધાનસભા સત્રમાં રોજ એક મંત્રીનો ભ્રષ્ટાચાર સામે આવતો હતો, પરંતુ આ સરકાર ગેંડાની ચામડી પહેરીને બેસી રહી.