ગાંધીનગર: રાજ્યના પ્રવકતા પ્રધાન ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વર્ષ-ર૦૦૩થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળા પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવની ૧૮ મી શૃંખલા આગામી તા. ૧૨ થી ૧૪ જૂન-ર૦ર૩ દરમ્યાન યોજાશે. રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવની શરૂઆત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં થશે. ચાલુ વર્ષે યોજાનાર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંગે મુખ્ય પ્રધાનના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય પ્રધાન મંડળની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરીને આખરી ઓપ અપાયો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે રાજ્યભરના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩નો કાર્યક્રમ તા. ૧૨-૧૩-૧૪, જૂન-૨૦૨૩ના રોજ યોજવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, જૂન-૨૦૨૩ના શરૂ થતા ચાલુ શૈક્ષણિક સત્રથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના અમલીકરણ માટે દરેક સરકારી પ્રાથમિક શાળામાં બાલવાટિકા શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે તેથી આ વર્ષે બાલવાટિકામાં પ્રવેશ પામનાર બાળકોનો પણ પ્રવેશોત્સવમાં સમાવેશ કરવામાં આવશે. ઉપરાંત દર વર્ષની જેમ આંગણવાડી અને ધોરણ-૧ માં પ્રવેશ પામતાં બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જે બાળકોની ઉંમર ૧ લી જૂનના રોજ ૫(પાંચ) વર્ષથી વધુ અને ૬(છ) વર્ષ કરતાં ઓછી હશે તેને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે, અને જે બાળકની ઉંમર ૧ લી જૂનના રોજ ૬(છ) વર્ષથી વધુ અને ૭(સાત) વર્ષ કરતાં ઓછી હશે તેને ધોરણ-૧ માં પ્રવેશ આપવામાં આવશે.
જન્મ-મરણ નોંધણીના રજિસ્ટર પરથી મળેલા આંકડાઓ અનુસાર જૂન-૨૦૨૩થી શરૂ થતા શૈક્ષણિક સત્રમાં અંદાજે ૯,૭૭,૫૧૩ વિદ્યાર્થીઓ બાલવાટિકામાં પ્રવેશ મેળવશે, અને ૨,૩૦,૦૧૯ વિદ્યાર્થીઓ ધોરણ-૧માં પ્રવેશ મેળવશે.