કલ્પેશ્ર્વર પંચકેદારમાંનું અંતિમ-પંચમ કેદાર છે
જીવનનું અમૃત -ભાણદેવ
(ગયા અંકથી ચાલુ)
ધૂપદીપ પ્રગટાવી અમે ભગવાન ધ્યાનબદરીનાં દર્શન કર્યાં. ભગવાનને પ્રણામ કરીને થોડી વાર બેઠા અને નિરાંતે વિષ્ણુ-ગાયત્રી-મંત્રનો જપ કર્યો.
સામાન્યત: અહીં કોઈ યાત્રી આવતા નથી, તેથી આ ધ્યાનબદરીનું મંદિર સવાર-સાંજ પૂજાના સમયે જ ખૂલે છે, બાકીનો સમય મંદિર બંધ રહે છે. કોઈ યાત્રી આવે ત્યારે પૂજારી આવે છે અને મંદિર ખોલીને યાત્રીને ભગવાનનાં દર્શન કરાવે છે. પછી તરત મંદિર બંધ થઈ જાય છે.
અમે નિરાંતે ભગવાન ધ્યાનબદરીનાં દર્શન, પ્રણામ, પાઠ આદિ કર્યાં. હવે અમે આગળ ચાલ્યા. વિદાય લેતાં પહેલાં બાજુમાં જ શાળા ચલાવી રહેલાં શિક્ષિકાબહેનને મળ્યા. અમે તેમનો આભાર માન્યો અને તેમને કલ્પેશ્ર્વર જવાનો રસ્તો પૂછ્યો. તેમણે ઉત્તર આપ્યો:
“આપ આ નાની પગદંડી પર ચાલ્યા જાઓ. ઉરગમ વચ્ચેથી પસાર થઈને આપ મુખ્ય પગદંડી પર પહોંચી જશો. આ મુખ્ય પગદંડી આપને કલ્પેશ્ર્વર સુધી પહોંચાડી દેશે. કલ્પેશ્ર્વર સામેના પહાડની ગોદમાં નદીના સામે કિનારે છે.
અમે આગળ ચાલ્યા. ઉરગમમાંથી પસાર થઈને મુખ્ય પગદંડી પર પહોંચી ગયા અને કલ્પેશ્ર્વરની દિશામાં આગળ ચાલ્યા.
આકાશ કાળાં વાદળાંથી ઘેરાઈ ગયું છે. થોડાં થોડાં અમીછાંટણાં પડી રહ્યાં છે. અમારા ડ્રાઈવરનો ફોન આવે છે:
“અહીં વરસાદ ચાલુ થયો છે. પછી મોટર આ રસ્તે નહીં ચાલે. હું મોટર લઈને હેલંગ ચાલ્યો જઉં?
અમે ઉત્તર આપીએ છીએ:
“નહીં-નહીં, તમે ત્યાં જ રહો. તમે મોટર લઈને ચાલ્યા જશો તો અમે કેવી રીતે પહોંચીશું? તમે ત્યાં જ રહો. અમે હમણાં જ આવીએ છીએ!
અમે આગળ ચાલ્યા.
વાતાવરણ અને આકાશ તથા ધરતી ખૂબ સુંદર છે. અમે પ્રથમ વખત આવ્યા ત્યારે આ પગદંડી કાચી હતી. હવે આ પગદંડી પાકી બની ગઈ છે. બંને બાજુ મોટાં અને હરિયાળાં ખેતરો છે. ચારેય બાજુ વૃક્ષ-વનરાજિથી ભરપૂર પહાડો છે. વચ્ચેવચ્ચે સડસડાટ દોડતાં ઝરણાંનાં દર્શન થાય છે. વાદળઘેરું આકાશ અને લીલીછમ ધરતી મનને પ્રસન્ન કરી દે છે. અમે શાંત મને છતાં ઝડપથી ચાલી રહ્યા છીએ. એક પંખીનું મધુર ગાન સંભળાય છે. ક્યું હશે આ પંખી? એનું નામ શું હશે? તેનું રૂપ કેવું હશે? અમે કાંઈ જાણતા નથી, પરંતુ અમે તેનું મધુર ગાન સાંભળીએ છીએ અને તે કાંઈ
ઓછું છે?
અમે આગળ ને આગળ ચાલતા જ રહ્યા-ચાલતા જ રહ્યા અને ચાલશે તે પહોંચશે તે ન્યાયે અમે પણ હવે કલ્પેશ્ર્વરની નજીક પહોંચી ગયા.
કલ્પેશ્ર્વર નદીના સામેના કિનારાના પહાડ પર છે. અમે નીચે ઊતરીને એક નાના પુલ પરથી પસાર થઈને નદીના સામા કિનારે પહોંચ્યા. સામા કિનારે પહોંચીને પણ થોડું ચઢાણ ચડવું પડે છે. ચઢાણ ચડીને આખરે કલ્પેશ્ર્વર દાદાની ગુફા સુધી પહોંચ્યા.
કલ્પેશ્ર્વર પંચકેદારમાંનું અંતિમ-પંચમ કેદાર છે. પાંચ કેદાર આ પ્રમાણે છે:
૧. કેદારનાથ, ૨. મદમહેશ્ર્વર,
૩. તુંગનાથ, ૪. રુદ્રનાથ, ૫.કલ્પેશ્ર્વર
ક્વચિત્ આ પાંચમાં બૂઢા કેદાર અને વૃદ્ધ કેદાર ગણીને સપ્તકેદાર પણ ગણવામાં આવે છે. ગમે તે રીતે ગણીએ, આ કલ્પેશ્ર્વર પંચમ કે સપ્તમ એમ અંતિમ કેદાર છે.
કલ્પગંગાને કિનારે આ કલ્પેશ્ર્વર શિવનું મંદિર છે. કલ્પેશ્ર્વર શિવનું લિંગ એક સાવ નાની ગુફામાં છે. શિવલિંગ ઘડીને મૂકેલું નથી, પ્રાકૃતિક સ્વરૂપનું અને ત્રિકોણાકાર છે.
ગુફામંદિરની બાજુમાં એક કુંડ છે. આ કુંડમાં જળનો એક નાનો સ્ત્રોત આવે છે. આ પાણીથી ભગવાન કલ્પેશ્ર્વરનો અભિષેક કરી શકાય છે.
અમે નિરાંતે ભગવાન કલ્પેશ્ર્વરનાં દર્શન કર્યાં અને ‘લદ્મળજ્ઞઘળટ’ આદિ પંચવક્ત્રમંત્રોથી જલાભિષેક પણ કર્યો. ઉપલબ્ધ સામગ્રીથી પૂજા પણ કરી. અભિષેક-દર્શન-પૂજન પછી અમે ગુફામંદિરની બહાર આવ્યા.
આજથી ૨૨ વર્ષ પહેલાં અમે અહીં આવ્યા હતા ત્યારે બાજુની એક કુટિરમાં એક સાધુ પાસેથી ભોજનપ્રસાદ પામ્યા હતા. અમે તે કુટિરમાં આ વખતે પણ પ્રવેશ્યાં. આ વખતે પણ કુટિરમાં ધૂણા ઉપર એક સાધુ બિરાજમાન હતા, પરંતુ તે નહીં, બીજા યુવાન સાધુ હતા. વાત કરતાં જાણ્યું કે આ યુવાન સાધુ તે સાધુના શિષ્ય છે અને ગુરુમહારાજ સ્વર્ગવાસી થયા પછી તેમની આજ્ઞાથી તે જ ધૂણા પર અહીં આ કુટિયામાં વસે છે. તેમની સાથે થોડો સત્સંગ થયો અને પછી અમે બહાર આવ્યા.
અમે આ સ્થાનના પ્રાંગણમાં ઊભા રહીને બહારનું સુંદર દૃશ્ય જોઈ રહ્યા છીએ.
અહીં કલ્પેશ્ર્વરથી એક પગદંડી ચતુર્થ કેદાર રુદ્રનાથ સુધી જાય છે. તે જ રીતે ચતુર્થ કેદાર રુદ્રનાથથી અહીં પંચમ કેદાર કલ્પેશ્ર્વર પણ આ પગદંડીથી આવી શકાય છે. વચ્ચે બંસીનારાયણ નામનું એક સુંદર તીર્થસ્થાન છે. અહીંથી બંસીનારાયણનો પહાડ જોઈ શકાય છે. બંસીનારાયણ ૧૧,૨૦૦ ફૂટની ઊંચાઈ પર છે. કલ્પેશ્ર્વરની ઊંચાઈ ૭,૫૦૦ ફૂટ છે. પાંચેય કેદારમાં કલ્પેશ્ર્વર સૌથી નીચું અને સૌથી છેલ્લું છે.
હવે અમે કલ્પેશ્ર્વર શિવજીને પુન: પ્રણામ કરીને પાછા વળ્યા.
અમારા ડ્રાઈવર પ્રવીણભાઈના વારંવાર ફોન આવે છે :
“રસોઈ તૈયાર છે. તમે જલદી આવો.
અમે ઉત્તર આપીએ છીએ :
“હા, આવીએ છીએ, પરંતુ ચાલીને આવીએ છીએ, ઊડીને નહીં!
આમ, હવે અમારી વળતી યાત્રા ચાલે છે. અમે તે પક્ષીનો મધુર અવાજ સાંભળીએ છીએ. તે જાણે સતત બોલ્યા જ કરે છે. આ વખતે અમે તેમનાં દર્શન પણ કર્યાં, પરંતુ હજુ અમે તેનું નામ જાણતા નથી.
ચાલતાં-ચાલતાં રસ્તામાં અમને થોડી વિદ્યાર્થિનીઓ સામે મળી. તેમણે શાળાનો યુનિફૉર્મ પહેર્યો છે. તેમની પીઠ પર સ્કૂલબૅગ પણ ગોઠવેલી છે. અમને નવાઈ લાગી: આ બાળાઓ ક્યાંથી અને ક્યાં ભણવા જતી હશે?
અમે પૂછ્યું અને જાણ્યું.