નવી દિલ્હી: નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે છેલ્લી ક્રેડિટ પોલિસીની જાહેરાત કરતા રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા (આરબીઆઈ)એ બુધવારે રેપોરેટમાં પા ટકા (પચીસ બૅસિસ પૉઈન્ટ)નો વધારો કર્યો હતો. આરબીઆઈના આ નિર્ણયને કારણે હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન મોંઘી થશે અને ઈએમઆઈમાં વધારો થશે. રેપોરેટ વધારવા યોજાયેલી મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ની બેઠકમાં ઉપસ્થિત રહેલા છ સભ્યમાંથી ચાર સભ્યએ રેપોરેટ વધારવાની તરફેણમાં મત આપ્યો હતો. બજેટ બાદ એમપીસીની આ પ્રથમ બેઠક હતી. એમપીસીની બેઠક દર બે મહિને મળે છે. દેશના ૧૨ શહેરમાં
ક્યૂઆર કોડ આધારિત કોઈન વેન્ડિંગ મશીન (ક્યૂસીવીએમ) શરૂ કરવામાં આવશે.
વિદેશથી ભારત આવતા પ્રવાસીઓને મર્ચન્ટ પેમેન્ટ માટે યુપીઆઈનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી છે. પ્રારંભમાં આ સુવિધા જી-૨૦ દેશના પ્રવાસીઓને આપવામાં આવશે.
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે સવારે ૧૦:૦૦ વાગે એમપીસીની બેઠકના પરિણામની માહિતી આપતાં જણાવ્યું હતું કે રેપોરેટમાં પા ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાને પગલે રેપોરેટ હવે ૬.૨૫ ટકાથી વધીને ૬.૫૦ ટકા થયો છે. અગાઉ, ડિસેમ્બરમાં રેપોરેટ ૪.૯૦ ટકાથી વધારીને ૬.૨૫ ટકા કરવામાં આવ્યો હતો.
ફુગાવાને અંકુશમાં લેવા આ પગલું લેવું જરૂરી હોવાનું જણાવતાં શક્તિકાંત દાસે કહ્યું હતું કે ૨૦ વર્ષ માટે ૩૦ લાખ રૂપિયાની લોન લેનારે હવે એક લાખ વધુ ચૂકવવા પડશે. છેલ્લા નવ મહિનામાં હોમ લોનના વ્યાજમાં એકંદરે ૨.૫૦ ટકાનો વધારો થયો છે.
આરબીઆઈના આ નિર્ણયને કારણે એફડી પરના વ્યાજમાં પણ વધારો થશે.
મે ૨૦૨૨માં રેપોરેટ ચાર ટકા હતો જે હવે વધીને ૬.૫ ટકા થઈ ગયો છે. વૈશ્ર્વિક અર્થતંત્ર અને મોંઘવારીના આંકડાઓમાં જોવા મળી રહેલા ચઢાવ-ઉતાર દેશના અર્થતંત્ર પર અસર કરી રહ્યા છે અને તેને કારણે ઊભા થતા પડકારો અનુસાર જ નિર્ણયો લેવા પડે છે, એમ તેમણે કહ્યું હતું.
વર્ષ ૨૦૨૩-૨૪માં આર્થિક વિકાસદર ૬.૦૦થી ૬.૮ ટકા જેટલું રહેવાનું અનુમાન છે.
નાણાકીય વર્ષ ૨૦૨૩માં દેશનો જીડીપી સાત ટકા રહે તેવી શક્યતા છે.
નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ફુગાવાનો દર ઘટીને ૫.૩ ટકા થવાનું અનુમાન છે.
નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં મોંઘવારીનો દર ચાર ટકા કરતા વધુ રહેવાની શક્યતા છે.
તમામ વૈશ્ર્વિક પડકારો વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર તંદુરસ્ત રહ્યું હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે આમ છતાં નિર્માણ પામતી આર્થિક પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવાની જરૂર છે. (એજન્સી)