Homeદેશ વિદેશશુદ્ધ સોનું ₹ ૧૨૨ની આગેકૂચ સાથે ₹ ૫૪,૦૦૦ની પાર, ચાંદીમાં ₹ ૧૩૯નો...

શુદ્ધ સોનું ₹ ૧૨૨ની આગેકૂચ સાથે ₹ ૫૪,૦૦૦ની પાર, ચાંદીમાં ₹ ૧૩૯નો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સાધારણ નરમાઈતરફી વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોનામાં મક્કમથી સુધારાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો વધુ ૩૯ પૈસા ગબડતાં સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં વધારો થવાથી ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૧થી ૧૨૨ની તેજી આવી હતી અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ અથવા તો શુદ્ધ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૪,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા. વધુમાં આજે ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૩૯ વધી આવ્યા હતા. આજે સ્થાનિક ઝવેરી બજારમાં સોનામાં સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની પાંખી લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની માગ પણ ખપપૂરતી રહી હતી. જોકે, વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નબળો પડવાથી આયાત પડતરમાં વધારો થવાને કારણે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૧ વધીને રૂ. ૫૩,૮૧૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૨૨ વધીને રૂ. ૫૪,૦૩૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે ચાંદીમાં પણ સ્ટોકિસ્ટો ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહી હોવા છતાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવ કિલોદીઠ રૂ. ૧૩૯ના સુધારા સાથે રૂ. ૬૭,૧૬૧ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજથી અમેરિકી ફેડરલ રિઝર્વની શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક તેમ જ આજે મોડી અમેરિકાના ફુગાવાના ડેટાની જાહેરાત પૂર્વે ડૉલર ઈન્ડેક્સની નરમાઈ સાથે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૧૭૮૩.૧૬ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૧ ટકા વધીને ૧૭૯૩.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૩.૧૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના નવેમ્બર મહિનાના ફુગાવામાં ઘટાડો જોવા મળશે અને અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારાની ગતિ ધીમી પાડીને બેઠકના અંતે ૫૦ બેસિસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતા એએનઝેડના વિશ્ર્લેષકે એક નોટ્સમાં જણાવતાં ઉમેર્યું હતું કે સામાન્યપણે વ્યાજદરમાં ઘટાડાના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારોની માગ રહેતી
હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular