રખડતા ઢોરની સમસ્યા
સમગ્ર ગુજરાત રાજ્યમાં રખડતા ઢોરના કારણે અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, અને ઈજાગ્રસ્ત બન્યા છે. સમાજમાં જાહેર રોડ પર રખડતા ઢોરની સમસ્યાના ગુન્હાઓ પણ ખૂબ વધી રહ્યા છે ત્યારે આ અંગે ગુજરાત હાઈકોર્ટના આકરા વલણ અને મહત્ત્વપૂર્ણ નિર્દેશો બાદ તાજેતરમાં અમદાવાદ શહેરની ભદ્ર સેશન્સ કોર્ટે પણ એક બહું સીમાચિહ્નરૂપ અને દૂરોગામી અસર કરનારા માર્ગદર્શિક ચુકાદા મારફતે અમદાવાદ શહેરમાં લોકોની જિંદગી જોખમાય તે રીતે પોતાના ઢોર જાહેર રોડ પર ખુલ્લા મુકી દેનાર અને અમ્યુકોના સેનેટરી ઈન્સ્પેક્ટરને જાહેરમાં અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપી ઢોર માલિકને બે વર્ષની સખત કેદની સજા આપી છે. રખડતા ઢોર મુદ્દે આરોપી ઢોર માલિકને સજા આપતો ગુજરાત રાજ્યનો આ સૌ પ્રથમ અને મહત્ત્વપૂર્ણ ચુકાદો છે. આ ચુકાદો રાજ્યભરમાં જાહેર રોડ પર ઢોરોને ગમે તેમ છોડી મૂકતા કસૂરવાર ઢોર માલિકો, માથેભારે કે અસામાજિક તત્ત્વોને સજા કરાવવા માટે તમામ ઓથોરિટી માટે બહુ ઉપયોગી અને માર્ગદર્શક સાબિત થશે. તે નિ:શંક.
મહેશ વી. વ્યાસ, પાલનપુર
————–
જયા બચ્ચન શું સાબિત કરવા માગે છે
સમાચાર માધ્યમ દ્વારા જાણવા મળ્યું કે જયા બચ્ચને તેની પૌત્રી સાથેના વાર્તાલાપમાં જણાવ્યું કે જો તેની પૌત્રી કુંવારી માતા બને તો તેમને વાંધો નથી.
ફિલ્મ જંજીરની સફળતા ઉજવવા અમિતાભ બચ્ચન મિત્રો સાથે ફરવા જવાના હતા ત્યારે તેમના બાબુજી હરિવંશરાય બચ્ચને આગ્રહ કર્યો કે પ્રથમ અમિતાભ બચ્ચન લગ્ન કરે. લગ્ન કર્યા વગર જયા બચ્ચન સાથે ફરવા ન જાય. બચ્ચન કુટુંબ અવારનવાર બાબુજીની પ્રશંસા કરે છે, પરંતુ જયા બચ્ચનનું વિધાન બાબુજીનું માન જાળવતું નથી.
આપણા ફિલ્મસ્ટારો પશ્ર્ચિમનું આંધળું અનુકરણ કરે છે. શ્રીમંતો ફિલ્મ સ્ટારોનું આંધળું અનુકરણ કરે છે અને એ જોઈને મધ્યમ વર્ગનાં બાળકોની પણ આદત બગડે છે. લગ્ન કર્યા વગર માતા બનવાને જયા બચ્ચન ‘પ્રયોગ’ સમજે છે. જયા બચ્ચન જેવા વગર વિચાર્યે બોલતા લોકોને અંકુશમાં રાખવા સરકારે ઉપાય વિચારવો રહ્યો.
આદર્શ વોરા – ચેન્નઈ
—————
રિક્ષા ડ્રાઈવરની ઈમાનદારી
તા. ૬ ડિસેમ્બર ૨૨ના રોજ મારો પુત્ર એની કોલેજથી ઘરે આવ્યો. પરીક્ષા અને અભ્યાસના તણાવમાં એણે એનું પર્સ ક્યાંક ગુમાવી દીધું કે જેમાં ૧૩૦૦/- રૂપિયા રોકડા અને આધાર, પેન કાર્ડ ઈત્યાદી અને બીજી વસ્તુઓ હતી. તા. ૯ ડિસેમ્બર ૨૨ના રોજ એક રિક્ષા ડ્રાઈવર નામ રાધાક્રિષ્ણા વી. મરાઠી ભાષી સજ્જન ઉં. આશરે ૭૦ વર્ષ ચારકોપ નિવાસી, અમારા બિલ્ડિંગમાં આવ્યા અને એ પર્સ બધી વસ્તુઓ સાથે પરત કર્યું. તેમનો રિક્ષા નંબર છે ખઇં૦૨ઊં૧૮૭૯.
મે તેમને બક્ષિસ રૂપે અમુક રૂપિયા આપવાનો આગ્રહ કર્યો, પરંતુ તેમણે ન લીધા. હું આ માણસની ઈમાનદારીની કદર કરું છું. હું આર.ટી.ઓ અને પોલીસ વિભાગને વિનંતી કરું છું આ ઈમાનદાર માણસની નોંધ લેવી અને ઈમાનદારીનું સન્માન કરવું.
વિજય જસવંતરાય હેમાણી – કાંદિવલી (વે.)
————-
ડૉક્ટરો ઘરે વિઝિટ પર નથી આવતા?
તા. ૮.૧૨.૨૦૨૨ના રોજ મારા માતાજીને હાર્ટ એટેક આવ્યો. ડૉક્ટરને બોલાવ્યા પણ કોઈ ડૉક્ટર આવવા તૈયાર ન હતા. કોઈ કહે કોરોના પછી વિઝિટ કરવાનું બંધ કરી દીધું છે. કોઈ કહે હમણાં ઘણાં પેશન્ટ છે તેમને છોડી ન આવી શકું. કોઈ કહે આ મારા રેગ્યુલર કસ્ટમર નથી એટલે હું આવી ન શકું પછી તેમને હૉસ્પિટલમાં લઈ ગયા ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું ત્યાં બીજો એટેક આવ્યો અને તેમનું મૃત્યુ થયું. જો પહેલા એટેકમાં કોઈ ડૉકટરે તેમનો ઈલાજ ચાલુ કરી દીધો હોત તો કદાચ બચી જાત. તો આમાં વાંક કોનો?
જો કોઈ ડૉક્ટરે વિઝિટ પર આવી ઈલાજ ચાલુ કરી દીધું હોત તો કદાચ મારા માતુશ્રી બચી જાત. ૧૬ વર્ષ પહેલા મારા પિતાજીને પણ હાર્ટ એટેક આવેલો ત્યારે ડૉકટરે વિઝિટ કરી તેમનો ઈલાજ ચાલુ કરી દીધેલો પણ આ વખતે તેમ ન થયું. આ બાબતે કેવા કાયદાઓ છે મને ખબર નથી.
ડૉકટરને ડિગ્રી શા માટે અપાય છે? દર્દીઓનો યોગ્ય સમયે ઈલાજ કરવા જો ડૉકટર યોગ્ય સમયે બહાનું કરી ઈલાજ ન કરે તો તેવા ડૉક્ટરને ડિગ્રી આપવાનો અર્થ શો? આ બાબતે સરકાર કાંઈ યોગ્ય કરે જેથી કોઈ દર્દીનું યોગ્ય સમયે ઈલાજ ન થવાથી મૃત્યુ ન થાય.
રાજકુમાર ગાંગજી ગાલા