(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીની સાંસદ તરીકેની સદ્સ્યતા રદ કરવાના નિર્ણયનો વિરોધ કરવા કૉંગ્રેસ દ્વારા દેશભરમાં સંકલ્પ સત્યાગ્રહ આયોજિત કરવામાં આવ્યો હતો. જોકે રાજ્યભરમાં ઠેર ઠેર ધરણા પ્રદર્શન દરમિયાન કૉંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.
અમદાવાદમાં પણ કૉંગ્રેસના પક્ષ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કૉંગ્રેસે દાવો કર્યો હતો કે શાંતિપૂર્ણ રીતે ધરણા કરતા હોવા છતાં તેમના નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. ભાજપ સરકાર વિરુદ્ધ કૉંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત ‘સંકલ્પ સત્યાગ્રહ’ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે પૂરી તાકાત સાથે ભાજપ એક વ્યક્તિને બચવવામાં લાગી છે. ત્યારે કૉંગ્રેસ પક્ષ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ રીતે વિરોધ દ્વારા લોકશાહીના રક્ષણ માટે, ભ્રષ્ટાચારી ભાજપ સરકારની પોલ ખોલતા રાહુલ ગાંધીના અવાજને દબાવવા સદ્સ્યતા રદ્ના પગલા સામે કૉંગ્રેસ પક્ષ ‘સંકલ્પ સત્યાગ્રહ’ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
સરમુખત્યારશાહીને વરેલી ભાજપ સરકાર દેશની જનતાનો અવાજ-વિપક્ષનો અવાજ દબાવવા પોલીસતંત્ર, વહીવટી તંત્રઓ દુરુપયોગ કરીને મોડી રાત સુધી શાંતિપૂર્ણ કાર્યક્રમની પરમિશન આપવામાં આનાકાની કરવામાં આવી. ‘સંકલ્પ સત્યાગ્રહ’ કાર્યક્રમમાં પોલીસતંત્રને આગળ ધરી બળજબરી પૂર્વક કૉંગ્રેસ પક્ષનાં આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી. લોકશાહીને બચાવવા માટેની આ લડાઈ માટે કૉંગ્રેસ પક્ષ સતત લડતો રહેશે.
અમદાવાદ ઉપરાંત વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે કૉંગ્રેસ દ્વારા લોકશાહી બચાવોના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અહીં પણ પોલીસ અને કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. કચ્છ જિલ્લા કૉંગ્રેસ દ્વારા ભુજ શહેરના જ્યુબિલી સર્કલ ખાતે એક દિવસીય પ્રતિક ધરણા રાખવામાં આવ્યા હતા. શાંતિપૂર્ણ ધરણાંની શરૂઆત સાથે જ પોલીસે ધરણાં પર બેઠેલા ૪૦ જેટલા કૉંગી આગેવાનો ની બળજબરીપૂર્વક અટકાયત કરીને પ્રદર્શનને બંધ કરાવી દેતા ઘર્ષણના દ્રષ્યો સર્જાયા હતા. આવી જ રીતે ભાવનગર શહેર કૉંગ્રેસ સમિતિ દ્વારા શહેરના જશોનાથ ચોક ખાતે ધરણાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કૉંગ્રેસના કાર્યકરો ધરણાં પર બેસે તે પહેલાં જ ૩૫થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પાટણમાં પણ જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા પાટણ રેલવે ગરનાળા પાસે મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાટણ અને જામનગરમાં પણ ધરણા કરતા કાર્યકરોને પોલીસે અટકમાં લીધા હતા.